Friday 16 April 2021

વસવસો નહીં.. ઉમંગોનો તડકો લઈને જીવું છું.....
            આખેઆખા અસ્તિત્વનો ભરમાર સતત લઈને જીવું છું...

તોતિંગ ભયને સંકેલુ પળવારમાં કોરાણે....

            છે તબીબ સાથે, એટલે જ મારું આકાશ લઈને જીવું છું...

વરસી શકુ ભરપૂર તેવું ભોમ છે સંગાથે...

           તેથી જ આરપાર નહીં, સદંતર એકાકાર થઈને જીવું છું.....

તરવું નહીં, ડૂબવું બને છે  વહાલના એ દરિયામાં..
       હર ક્ષણના પોણા ભાગની ઉજવણી કરીને જીવું છું....

શ્વસી શકુ એ શ્વાસને....સતત શ્વાસની સાવ અડોઅડ.....
           મારામાં મારી તેથી જ બાદબાકી કરીને જીવું છું....

મિત્તલ પટેલ
"પરિભાષા"
       
        



               

Thursday 15 April 2021

ઝરણામાં ફૂટે પથ્થરની કૂંપળ જ્યારે....🌱🌊🌵

                કેટલીકવાર થોડુંક મજબૂત માનસિક મનોબળ મોટામાં મોટી મુસીબતોની સામે મજબૂતાઈથી ટક્કર ઝીલવા અકસીર વેક્સિન પુરવાર થાય છે.ને કેટલીકવાર આ માનસિક મનોબળ પોતીકી વ્યક્તિનાં તદ્દન વિરોધાભાસી અને આઘાતજનક વ્યવહાર અને વર્તનથી સાવ જમીનદોસ્ત થઈ જાય છે. આમાં ટકી રહેવા જે આપણે સૌ મથતા હોઈએ છે. તે મંથનમાંથી જીવનની એક નવી વ્યાખ્યા મળે છે કે દરેક મુશ્કેલીનો સામનો "સ્વ" બળે, આંતરિક તાકાતના પ્રકાશપુંજથી કરી શકાય છે. તેનાથી આપણે ઇમોશનલી, માનસિક રીતે સ્વાશ્રયી બનીએ છીએ. ને ત્યારે સમજાય છે કે લોખંડના સળીયાવાળી જેલ કરતાં આપણે આપણા લાગણીતંત્ર ની દોર કોઈનાં હાથમાં સોંપી દઈ જે માનસિક કારાવાસ ભોગવીએ છે તે વધારે પીડાદાયક અને સ્વને ક્યારેય આગળ ન આવવા દેતી જેલ છે.

             ક્યારેક આપણને અનુભવો જે થાય છે તેનું અર્થઘટન કરવામાં પણ આ ઈમોશનલ ડિપેન્ડન્સી આડે આવે છે. સતત મન અને મગજ વચ્ચે થતા સંઘર્ષને લઈને જીવવું ક્યારેય સરળ નથી હોતું. તે માનસિક રીતે આપણને નીચોવી નાખે છે. આ નિચોડ ક્યારેક સર્જનના સ્વરૂપે ચીતરાય પણ જાય પણ તેની પીડા ની મહેંદી રચવી ને હ્દયમાં કોતરણી કરી રંગવી ક્યારેય સહેલી નથી હોતી.

           અકળ લાગતી આ ઝાકળ જેવી દુનિયામાં વ્યસ્ત થઈ એ તો વ્યસ્તતા કદાચ આપણને આ બધાથી પર રાખી અથવા પડદો પાડી દઈ જીવી લેવા પ્લેટફોર્મ આપે છે પણ જ્યારે જાતને મળીએ એકલાં પડીએ ત્યારે બધા જ આગળ પડદા હટી જાય છે અને વાસ્તવિકતાનું વિકરાળ સ્વરૂપ સમક્ષ આવી ઊભું રહે છે.

ખડક બની જાય ઝરણું ક્યારેક...
         ઝરણામાં ફૂટે પથ્થર ની કૂંપળ જ્યારે..

તોતિંગ બની જાય એ કૂંપળ તો વહી ન શકાય ઝરણાથી...
          ખડકની ભીતર ખડક પાંગરે ને હૃદ- ખંડાય જ્યારે...

