Saturday 25 December 2021

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શ્રેષ્ઠશિક્ષક તરીકે સન્માન કરવામાં  આવ્યું. શિક્ષક સંઘનો ખૂબ ખૂબ આભાર.....

Thursday 23 December 2021


Listen me on you tube channel..✨💫🎙️🎥📽️🎧...Thank you Sarjanhar Gujarati  megazine Mumbai......



https://youtu.be/UjYuV6o518g

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

મુશ્કેલી પડે જો હમપે.. ઈતના કર્મ કર....✨💫✍🏻

"મુશ્કેલીઓ" કોઈને ગમે ખરી?? આ પ્રજાતિ સૌથી અળખામણી છતાંય જીવનના સૌથી કિંમતી અને સચોટ પાઠ તે જ શીખવી જતી હોય છે.

રખોપું ન રાખું હું....
     ઝાંઝવા જેનાં પોત રે....
હે કૃષ્ણ! તારાં જ સ્વાંગમાં
‌‌     રાચતાં તારાં જ મરજીવિયા જોને આજ રે...

        અક્ષરસહ જેને વ્યાખ્યાયિત કરવું ભલે અઘરું હોય, પણ ભાવસહ તેને અભિવ્યક્ત કરવું અનિવાર્ય બની જાય છે.જ્યાં સુધી તમારાં મનોભાવનું અને તકલીફનું આંકલન નથી કરી શકતા ત્યાં સુધી અદ્રશ્ય વિચારોના કુરુક્ષેત્રમાં જાતે ને જાતે વધુને વધુ ફસાતાં જશો.

ગીતા પરમો ધર્મ:

        ગીતા સરીખો ન કોઈ ધર્મ છે ન કોઈ ધર્મ વિદ્. જ્યારે બધેથી તમે હારી જાઓ છો ત્યારે આપની આત્માને, મનને, વિચારોને જ્યાં વિસામો મળે છે તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. જ્યાં પહોંચ્યા પછી બધાં પ્રશ્નો શૂન્ય થઈ જાય છે. બધી પીડા નગણ્ય બની જાય છે. અને એક જળકમળવત્ સ્થિરતા આપણાં જીવને પ્રાપ્ત થાય છે. જ્યાં પહોંચ્યા પછી ડગલું, ટકવું, મેળવવું, સંચરવુ, એ બધું પોકળ બની જાય છે. એક સ્થિર વિચાર, મનની સ્થિતિ જે પ્રસન્નતાથી છલોછલ છે તે પ્રાપ્ત થાય છે.

        મુશ્કેલીઓ આપણી ખામીઓથી આપણને અવગત કરે છે. આપણી ભૂલો તરફ આપણું ધ્યાન દોરે છે. અથવા અંગુલી નિર્દેશ કરી આપણી જ ભૂલો સુધારવા સમય અને સંજોગ આપે છે. આપણને માણસને ઓળખવાના દ્રષ્ટીકોણમાં પરિવર્તન લાવે છે. ફરિયાદોને નિર્મૂળ કરી શક્યતાઓને શોધવાનો ,ચકાસવાનો દ્રષ્ટિકોણ કેળવે છે. અહમના છાંટાનો છેદ ઉડાડી, અહર્નિશ નિર્મમ બનતાં શીખવે છે.

મિત્તલ પટેલ
 "પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com

Wednesday 22 December 2021

મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં ડિસેમ્બર- 2021  અંકમાં મારો લેખ...

"જળકમળવત્ બનીને જીવવું એટલે તકલીફને તકલીફ આપવી"....☕🌊✨💫🥰




         કેટલીકવાર દુનિયાની નજરમાં પારાવાર તકલીફમાં હોય તેવી વ્યક્તિને આપણે મળીએ તો તે તકલીફોની વચ્ચોવચ પણ ખૂબ જ જિંદાદિલ, નિખાલસ અને પ્રસન્નતાથી તરવરતો આપણને જોવાં મળે છે.. અને કેટલીક વાર જીવનમાં ,જેની પાસે બધું જ હોય તો પણ તે સતત ફરિયાદો કરતો,  વક્રદ્રષ્ટિથી સૌને નિહાળતો, રોદણાં રડતો અને સતત વ્યથિત રહેતો જોવાં મળે છે. ક્યારેય વિચાર્યું છે આવું કેમ?? તકલીફ હોવી અને તકલીફની અનુભૂતિ કરવી બંને અલગ વસ્તુ છે. હાં, નાની-મોટી, ઓછી, વધારે તકલીફ દરેક વ્યક્તિને હોય જ. તમે સળિયા વગરની જેલ જોઈ છે?? જો સળિયા વગરની જેલ હોય તો કેદીઓ ક્યારનાય ભાગી છૂટે. મુક્ત થઈ જાય. કદાચ સ્વચ્છંદી થઈ જાય. એવું જ માણસનું છે. તકલીફરુપી સળિયા ન હોય તો જીવનમાં તે સ્વચ્છંદી થઈ જાય. માણસને માણસની, માણસને ઈશ્વરની, માણસને માણસાયતની કિંમત ન સમજાય.


 સસ્તી ખુશી અને મૂલ્યવાન ખુશીમાં ફરક પંકાય છે,

        તકલાદીપણુ જ્યારે માણસનાં સુખમાં વર્તાય છે...

હાસ્ય રેલાવતી રેલગાડીઓ જેવી આંખ્યું,

       જ્યાં ભાળે ત્યાં પ્રસન્નતા ની સરવાની પ્રસરાય છે...


        આજે ભવિષ્યનું પ્લાનિંગ કરવાવાળા અને ભૂતકાળનું માપન કરવાવાળા વ્યક્તિઓ છે. સીધુ સાદુ તકલીફ વિહોણું જીવન ભૂતકાળમાય ન હતું, હમણાય નથી અને હવે પછીનાં સમયમાં પણ નહીં હોય. પણ તકલીફને જોવાનો, તેમનો સામનો કરવાનો અને તેમાંથી રસ્તા કાઢવાનો સૌનો  દ્રષ્ટિકોણ ,રીતો અને પચાવવાની તાકાત બદલાઈ છે. પહેલાં પણ જનરેશન ગેપને કારણે સંઘર્ષની પરિસ્થિતિ હતી. અને તેને સંવાદથી, સમજથી, મોટાઈથી એકબીજા સાથે સહકારની ભાવનાથી ઉકેલવામાં આવતી. "હું" જ મારી જીંદગી એંજોય કરી લઉ. કોઈ જવાબદારી ન લઉ.કશાની પણ જવાબદારીથી ન બંધાઉ. એવી માનસિકતા, એવાં એટીટ્યુડવાળા યંગ જનરેશન અને મોટી ઉંમરના લોકો પણ જોવા મળી રહ્યા છે. આ પ્રકારના સામાજિક બદલાવ સ્વાર્થના બીજને અંકુરિત થવા વાતાવરણ પૂરું પાડે છે. આજનાં જમાનામાં તમને જો ટકી રહેવું હશે, સાચાં અર્થમાં સુખી રહેતાં શીખવું હશે તો ,સ્વાર્થ પ્રેરિત માનસિક આઘાતોને ઝડપથી પચાવતા અને તેને હળવાશથી ફૂંક મારીને ફેંકી દેતા શીખવું જ પડશે. "તકલીફ તો રહેવાની" એ હકીકત છે. અને તેમાંથી "તકલીફ આપણને કેટલી પડવાની"તે આપણાં EQ લેવલ અને મજબૂત તૈયાર કરેલ લાગણીતંત્ર પર આધારિત છે.