             કલમને ઉખાડી શકાય, વૃક્ષને ઉખાડવું સહેલું નથી. તેને કાપી શકાય, સળગાવી શકાય પણ  ઉખાડી નાખવું જરાય સહેલું નથી હોતું. બસ આમ જ લાગણીતંત્રના મુળિયા જેટલાં ઊંડા તેટલાં તેને ઉખાડવા અઘરા. તેને ઉખેડવા એટલે માહ્યલામાંથી જાતને ઉલેચવી એવો અનુભવ થાય એવું કહી શકાય. પણ કેટલીકવાર જાતને ઝંઝોળી ને નિંદર માંથી જગાડી વાસ્તવિકતાના દર્શન કરાવવા એટલા માટે જરૂરી હોય છે કે જીવન પૂરું થાય ત્યાં સુધી સાચું જીવવું હોય છે. સાચાં નો સ્વાદ ભલે કડવો હોય પણ તે પ્યોર હોય છે ને પાચ્ય પણ. તે માનસિક સ્વાસ્થ્ય બક્ષતો પણ.પણ તે માટે પોતાની જાતને સાચાના આ કડવા સ્વાદનો અનુભવ આપતા રહેવું ઘુંટડા થોડાં વાસ્તવિકતાના પીવડાવતા રહેવું ખૂબ જરૂરી છે આ તક આપણને તકલીફ મુસીબતો આપે છે અને તે હમણાં કોરોના સમયમાં આપણે લઈ રહ્યા છે.. ખોખલા દેખાડા ,પૈસા ,એવોર્ડો, ફરિયાદો ,રોદણાં ,ખાલીપો ની પાછળ બધાં પડ્યા હતાં ત્યારે હાલ જે વાસ્તવિક યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં બધું હોમાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય, માનવતા, સંબંધો ,પોતાનાપણું નાના નાના સાચા સુખની ક્ષણો, સતત આપણે જેની અવગણના કરી રહ્યાં હતાં બધાનું મૂલ્ય આપણને આ સમય શીખવી રહ્યો છે. કોઈ કોઈને ઇચ્છવા છતાં, ભાવ હોવા છતાં, મદદ કરી શકવા સક્ષમ નથી આપણે માત્ર કુદરતનાં કઠપૂતળી જ છીએ છતાં હમણાં સુધી અહમ, દંભના આચળા હેઠળ "અહમ્ બ્રહ્માસ્મિ" નાં શ્લોક ગોખી જિંદગી જીવતાં હતાં. તડકો ન હોય તો ઠંડકનો અહેસાસ ન થાય. તેવી જ રીતે આ કપરી પરિસ્થિતિનું વાવાઝોડું જ્યારે સમી જશે ત્યારે થોડુંક માનસિક તંત્રના આખા રીનોવેશન સાથે આપણે બહાર આવી શકીશું.

ત્યજી ન શક્યો ક્યારેય અહમ્ તું તારા ભ્રમનો......

          તું તારો  થઇ શકત તો ય ઘણું હતું...

વહી ન શક્યો તું વ્હેણની ધારે ધારે....

           તારી શક્યો હોત સ્વને બની તરોપુ પોતીકુ તોય ઘણું હતું.....

મિત્તલ પટેલ
" પરિભાષા"
 અમદાવાદ
mitalpatel56@gmail.com

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં એપ્રિલ- 2021 અંકમાં મારો લેખ...

🌷  જવાબદારી--- એક નૈમિત્તિક કર્મ.....🎨🧬


         ઈશ્વરે આપણને સૌને એક નિમિત્ત બનાવીને પૃથ્વી પર જન્મ આપ્યો છે. તે નિમિત્તતા પુત્રી સ્વરૂપે હોય કે પત્ની સ્વરૂપે કે મિત્ર સ્વરૂપે અથવા વ્યવસાયિક કંઈપણ જેમ કે શિક્ષક તરીકે. તે માટેના નૈમિત્તિક કાર્યો આપણે કરવાં પડે છે. તેને આપણે ક્યારેય નકારી શકતાં નથી. જેને આપણે દુનિયાની ભાષામાં "જવાબદારી" કહીએ છીએ. એક્ચ્યુઅલી તે આપણાં નૈમિત્તિક કર્મો જ છે. પ્રશ્ન ત્યાંથી શરૂ થાય છે જ્યારે "મે આના માટે આટલું કર્યું"  , "મેં બાળકો માટે, પતિ માટે ,મિત્ર માટે આટલું કર્યું" એવા ભાવ મનમાં પાંગરે છે. અરે તમે જે કરી રહ્યા છો તેનાં માટે તો તમે એક નિમિત્ત માત્ર છો. તમે ન હોત તો બીજું કોઈ હોત. તેમાં તમે કોઈ ઉપકાર નથી કર્યો. પણ અહીં સંબંધમાં જ્યારે "મેં કર્યું" નો ભાવ આવે છે. "હું "ત્યાં વજનદાર બની જાય છે અને ત્યાંથી તણાવ ઉત્પન્ન થાય છે. દરેક સંબંધમાં આપણે ગણિત કરવા માંડીએ છે. આના માટે મેં આટલું કર્યું એટલે તેને આટલું તો કરવું જ પડશે. ન કરે તો સબંધનો અર્થ નથી. સામેવાળી વ્યક્તિ સ્વાર્થી છે એવું વિચારવા માંડીએ છે. શું એ યોગ્ય છે? શું આપણે આપણી ફરજ માં આવતાં દરેક નૈમિત્તિક કાર્યો કરીને યજ્ઞમાં આહુતી આપીએ તેમ "મેં કહ્યું" નાં ભાવને સ્વાહા ન કરી શકીએ? કોઈ પણ કાર્ય કરતી વખતે, કોઈનાં પણ માટે કાર્ય કરતી વખતે "હું માત્ર નિમિત્ત છું" એવો ભાવ રાખી શકીએ તો કોઈનાથી કોઈ ફરિયાદ, અપેક્ષા કંઈ જ ન રહે.

        સૌથી મોટી જવાબદારી આપણી પોતાનાં માટેની છે. પોતે સાચાં રસ્તા પર છે. પોતાની ફરજ બરાબર નિભાવીએ છે કે કેમ! મારાં થકી કોઈ સાચો વ્યક્તિ દુઃખી તો નથી થઈ રહ્યું ને! હું મારાં નૈમિત્તિક કર્મો પુરી પુરી નિષ્ઠાથી નિભાવી રહ્યો છું  ખરો!! તેની સમયાંતરે ચકાસણી સ્વમૂલ્યાંકન કરતાં રહેવું પડે. જિંદગી બહુ ઝડપથી પસાર થઈ રહી હોય ત્યારે એ દોડમાં દોડતાં દોડતાં થોડાં થોડાં અંતર પાછળ વળીને આપણે પસંદ કરેલ રસ્તો સાચો તો છે ને! તે ચકાસતા રહેવું ખૂબ જરૂરી છે

   નિમિત્ત બનવું એ વિકલ્પ નથી એક સંદર્ભ છે...
                     તું તારી નૈતિકતા ખુદની જોડે ચકાસી તો જો...

"હું" ભાવ ને બાદ કરી...
             સગવડિયા ધર્મને તું થોડો ફંફોસી તો જો.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ


Thursday 8 April 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી રેગ્યુલર કોલમ....."પરિભાષા".....નો લેખ......

"બાળકોનાં મનોઆવરણ અને મનોવલણ પર "કોરોના" ને હાવી થતાં રોકો...🍀"

              સમાચારપત્રોમાં ટીવી પર સતત આવતાં કોરોના ન્યુઝ, મોબાઇલમાં કોરોના અપડેટની બાળકોની હાજરીમાં થતી સતત ચર્ચા, કુટુંબમાં નજીકનાં સંબંધીઓને કોરોનાના ઝપેટમાં આવવું, કેટલાંકનુ મૃત્યુ થવું આ બધાં વાતાવરણની અસર બાળકોનાં મનોઆવરણ પર ધીમે ધીમે થઈ રહી છે. દોઢ વર્ષથી શાળાથી દુર, મિત્રોથી દૂર, ઘરમાં ગોધાયેલું ચંચળ, ઉછળકૂદ કરતું એ વિહ્વળ મન હવે ધીમે ધીમે સ્ટ્રેસ અનુભવી રહ્યું છે. જેનાં વિશે તે શબ્દોમાં ક્યારેય અભિવ્યક્ત નહીં થઈ શકે. કેમકે હજી તે જીવનની નાની-મોટી આફતોનો સામનો કરતા શીખ્યો નથી. ઘડાયો નથી. ત્યાં તો અચાનક આવી પડેલા અકલ્પનીય અને અનિશ્ચિત સમયની આ મહામારી માટે માનસિક રીતે સતત ગુંગળાઈ રહ્યો છે. ગૂંચવાઈ રહ્યો છે. સતત ભાઈબંધોની ટોળકી સાથે ઉછળકૂદ કરતો ક્રિકેટ, બેડમિંટન જેવી રમતોમાં મશગુલ રહેતો સામાજિક પ્રસંગો તહેવારોમાં સોશિયલી કનેક્ટ રહેતો, સતત માણસોથી ઘેરાયેલો રહેતો બાળક આમ સાવ અચાનક લાંબા સમયથી એકલો અટૂલો પડી જાય ત્યારે જબરજસ્ત માનસિક મૂંઝવણ અનુભવે છે અને આ પરિસ્થિતિ એક ઊંડી છાપ તેનાં મનોઆવરણ પર છોડી જાય છે. કોરોના જો પુખ્ત વ્યક્તિને ડિપ્રેશનની સ્થિતિ તરફ ખેંચી જતી હોય તો બાળક તો હજી તે સ્ટ્રેસ સાથે લડતાં પણ શીખ્યો નથી અને આપણાં સૌની ફરજ છે કે તેમને આ સ્ટ્રેસથી દૂર રાખવા,કોરોનાની બાળકનાં મનોઆવરણ પર ઓછામાં ઓછી અસર થાય તે માટે પ્રયત્ન કરવાં.