કોઈ રોજ તહેવાર ઉજવે છે,

      કોઈ વહેવારમાં પણ સ્વાર્થ ઉજવે છે...


વહેમ રાખી જીવતો નહીં કે સૌ કોઈ છે  સાથે તારી,

     બધા અહીં તો પોતાનાં જ સંતાપ ઉજવે છે


મિત્તલ પટેલ
" પરિભાષા"
mitalpatel56@gmail.com

Thursday 2 December 2021

તમને પ્રસંશા કરતાં આવડે છે,
      ખોટી ચાપલૂસી નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને બાળકો માટે વિચારતા આવડે છે,
        માત્ર "અહમ્"પોતાનો પંપાળતા નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને શાળામાં ભણાવતાં આવડે છે,
          કોઈને નીચા બતાવતા નહીં...
તો તમે શિક્ષક છો...!!

તમને પ્રમાણિકતાથી કામ કરતા આવડે છે,
           બાળકોના પૈસે પોતાનું ઘર ભરતા નહીં....
તો તમે શિક્ષક છો...!!

તમને જીવનમાં આગળ વધતાં આવડે છે,
         કોઈને નીચે પાડતા નહીં.....
તો તમે શિક્ષક છો...!!

મિત્તલ પટેલ
"પરિભાષા"


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"માણસોની "વૃત્તિ" તેનાં ભવિષ્યને આકારે છે"....


આકારજે તું તારી તકદીર...
        તારી વૃત્તિને આકારીને સાત્વિક,

તારું ભવિષ્ય તારાં કર્મોના હાથની મહેંદી છે....!!

   
         માણસની જ્યારે "પડતી" શરૂ થાય છે ત્યારે તેના ખુદનાં આખી જિંદગીના કર્મો એક અરીસો બનીને તેની સમક્ષ ઉદય થઈને ઉભા રહે છે. "સહાનુભૂતિ" શબ્દ માટે વ્યાકુળ બનતું, તેનું હૃદય કંઈ કેટલાય લોકોને દીધેલ તકલીફની તાસીર બનીને, તેમણે અપરાધભાવથી સતત ડૂબાડતી રહે છે. ડૂબી જવું સરળ હોય છે પણ જિંદગી આપણી સાચી તસવીર આપણી સમક્ષ અચાનક એવી રીતે અને  એવાં સમયે મૂકી દે છે કે ત્યાંથી ભાગી છૂટવું કે ઇગ્નોર કરવું કે પોતાની જાતને તેનાં માટે માફ કરવું પણ અશક્ય બની જાય છે. માણસ થાકથી રાત્રે ઊંઘી શકે છે પણ નિરાંતની અને સુકુનની ઊંઘ તો સારા કર્મોનું પ્રતિબિંબ સ્વરૂપે જ મળતી હોય છે.

ક્યારેક પૃચ્છા કરી હોત તે તારા મનને  કે..." તું જે માર્ગ પર છે તે રસ્તો સવડો છે ખરો!!

તો "માણસ" તું ચોક્કસ માણસાયતથી પાછો વળ્યો હોત.

         કેટલીકવાર સમય, સંજોગ અને તક નો સંગમ માણસને છેતરી શકે છે. મહોરા પહેરીને જીવતાં માણસો, નિર્લેપ માણસોને પોતાનાં દ્રષ્ટિકોણથી નિહાળી તેમનાં રસ્તા ના ફાંટા પાડવાં માટે પ્રયત્નશીલ બની જાય છે. પણ દરેકનાં હૃદયમાં ઈશ્વર સ્વયં સાક્ષીરૂપે પ્રસ્તુત હોઈ, દરેક વળાંકે  નિર્લેપ અને સરળ માણસને તેના institutions ક્યારેય ભટકવા દેતા નથી. દરેક માણસ પોતાનાં માટે હંમેશા સારો જ હોય છે. અને સારાં ખોટા ની સંકલ્પનાથી પર દરેક માણસ પોતાને તટસ્થ રીતે ક્યારેય મુલવી શકતો નથી. જો જીવનમાં થોડાં થોડાં સમયે માણસ પાછું વળીને પોતાનાં જીવનને તટસ્થ રીતે, સાક્ષીભાવે નિહાળી શકતો હોય પોતે સાચા માર્ગે તો છે ને...?? તેની ચકાસણી કરતા રહેવાની વૃત્તિ હોય તો તે જીવનના ગમે તે લેવલ પરથી સાચા માર્ગે આવવા યુ ટર્ન મારી શકે છે. અને  ખુદેશ્વર તેને તે માટે દિશાસૂચન કરીને મદદ કરે છે પણ  તે "હું" માંથી ક્યારેય બહાર ન આવી શકતો માણસ આ વૃત્તિ ક્યારેય કેળવી શકતો નથી. "હું તો ક્યારેય ખોટો હોઈ જ ન શકું". તે વલણમાંથી તે માટે બહાર નીકળવું પડે. પોતાની ભૂલોનો સ્વીકાર કરવા અહમને ઓગાળવું પડે. તો જ જિંદગીના કોઈપણ તબક્કે અપરાધ-ભાવના અતિશય કપરા પડાવે પહોંચવાના સંજોગો ન આવે.

શું તે પોતાના કર્મોથી જ હારેલ માણસને જોયો છે??
હા, છેતરવાની વૃત્તિમાંથી જન્મેલ તે હિસાબનો ચોપડો છે....

મિત્તલ પટેલ
" પરિભાષા"

Thursday 25 November 2021

✨💫🎯QUESTION MAKING ACTIVITY✍️💫

વિજ્ઞાનનો એક એવો એકમ બાળકને આપો કે જે તમારે હજી ચલાવવાનો હજી બાકી છે અને થોડોક થિયોરેટીકલ છે. જેને વાંચીને સરળતાથી સમજી શકાય.ઉદા. પાણી, હવા પ્રદૂષણ અભયારણ્ય ,જંગલો બચાવો, આવાં એકમને શરૂથી એકેએક ફકરાને બાળક વાંચતું જશે અને તે તેમાંથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો જાતે બનાવશે. જેમ કે ખાલી જગ્યા, ટૂંક નોધ પ્રકારના પ્રશ્નો, વર્ગીકરણના પ્રશ્નો, તફાવત પ્રકારના પ્રશ્નો ,૧૦૦ થી 400 શબ્દોમાં પ્રશ્નો, જોડકા પ્રકારના પ્રશ્નો, આવાં વિવિધ પ્રકારનાં પ્રશ્નો પાઠ વાંચતા વાંચતા બનાવવા માટે બાળકોને એક કલાકનો સમય આપો. જે સૌથી વધુ વૈવિધ્યસભર અને વધારે સંખ્યામાં પ્રશ્નો બનાવી શક્યા હોય તેવાં ત્રણ બાળકોને પસંદ કરો અને તેમને યોગ્ય પ્રોત્સાહક ઇનામ આપો. આ પ્રકારની પ્રવૃત્તિથી નીચે પ્રમાણે ફાયદા હશે.

# બાળક તે એકદમ બરાબર સમજીને વાંચશે. તો જ તે પ્રશ્નો બનાવી શકશે. સારા અને વૈવિધ્યસભર પ્રશ્નોનું નિર્માણ કરવું એ થોડો વિચાર માંગી લે તેવી પ્રક્રિયા છે. બાળક આ પ્રક્રિયામાંથી પસાર થશે અને તે એકમને સારી રીતે આત્મસાત કરતા-કરતા પ્રશ્નાવલી નિર્માણની પ્રક્રિયા કરશે.

# બાળક "સ્વ-અધ્યયન" કરતો હશે. અધ્યયન પ્રક્રિયા સાવ સહજ, સરળ અને સ્વયં નિર્મિત બની જશે.

# બાળ પ્રવૃત્તિ દ્વારા શીખતો હોવાથી તેનાં માટે ભણવું એ આનંદની પ્રક્રિયા બની જશે.
# બાળકમાં ક્રિએટિવિટી, વિચારવાની શક્તિ, સમજ શક્તિનો વિકાસ થશે.
# બાળક પોતે જાતે કંઈક નવું સર્જન કર્યું છે તેનો અનોખો આનંદ અનુભવશે. "સર્જનનો આનંદ કંઈક વિશિષ્ટ હોય છે." તે બાળકોનો આત્મવિશ્વાસ વધારશે.

💫 આ એક્ટિવિટી સમાજવિદ્યા, હીન્દી, ગુજરાતી જેવાં વિષયોમાં પણ કરાવી શકાય......
✨💫🎯QUESTION MAKING ACTIVITY✍️💫

વિજ્ઞાનનો એક એવો એકમ બાળકને આપો કે જે તમારે હજી ચલાવવાનો હજી બાકી છે અને થોડોક થિયોરેટીકલ છે. જેને વાંચીને સરળતાથી સમજી શકાય.ઉદા. પાણી, હવા પ્રદૂષણ અભયારણ્ય ,જંગલો બચાવો, આવાં એકમને શરૂથી એકેએક ફકરાને બાળક વાંચતું જશે અને તે  તેમાંથી અલગ અલગ પ્રકારના પ્રશ્નો જાતે બનાવશે. જેમ કે ખાલી જગ્યા, ટૂંક નોધ  પ્રકારના પ્રશ્નો, વર્ગીકરણના પ્રશ્નો, તફાવત પ્રકારના પ્રશ્નો ,૧૦૦ થી 400 શબ્દોમાં પ્રશ્નો, જોડકા પ્રકારના પ્રશ્નો, આવાં વિવિધ પ્રકારનાં પ્રશ્નો પાઠ વાંચતા વાંચતા બનાવવા માટે બાળકોને એક કલાકનો સમય આપો. જે સૌથી વધુ વૈવિધ્યસભર અને વધારે સંખ્યામાં પ્રશ્નો બનાવી શક્યા હોય તેવાં ત્રણ બાળકોને પસંદ કરો અને તેમને યોગ્ય પ્રોત્સાહક ઇનામ આપો. આ પ્રકારની પ્રવૃત્તિથી નીચે પ્રમાણે ફાયદા હશે.

# બાળક તે એકદમ બરાબર સમજીને વાંચશે. તો જ તે પ્રશ્નો બનાવી શકશે. સારા અને વૈવિધ્યસભર પ્રશ્નોનું નિર્માણ કરવું એ થોડો વિચાર માંગી લે તેવી પ્રક્રિયા છે. બાળક આ પ્રક્રિયામાંથી પસાર થશે અને તે એકમને સારી રીતે આત્મસાત કરતા-કરતા પ્રશ્નાવલી નિર્માણની પ્રક્રિયા કરશે.

# બાળક "સ્વ-અધ્યયન" કરતો હશે. અધ્યયન પ્રક્રિયા સાવ સહજ, સરળ અને સ્વયં નિર્મિત બની જશે.

# બાળ પ્રવૃત્તિ દ્વારા શીખતો હોવાથી તેનાં માટે ભણવું એ આનંદની પ્રક્રિયા બની જશે.
#  બાળકમાં ક્રિએટિવિટી, વિચારવાની શક્તિ, સમજ શક્તિનો વિકાસ થશે.
# બાળક પોતે જાતે કંઈક નવું સર્જન કર્યું છે તેનો અનોખો આનંદ અનુભવશે. "સર્જનનો આનંદ કંઈક વિશિષ્ટ હોય છે." તે બાળકોનો આત્મવિશ્વાસ વધારશે.

💫 આ એક્ટિવિટી સમાજવિદ્યા, હીન્દી, ગુજરાતી  જેવાં વિષયોમાં પણ કરાવી શકાય......



મિત્તલ પટેલ
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
 બાયડ, અરવલ્લી
"કાર્યદક્ષતા-સંકલ્પનિષ્ઠાની ફળશ્રુતિ"...💫✍️☕


ડૂબી ગયા કે ડૂબીને તરી ગયા..
        એ પરિભાષાની પરવા કોણે?
અહીં તો ગળાડૂબ વ્યસ્તતાના કારણો અમને ગમે છે...!!