            આ સમય બાળકોને આપણાં કવોલીટી timeની  વધું જરૂર રહે છે. નોકરી કરતાં માતા-પિતા ઘરે જાય ત્યારે બીજું કામ થોડીવાર સાઈડ પર મૂકી બાળકો સાથે વાતો કરી શકે. તેમની મુંઝવણ વિચારોને વાંચા મળે, ખુલી શકે તેવું વાતાવરણ આપી શકાય. શનિ રવિમાં તેમની સાથે બેસી તેમને ગમતું કોઈ સારું મૂવી જોઈ શકાય. તેમણે ઇન્ડોર ગેમ રમી શકે તેવી વસ્તુઓ, બાળકોના ચિત્રોવાળા નવાં પુસ્તકો ખરીદી કરી આપી શકાય, બે-ત્રણ મિત્રો ભેગા થઈને ગેમ રમી શકે, કોરિડોરમાં ક્રિકેટ, ટેનિસ જેવી રમતો રમી શકે તે માટે પ્રોત્સાહિત કરી શકાય. વિડીયોકોલ થી સમયાંતરે સગા સંબંધી જોડે વાત કરાવી શકાય. તેના જૂના મિત્રો સાથે ફોન પર વાત કરી કનેક્ટેડ રાખી શકાય.

           આ સમયમાં બાળકને મા-બાપની દાદાની હુંફ અને પ્રેમની સતત જરૂર પડે છે. બાળક સુનમુન થઈ જાય, સતત કોરોના વિશે વાત કરી ચિંતિત જણાય. નીરાશ થતું લાગે, ક્યારે કોરોના ની વાત કરી ડરતું અને રડી દેતું જણાય તો ખાસ ચેતી જજો. આ કોરોના શારીરિક તો નુકસાન કરે જ છે માનસિક વધુ નુકસાન કરે છે. તો બાળકને  વ્હાલથી હગ કરી 'બધું સારું થઈ જશે'  'આ સમય પણ જતો રહેશે' એવી શાબ્દિક હુંફ આપવાની અત્યંત જરૂર પડે છે.

           આ સમયમાં બાળકને નવી નવી પ્રવૃત્તિ તરફ ડાયવર્ટ કરી શકાય. ઓનલાઈન વિડીયો જોઈને નવી નવી લેંગ્વેજ ફ્રેન્ચ, જાપાનીઝ શીખવા પ્રેરિત કરી શકાય. નવાં નવાં કુંડા, છોડ લાવીને પ્લાન્ટેશન તરફ વાળી શકાય . ઘરમાં મોર્નિંગ થોડાં મ્યુઝિક સાથે થતી હોય તો સંગીત સ્ટ્રેસ રિલીઝ કરવા ઉત્તમ સાધન બની શકે છે. પિયાનો, ગિટાર , તબલાં જેવાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓનલાઈન શીખવા પ્રેરિત કરી શકાય. કોઈપણ રીતે બાળકને પ્રવૃત્તિશીલ ,સતત મગ્ન ,નવું નવું શીખવામાં, રમવામાં મશગુલ રાખી આ કોરોનાની મહામારી ને બાળકનાં મન પર હાવી થતાં રોકી શકાય.

મિત્તલ પટેલ 
"પરિભાષા "
અમદાવાદ
 mitalpatel56@gmail.com