      કેટલીકવાર નવરાશ આપણને કોરી ખાય છે. ચિંતન કે મનન કરવા પણ જાત સાથે તો વાર્તાલાપ ચાલતો જ હોય છે. પણ સાવ નવરાશ કે જ્યાં વાદ નથી, સંવાદ નથી વ્યવહાર નથી ,તહેવાર નથી, કર્મ નથી, અકર્મ નથી. ત્યાં સ્થગિતતા આવે છે. નદીનું વહેતું જળ હંમેશા સ્વચ્છ અને નિર્મળ રહે છે. જ્યારે તળાવ અને ખાબોચિયાનું પાણી સ્થગિત હોય છે. એટલે તેનામાં કચરો અને ગંદકીનો ઉપદ્રવ થાય છે. તેવી જ રીતે માણસ જ્યારે પોતાનાં નૈમિત્તિક કર્મો પણ પૂરે પૂરી દક્ષતાથી કરતો નથી, ત્યારે તેમનું નવરુ મન સ્વયંની જ અધોગતિ નોતરે છે. કેમકે કાં તો તે મોબાઇલમાં ગળાડૂબ રહેવાનો કાં તો તે દ્વેષભાવ અને નકામી નિંદા કૂથલી માં મશગુલ રહેવાનો. "નવરું" હોવું અને "નવરાશ" હોવી બંને અલગ વસ્તુ છે.

            તમારાં જીવન પાસેથી તમારે શું જોઈએ છે? તે ક્યારેય તમે વિચાર ન કર્યો હોય તો તમે અમુલ્ય જીવનને સાવ આમ જ વેડફી રહ્યા છો. આપણે તો તહેવારમાં પોતાનાં આપ્તજનોની વચ્ચોવચ હોવાં છતાં ભાગ્યે જ મેન્ટલી પ્રેઝન્ટ હોઈએ છે. મન અને મગજ તો ક્યાંય ભૂતકાળ અને ભવિષ્યના વિચારોમાં ભમતું હોય છે!! વર્તમાનની ક્ષણમાં લાઈવ આપણે જીવતાં જ્યારે શીખી શકીશું, ત્યારે જીવનને સાચાં અર્થમાં માણતા શીખી શકીશું.

          દુનિયામાં 90% ખુશી આંતરિક હોય છે અને ૧૦ ટકા જ બાહ્ય વસ્તુઓમાંથી મળે છે. જે પૈસાથી કે પ્રયત્ન કરીને મેળવી શકાય છે જ્યારે 90% ખુશી આપણા કર્મો આપણને આપે છે. જો તમે તમારી ફરજમાં આવતાં કાર્યોમાં કામચોરી ,આળસ કે છટકબારી કાયમ શોધતાં રહેતા હોવ તો તમને સાચી પ્રસન્નતા ક્યારેય નહીં સાંપડે. હા ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાંય. અને પોતાનાં નૈમિત્તિક કાર્યો પૂરેપૂરી દક્ષતાથી કરનાર વ્યક્તિ શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, જીવનના સંજોગો, આગળ વધવા માટે મળતી તકો બધું તેમને અનુરૂપ રહેશે અને પ્રસન્નતાનો સંગાથ તેઓ સતત અનુભવશે. જિંદગીમાં માણસ કંઈપણ કાર્ય કરે, શેના માટે કરે છે? ખુશી મેળવવા. અને તે મેળવવાનો સાચો રસ્તો છે.. "તમારાં કાર્યમાં દક્ષતા" એટલે કે પોતાના હન્ડ્રેડ પર્સન્ટ આપીને દરેક નૈમિત્તિક કાર્ય પૂરેપૂરાં મનથી કરવું એ જ છે. બાકી તેમાંથી છટકબારી શોધતા રહેશો તો કાયમ દિવાસ્વપ્નમાં જ રાચતાં રહેશો. કે આ મળશે એટલે હું ખુશ થઈશ. આટલી મિલકત ભેગી થશે એટલે હું સુખી થઈશ. જે માત્ર મૃગજળ ની જેમ તમારાથી કોસો દૂર જ રહેશે. કાર્યદક્ષ માણસ વર્તમાનમાં સો ટકા જીવે છે. જ્યારે બાકીના ભૂતકાળમાં કે વર્તમાનની યોજનાઓમાં જ જીવતા હોય છે.


સજીવન થઈ ઊઠે ચેતના તારી ભીતર...
          તે સમયભોમ પર વાવ તું બીજ કર્મનું...
રસ્તો દેખાડશે તારો ભાવ અને હેતુ...
       તું સંવાદજે તારા "સ્વ" ને પહેરી પહેરણ નિષ્કર્મનું... 

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com



mitalpatel56@gmail.com

Wednesday 24 November 2021

ભાવનગર થી પબ્લિસ થતા ગારીયાધાર એક્સપ્રેસ સાપ્તાહિકમાં મારી બાળવાર્તા...✨💫"બાળવાર્તા---વાંદરા અને ખિસકોલીની દોસ્તી...."💫✍️

        એક વાંદરો ગામનાં પાદરે આવેલાં આંબાના ઝાડ પર રહે. તે જ ઝાડ પર એક ખિસકોલી પણ રહેતી હતી. રોજ ભાતભાતનાં ઝાડવાઓ ઉપર, તેની ડાળીઓ પર રમળભમળ ઘૂમીને સાંજે બંને તે ઝાડ પર આવતાં અને નિરાંતે જપીને, પગ વાળીને બેસતાં. બાકી આખો દી તો વાંદરો તેના કૂદકા થી કંઈ કેટલાય ઘરોનાં છાપરા ઉપર ઉછળકૂદ કરતાં હોય કે ઝાડવા ઉપર, રસ્તા પર, બસ ધમાલ, ધમાલ ને ધમાલ. ખિસકોલી પણ કાંઈ ગાંજી જાય એમાંની તો નહોતી જ. તેય પૂંછડીના પૈડાથી અહી તહી બસ અસ્ત વ્યસ્ત રીતે સર્પાકારે વાંકી ચુકી બસ દોડ દોડ કર્યા કરે.

        એકવાર સાંજે બંને થાકીને ઝાડ પર બેઠા બેઠા વાતોએ ચડ્યાં. વાંદરો કહે:"તારી અને મારી દોસ્તી સૌથી સારી રહેશે. કેમ કે તારો અને મારો સ્વભાવ સાવ એક જેવો છે. ઉછળકૂદ કરવાનો. ને ઝાડ એ આપણાં બંનેની રહેવા માટેની પ્રિય જગ્યા. કોઈ મહેલ આપે તોય ન ગમે. આપણે બંનેને તો બસ ઝાડ જ ગમે. ખિસકોલી કહે:"હાં આપણે ચોક્કસ સરસ મિત્રો બની શકીએ પણ તારે મને તારી સાથે ઉચકીને જ્યાં જાય ત્યાં લઈ જવાની. મને પણ તારી જેમ એક ઝાડથી બીજા ઝાડ પર, એક છાપરેથી બીજા છાપરે કૂદવાની બહુ મજા આવે. વાંદરો કહે:" ચોક્કસ તારે પણ જ્યાં કોઈ ઘરની બારીમાંથી બટાટાની છાબડી જુએ, કેળા જુએ, તો મને ચોક્કસ જાણ કરવી. જેથી હું લાગ જોઈને તેને ઊપાડીને ખાઈ શકું. ખિસકોલી કહે:"એ તો ચોરી કરી કહેવાય. હું ચોરીના કામમાં તને સાથ ન આપી શકું. વાંદરો કહે:"જો તું મારી આટલી પણ મદદ ન કરી શકતી હોય તો આપણે મિત્રો ન થઈ શકીએ. એક મિત્રએ બીજા મિત્રને મદદ કરવાની તો ફરજ હોય છે ખિસકોલી કહે:" હા એક મિત્રએ બીજા મિત્રને મદદ ચોક્કસ કરવી જોઈએ ,પણ ખોટા કાર્યમાં નહીં. દરેકે પોતાનાં સાચાં ખોટા કર્મોનાં ફળ ચોક્કસથી ભોગવવાં જ પડે છે. વાંદરો કહે :"સારું તો આજથી તું તારાં રસ્તે હું મારા રસ્તે"




        એક દિવસ એક ઘરડા બા પોતાનાં ઘરનું પાછળનું બારણું બંધ કરવાનું ભૂલી ગયા અને મંદિરે જતાં રહ્યા. લાગ જોઈને વાંદરો પાછલાં દરવાજેથી ઘરમાં ઘૂસ્યો અને ફ્રીજ ઉપર મુકેલાં કેળા જોયા. સીધી તેનાં પર ઝાપટ મારી. "કટક" દઈને અવાજ આવ્યો. વાંદરો પીડાથી રાડારાડ કરવાં લાગ્યો. તે કેળા તો લાકડાંના રમકડાના હતા. ને તેને મોમાં જોરથી દબાવતાં જ વાંદરાના ઉપર નીચેના બે બે દાંત તૂટી ગયાં. કેળાને ત્યાં જ મુકીને તે સીધો કૂદીને દૂર ઝાડ પર જતો રહ્યો. ખિસકોલીને ખબર પડતાં જ તે સીધી તેની ખબર કાઢવા ગઈ. વાંદરાની પીડા જોઇને તેને પોતાની પૂંછડીથી તેનાં મોઢાને સાફ કર્યું. તેને કહ્યું:" હું તારી મિત્ર હતી ,ને હજી પણ છું જ. ત્યાં ઝાડ પર લાગેલાં મીઠાં મીઠાં જાંબુ તોડીને મેં તારાં માટે ખાવા રાખ્યા છે . તું ખાઈને આરામ કર. વાંદરો બોલ્યો:" તારી વાત સાચી હતી. તું મારી સાચી મિત્ર છું. ખોટાં કર્મનું ફળ ભોગવવું જ પડે છે .અને તે જ મેં ભોગવ્યું. આજથી કોઇપણ સંજોગોમાં ચોરી કરીશ નહીં. ભૂખ્યા સૂઈ જઈશ. પણ ખોટા રસ્તે કે શોર્ટકટથી મેળવેલ ખાઈશ નહીં. તારાં જેવી સાચી મિત્ર આપવા બદલ ભગવાન તારો ખૂબ ખૂબ આભાર."

બોધ-- મિત્રના ખોટા કાર્યોમાં સહકાર આપવો એ મિત્રતા નથી. પણ તેને સાચો માર્ગ બતાવવો તે મિત્રતા છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Sunday 21 November 2021

"પુસ્તક સાથે અશાબ્દિક સંવાદ એટલે વાંચન...."🥰📚


My article...in "ગુર્જર ગર્જના"...

'અરીસો' નહિ, ખુદને આરપાર જોઈ શકાય જ્યાં.. 'તેવો કાચ' બને છે વાંચન....

"તું"કારો દઈ વાત કરે, સંવાદ કરે, પુસ્તક મને હોકારો કરે...

એકલાં હોઈએ, તો ય એકાંતોત્સવ બને છે, વાંચન.....

કોકિલ કંઠી બની હા માં હા નહીં ભરે....
       તે તો ઠપકો કરે, ચમકારો કરે, પોતીકું વડીલ બની સવાલો કરે...

એક જીવનમાં અનેક જીવન જીવંતતાથી જીવતાં શીખવાડે વાંચન...


        પુસ્તક સાથેની મિત્રતા એ, પોતાની જાત સાથેની મિત્રતા જેટલી જ મજબૂત, પારદર્શક, જીવનને ઉર્ધ્વગામી માર્ગે દોરી સંચાર કરતી મહત્વની કડી પુરવાર થાય છે. તું તને પામી શકે, જો તારામાં તને ઓળખી શકે. એ આત્મમંથનની પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થવા પુસ્તક નામનાં, દીવાદાંડી સમાન મિત્ર ની જરૂર પડે છે.


          મોબાઇલમાં સતત સોશિયલ મીડિયા પર રંગોળી પૂરતાં ટેરવાઓ અને મનની બારીઓ, જેનાં પર આભાસી કંઈ કેટલાય આવરણો આવી ગયા છે. તે કોઈપણ ઉંમરે ભારોભાર એકલતા અનુભવે છે. જીવનની અર્થહીનતા, હેતુ વિહીન, દિશાવિહીન વહી જતી જિંદગીનાં વહેણને સમજવાં, કળવા અને માણવા તે લાચારી અનુભવે છે. ત્યારે કોઈ સારાં પુસ્તકનું વાંચન, સાચાં સગા બની તે પ્રવાહને જાણવાં, સમજવા અને રાહબર બનવા, સાચા અર્થમાં સક્ષમ બની શકે છે. આ અનુભવની નહીં, અનુભૂતિની વસ્તુ છે કેટલાંક અનુભવ જીવનમાં આપોઆપ થતાં હોય છે અને અનુભૂતિ સ્વયંભૂ હોય છે. ભીતરથી સ્ફુરતી અને પાંગરતી .

            પોતાની જાત સાથે સંવાદ કરવો ખૂબ જરૂરી છે. તો જ તમે ખુલીને જીવી શકશો. મનનાં ડુમા, અકળામણ, પ્રશ્નો, ક્યારેક આનંદની છોળો પણ મુક્ત કરવી પડે. આખી દુનિયાનાં છેડા સુધી વાતો કરી શકતો માણસ પોતાની જાત જોડે થોડો સમય ગાળવામાં હંમેશા દુર્લભ સેવે છે. એક સારાં પુસ્તકનું વાંચન આપણને આપણી જાત સાથે સંવાદ કરવાં, આપણી જાત સાથે ગાઢ મિત્રતા કરાવી આપવા, આપણને ચોક્કસ મદદ કરે છે. માધ્યમ બને છે.


           કોઈ પણ શ્રેષ્ઠ પુસ્તક લખાય છે ત્યારે તે કલમ માત્ર નિમિત્ત હોય છે. અંતરનાદની અભિવ્યક્તિ એ કલમ અને તે હસ્તને નિમિત્ત બનાવી શબ્દ સ્વરૂપે કાગળ પર અવતારતા હોય છે. તમે ક્યારેક પોતાનાં જીવનના અનુભવોને એક ડાયરીમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. તેનાથી હળવાશ અને આત્મસંતોષ અનુભવાશે. કારણકે તમે અભિવ્યક્ત થાવ છો. જે અભિવ્યક્તિ બધી જગ્યાએ કરી શકાતી નથી. આપણે આપણાં દરેક મિત્ર આગળ સંપૂર્ણપણે અભિવ્યક્ત થઈ શકતા નથી. ખુલીને બધી જ વાતો શેર કરી શકતા નથી. અને પોતાનાં જીવનને ખુલીને જીવવા અભિવ્યક્તિ થવું ખૂબ જરૂરી છે. મનમાં ડૂમો ભરાયો હોય ત્યારે, પોક મૂકીને રડી લેવું તે પીડાની સર્વશ્રેષ્ઠ અભિવ્યક્તિ છે. ને તે પીડાને વહાવી દેવા, તેને સહન કરવાની ક્ષમતા આપણામાં સીંચવા સક્ષમ છે. આપણાં જીવનમાં મળેલ કોઈ સિદ્ધિ અને તેનાંથી મનને અનુભવાતી પ્રસન્નતાની અભિવ્યક્તિ પોતિકી વ્યક્તિ સાથે શેરિંગ માત્રથી તે ખુશીને બેવડાવી દે છે. આવી જ રીતે વાંચનની પ્રક્રિયા પણ અભિવ્યક્તિની અનુભૂતિની ,સંવાદની પ્રક્રિયા છે....

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Tuesday 16 November 2021

મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં નવેમ્બર- 2021  અંકમાં મારો લેખ...

"દરેક જીવ એકબીજા સાથે ચોક્કસ સિન્ક્રોનાઈઝેશનથી જોડાયેલ હોવાં જોઈએ"...💫☄️✍️✨☕

         આ દુનિયામાં દરેક સજીવ, નિર્જીવ વસ્તુઓ સંદર્ભે દુનિયામાં લય અને તાલ મળતાં ન હોત તો, પક્ષીઓનો કલબલાટ મધુર સંગીત  લાગત ખરું...!! ઝરણાનો ખડખડ અવાજ સાંભળવો આહલાદક લાગત ખરો..!! ઘડિયાળ નો કટકટ અવાજ હોય કે રાસની રમઝટ કે વરસાદના ટીપાનો અવાજ બધામાં સંગીતની એવી સુરાવલીઓ છે કે જે મનને ટાઢક આપે છે. એવી જ રીતે જે જીવંત છે, તેવાં દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિ જોડે કોઈ ને કોઈ સંદર્ભે જોડાયેલ છે. કેટલીક વાર એવું બને છે કે આપણાં શબ્દબાણથી કે વર્તનથી કોઈ નજીકની વ્યક્તિ દુઃખી હોય તો, આપણે ભલે કોષો દૂર હોય મનમાં એક બેચેની ઉચાટ રહે છે અસહજતા અનુભવાય છે. તે અકારક હોય છે. કદાચ ભૂતકાળમાં આ કહેવત પ્રખ્યાત થઈ, તેમાં ચોક્કસ કંઈક તથ્ય હશે.."કોઈને દુઃખી કરીને આપણે ક્યારેય સુખી રહી શકતા નથી". દરેક જીવ એકબીજા સાથે કોઈ ને કોઈ રીતે કનેક્ટેડ કરે છે. તે કનેક્શન કયું હોઈ શકે તે અકળ છે. પણ કદાચ ઇશ્વરનો અંશ જે દરેક જીવમાં છે તે દરેક માણસને અન્ય માણસ જોડે જોડે છે એકબીજા પ્રત્યેના ભાવ પોતાના મનોઆવરણ પર અસર કરે છે.

      આવું જ એક વનસ્પતિ નું ઉદાહરણ છે નીલ કુરિજીના ફૂલો ,જે કેરળ ,કર્ણાટકના પહાડો પર થાય છે. તે દર ચાર વર્ષે ખીલે અને એક સાથે જ મુરજાય પણ છે. બોટનીકલ ભાષામાં તેને synchronized ફ્લાવરિંગ કહેવાય બ્રહ્માંડનાં કણ કણ સુધી બધું એક ચોક્કસ નિર્ધારિત આયામોને અનુસરે છે.

          કોઈને પાડવા માટે ખાડો જે ખોદે, તે પોતે જ ખાડામાં પડે છે. એવી કહેવત છે તે સાચી એ રીતે છે કે બીજાને પાડવાની વૃત્તિ, તે ભાવ, તે વ્યક્તિનાં મનમાં સૌથી પહેલાં ઉદ્ભવે છે. બીજા માટે કાવતરા ઘડવાનો ભાવ એટલે પોતાનાં સ્વ ની મનોવૃત્તિને દુષિત કરતું કાવતરું છે. માત્ર આવો વિચાર કરવાથી આ નકારાત્મકતા , અભિપ્રેરિત થશે અને તેનો પોતાનો ઈમોશનલ મોરલ, આત્મસન્માન ડાઉન કરી દેશે. જો પોતાનું આત્મસન્માન જળવાતું ન હોય, તમારી જાત જ તમને નહી સ્વીકારતી હોય, ગિલ્ટી અનુભવતાં હશો, અપરાધ ભાવ સતત અનુભવશો, તે ખૂબ પીડા આપતી પ્રક્રિયા છે. પછી એ ખાડામાં સામેવાળી વ્યક્તિ પડે કે ન પડે તે પછીની વાત આવે.

        ક્રોધ માણસનાં  "માનસ"ને ડુબાડે છે તેની પાછળ કદાચ આ જ સાયકોલોજી કામ કરતી હશે. ક્રોધથી બીજાને કંઈ અનુભવાય  કે નહીં તે પછી આવે. પણ પોતાની અંદર મનની શાંતિનો ભંગ ચોક્કસ થઈ જાય છે. જે ભરપાઈ થતાં ઘણો સમય લાગે છે. માટે જે ભાવ બીજા માટે છે તે જ આપણાં માટે થશે. કેમકે તું, હું, આપણે , તેઓ, બધાં જ જોડાયેલા છે. વાસુદૈવ કુટુંબકમ ની ભાવના આના પરથી જ ઉદ્ભવી હોઈ શકે કે આખું વિશ્વ એક બીજા સાથે કનેક્ટેડ ,synchronize છે આખું વિશ્વ એક માળો છે. જેમાં માણસો  જીવે છે તેથી માણસાયત જીવે છે. તેથી ભાવ પ્રેમ, લાગણી, આત્મીયતા જીવે છે. પંખીની જેમ સવારે માળો છોડીને જાય અને સાંજે પોતાનાં માળામાં જ પાછા ફરે છે. તેમ પૃથ્વીના નિર્માણ સમયે બધાં સજીવો ઉદય પામે છે અને સૃષ્ટિનો વિનાશ થતા બધાં અસ્ત પામે છે.

દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી નહીં....
      દ્રષ્ટિકોણ પહોંચે ત્યાં સુધી જીવાતું હોય છે...

માર્ગ એ કેડી બને તોય,
       અજાણ્યા રસ્તે માર્ગી બનીને જ  હેડાતું હોય છે.

માલિક બનવાના તને શા હરખ ઓ માનવી!!
         તું માણસ થઈ શકે ને તોય સહજ ઈશ્વરત્વ સમીપે જીવાતું હોય છે...!!

મિત્તલ પટેલ
" પરિભાષા"

મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં નવેમ્બર- 2021  અંકમાં મારો લેખ...

"દરેક જીવ એકબીજા સાથે ચોક્કસ સિન્ક્રોનાઈઝેશનથી જોડાયેલ હોવાં જોઈએ"...💫☄️✍️✨☕

Thank you 💫✨ Sarjanhar Gujarati Megazine ✨🥰 .....My favourite article with a fantastic and beautiful nature  animation vedio... ... ....on you tube channel...🎋☕

https://youtu.be/cjVgCpe99HU

Saturday 13 November 2021

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝિન શિક્ષક જ્યોતનાં નવેમ્બર-૨૦૨૧ માં મારો લેખ....

"સંઘર્ષ અને વિરોધો" વચ્ચે  સામા પ્રવાહે તરવાની તૈયારી હોય તો જ શિક્ષક પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી, નવી કેડી કંડારવા સક્ષમ બની શકશે...."✨💫✍️








        વિપત પડે નવ વલખીએ,
                વલખે વિપત ન જાય...
        વિપતે ઉદ્યમ કીજિયે,
                ઉદ્યમ વિપતને ખાય....



        કોડિયામાંના દીપકને પણ અંધારા સાથે સંઘર્ષ કરવો પડે છે. ત્યારે તે અજવાળું ફેલાવી, પોતાની આજુબાજુ નવી ઉર્જાનો સંચાર કરી શકે છે. શું તે આ પ્રક્રિયામાં પોતે સળગતો, છોલાતો, પીડા અનુભવતો નહીં હોય? ચોક્કસ હોય જ. પણ તેનાં પ્રદીપ્ત થયા પછી, જે ઉદયનો આનંદ, પરિતૃપ્તિ  અને કોઈ સારાં કાર્ય કર્યા પછી જે સંતોષનો ઓડકાર  આવે છે તેનાં આનંદની આગળ તે સંઘર્ષ  સાવ નિમ્ન છે એ અનુભવી શકાય છે. શિક્ષક જ્યારે વર્ગમાં પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરતો હોય છે ત્યારે કંઈ કેટલીય ઈર્ષાઓ, દ્વેષભાવ, કાપાકાપીનો સામનો કરવો પડતો હોય છે. પોતે કામ કરવાની દાનત ન હોય તેવાં, આળસ અને કામચોરી જેમનાં લોહીમાં વણાઈ ગઈ છે તેવાં, પ્રગતિ સામે અદેખાઈ કરતાં હોય તેવાં, આજુબાજુનાં બીજા શિક્ષકોની વેરવૃત્તિનો શિકાર ચોક્કસથી બનવું પડતું હોય છે. 

            પોતાનાં શિક્ષકત્વ તરફ નિષ્ઠા રાખી  અને મક્કમપણે  પૂરેપૂરો આત્મવિશ્વાસ રાખી, પોતાનાં કાર્યમાં જ મગ્ન રહી શકનાર, શિક્ષક જ બાળકો માટે સાચો તારણહાર બની શકે છે. બાકી આવાં સંઘર્ષો અને વિરોધોથી ડરી જઈને, તેની સામે ઝૂકી જઈને કે બધાં માટે સારાં બનવાની વૃત્તિ સામે હથિયાર હેઠા મૂકી દેતાં શિક્ષકો જાણે-અજાણ્યે બાળકોને અન્યાય કરી બેસતા હોય છે. અને ઈશ્વરે તે શિક્ષકને બક્ષેલ ક્ષમતા, નૈતિકતાની ભાવનાની અવગણના કરી બેસે છે.  તે "સ્વ" ને સૌ માં  ખોઈ નાખે છે. અડગ રહી ,માનસિક મનોબળને મજબૂત ત્યારે જ બનાવી શકે છે જ્યારે  તે જે કાર્ય માટેનો પગાર લે છે તે કર્મ પૂરેપૂરી નિષ્ઠા સાથે બજાવે, દરેક સંઘર્ષ વિરોધોથી પર જઈને.

          "મારે બાળકો માટે કામ કરવું છે, ને હું કરીશ કોઈને ગમે કે ન ગમે" , "કોઈ સ્વીકારે કે ના સ્વિકારે" , "કોઈ સાથ આપે કે ન આપે" આ વિચાર સાથે જો કામ કરવાની ક્ષમતા કેળવી શકશો, તો જ તમે ચોક્કસ એક સારાં શિક્ષક બની શકો, એનાંથી વધારે મૂલ્યવાન એક સારાં માણસ પણ બની શકો.

      એક શિક્ષક દર વર્ષે કંઈ કેટલાંય બાળકોના જીવનને ઘડે છે. આ ઘડતરની પ્રક્રિયા સાવ સીધેસીધી તો હોઈ જ ન શકે. ઉતાર ચઢાવ, મુશ્કેલી, તકલીફો તો આવવાની જ. ને તે દરેકને આવશે. અને એમાય જેને નિષ્ઠાપૂર્વક કામ કરવું છે તેને તો અવશ્ય આવશે. પણ આ પરિસ્થિતિ એ શિક્ષક નું ઘડતર પહેલાં કરશે. તેમાં ડગવાનું નથી. હકારાત્મકતાના તેજ સામે નકારાત્મકતા બહુ લાંબા સમય સુધી ટકી શકતી નથી. શિક્ષક માંના "શિક્ષકત્વ" નું ઘડતર આ બધાં શિક્ષણકાર્યમાં આવતાં અડચણોથી થાય છે. શિક્ષક પોતે ઘડાયેલો હશે તો જ બાળકોનું ઘડતર કરી શકશે. તેમને મક્કમ મનોબળથી, પોતાનાં માર્ગમાં આગળ વધવા ,કટિબદ્ધ રહેતાં શીખવી શકશે.


         તરતું જહાજ ક્યારેય દરિયામાં આવતાં તોફાનો, વાવાઝોડા ,ભરતીની પરવા કરતું નથી. તે રીતે શિક્ષકે પોતાનામાં રહેલ શિક્ષકત્વને ઉજાગર કરવા, પોતાનામાં રહેલી ક્ષમતા અને મનોબળ એટલાં મજબૂત રાખવા કે કામ કરવામાં રોડા નાખનારા અને શાબ્દિક પ્રહારો આપોઆપ  નિષ્ક્રિય થઈ જાય.

          તમારી સાથે થતાં વ્યવહારની અસર તમારાં પર કેટલી થાય છે, તેનો આધાર તમે તેને કેવો પ્રતિકાર આપો છો તેના પર છે. તમે તેને સંઘર્ષનું માધ્યમ બનાવો છો કે આગળ વધવા માટે પગથિયા એ તમારાં પર છે.

         બાળકો માટે મક્કમપણે ઊભા રહેવું અને બાળકોનાં અધ્યાપન કાર્ય પર અસર કરતી અને જાણીને અસર કરવામાં આવી રહેલ દરેક બાબત માટે વિરોધ નોંધાવી, બાળકોનાં પડખે ઊભા રહેવું એ એક સાચાં શિક્ષકની નિશાની છે. બાકી નિર્દોષ બાળક ક્યારેય એટલું સક્ષમ બની શકવાનું નથી કે તે પોતાની સાથે થનાર અન્યાય સામે પ્રતિકાર કરી શકે. સાચા શિક્ષકે તેમનાં સારથી બનવું એ આજનાં સમયમાં ખૂબ જરૂરી છે. કેટલીકવાર સતત શાબ્દિક અને અશાબ્દિક માનસિક પ્રહારોથી ત્રસ્ત , તકલીફો અનુભવતાં, બાળકને હુંફરુપી મલમની જરૂર હોય છે. માત્ર યાંત્રિક શિક્ષણ આપીને શું કરશો? જ્યારે બાળક અંદરથી ઘવાયેલું હશે ,અંદરથી દુઃખી હશે, સતત તિરસ્કાર, ધૃણારૂપી શબ્દો, તેમને ન ભણાવીને અવગણનાના પાણી પીવડાવીને, પોતે ગપ્પા મારતાં રહેતાં, મોબાઈલ મચેડતા  રહેતાં શિક્ષકોનાં ,વર્તન વ્યવહારથી બાળકનાં મન પર ઊંડી અસર થતી હોય છે. જ્યારે આપણે સોફાના કવરને પણ સાચવી સાચવીને રાખીએ છે કે કરચલી ન પડી જાય, તો આપણાં વ્યવહારથી બાળકોનાં મનો આવરણ પર થતી કાયમી કરચલીઓ પ્રત્યે બેદરકાર કેવી રીતે બની જઈએ છે! આપણાં વ્યવહારથી તેમનાં મન પર થતાં ઊંડા આઘાતો કેમ ફિલ નથી થઈ શકતાં! સાચાં શિક્ષક માટે તો આ બધી બાબતો અસહ્ય જ રહેવાની.

         બાળકો સાથે ઓળઘોળ થઇને પોતાનું શિક્ષણ કાર્ય કરતો શિક્ષક જ આ વેદના સંવેદી શકે છે. જેની માટે સારું સારું બોલવું સ્વભાવ નથી હોતો. બધાથી અલગ પડી જઈ, અટુલા થઈ જવાનો ડર નથી હોતો કેમકે જેમની સાથે બાળેશ્વરો જેવાં નિર્દોષ જીવોની વચ્ચે જીવવાનો અવસર મળે તે જ તેમની માટે રોજ ઉત્સવ જેવું રહે છે. રોજ દિવાળી હોય પછી દૂર દૂરનાં અંધારાને જોવાનો ક્યાં સમય મળે છે...!!

         શિક્ષક બાળકોનું ઘડતર કરે તે પહેલાં બાળકો શિક્ષકમાં રહેલ "માનસ" નું ઘડતર કરે છે. અને તે ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે બાળકો સાથે આત્મીયતાથી કનેક્ટ થઇને રોજ જીવતા હો. શિક્ષકને તો બાળકો નિર્દોષતાના, નિસ્વાર્થતાના, કપટ વગર જીવવાના પાઠ શીખવે છે. આજે આવી કોઈ પાઠશાળા આખી દુનિયામાં નથી કે જ્યાં આવા પાઠ કોઈ શીખવતું હોય! તો આ ઋણ ચૂકવવા શિક્ષકે પોતે તો સજ્જ થવું જ પડે. શાળા સમયમાં માત્ર ને માત્ર બાળકો માટે જ વિચારવું, બાળકો માટે જ જીવવું અને બાળકોના સર્વાંગી વિકાસના ઘડતરના સહભાગી બનવું તે અનિવાર્ય ફરજ છે. ને તેમાં અડચણરૂપ દરેક બાધાઓનો સામનો કરવા સક્ષમ બનવું, સજ્જ બનવું તે નૈતિક જવાબદારી છે.


વહાવી જાણે છે નદી,
      એ કચરાને વહેણમાં...

તું તારી ક્ષમતાને પુરવાર કરી,
      વહેણ બદલી તો જો....

સતત વિવાદ એ સંવાદમાં પરિણમશે
      તું વૈશ્વિકતાને, નૈતિકતા માં મુલવી તો જો....

આગળ વધવું અને આગળ વધારવું,
      એ નક્કી તારાં જ હાથમાં છે...

તું મુઠ્ઠી બંધ કરી, નૈતિક મનોબળથી,
       શિક્ષકત્વને શોભાવી તો જો....


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