Wednesday 25 August 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"જીવનમાં મુશ્કેલીઓ આપણાં મનોબળને મક્કમતાના પાઠ શીખવવા જ આવતી હોય છે..."💫🪐


રસ્તાને કદી પૂછતાં નહીં કે- 'મંઝિલ કેટલી દૂર છે'!
      મુસાફરીનો આનંદ આપવા તે તો સ્વયં કટિબદ્ધ છે...

સણસણતો વિવાદ ઘડીક આંખ ઉઘાડે એવોય હોય...!!

        વ્યાપારીકરણ વાતનું થાય ,
              સંવાદ તો હજીય શ્વાસ છે...!!

          સાવ સરળતાથી મળી જાય મુશ્કેલીઓના તાપમાં તપ્યા વગર,વિરોધોના વાવાઝોડામાં છોલાયા વગર, ઈન્જર્ડ થયા વગર, તે સફળતા તાર્કિક અને મૂલ્યમાં રસકશ થોડો ઓછો હોય એવી પણ હોય. તેનાં આનંદની અનુભૂતિ અનુભવવાની ત્રેવડ પણ આપણે કદાચ ન કેળવી શકીએ એવું પણ બને.

         રંજીસ ઇતની સી બાકી રહ ગઈ હૈ અબ તો....
            મંઝિલ સામને હૈ ઔર હમ મે "હમ" ગૂમસુદા હૈ....!!

         અનુકૂળ સંજોગો હોય, બધું આપણને ગમતું જ જીવનમાં થતું હોય, ત્યારે તો પોઝિટિવ વાતો બધાં કરે. હકારાત્મક સતત વિચારવાની અને અનુસરવાની ક્ષમતા બધાની હોય. પણ સફળ તે જ થાય છે જે બધાં પાસાં અવળા પડતા હોય, ચારે બાજુ વિરોધનો વંટોળિયુ હોય, નીચે પાડવાવાળાઓની હોડ જામી હોય, કોઈ સ્પષ્ટ રસ્તો ન જ દેખાય સતત પ્રયત્ન કરવાં છતાં પણ. ત્યારે નકારાત્મકતાને પોતાનાં વિચારોથી અલિપ્ત રાખી શકો, પોતાનાં પરનો વિશ્વાસ, "જાત પરની શ્રદ્ધા" અકબંધ જાળવીને એક હકારાત્મક અભિગમ સાથે, કોઈ જ દ્વેષભાવ રાખ્યા વગર મક્કમપણે પોતાનાં કર્મમાં તન્મય રહી શકો તો તે જ વ્યક્તિ મજબૂત મનોબળ નો અભેદ્ કિલ્લો ઘડવા પોતે સક્ષમ બને છે.


તોડી નાખે મારામાં મને તે વ્યથા કંઈ હશે...!!
       ખખડધજ દિવાલ પર પીપળાને ઊગી નીકળેલ જોયો છે...!!

           જીવનમાં આવતી ઘટનાઓ, સંજોગો ,પરિસ્થિતિનો સામનો તો દરેકને મને કે કમને કરવો જ પડે છે. પણ તે કેવી રીતે કરો છો? તમારાં સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને કરો છો કે અડગ રહીને. તમે પોતાનાં આત્મવિશ્વાસને ખોઈ બેસો છો કે તકલીફ ની આંખોમાં આંખ મિલાવી તેને નજર નીચે કરવાં મજબૂર કરી દો છો . ડરો છો કે "ડર" ની સંકલ્પના ને overcome કરી તેને ટેકા બનાવો છો. બીજાનાં ઉપકારની અપેક્ષાઓના વ્યંજન જમો છો કે પોતાનાં પગ પર ,પોતાનાં દરેક નિર્ણયનાં પરિણામ માટે પોતે મજબૂત અને જવાબદાર બનવા કટિબદ્ધ બનો છો. અને આ બધી બાબતો તકલીફોમાં વ્યક્તિનું ઘડતર થશે કે માણસમાં "સ્વ"નું ચણતર તે નક્કી કરે છે.

         "આવું મારી સાથે જ કેમ?"જ્યારે આવો પ્રશ્ન થાય ત્યારે જાતને એક વાત કરી લેવી કે ઈશ્વરને અને કુદરતને તમારાં પર શ્રદ્ધા છે. કોઈ સારાં કાર્ય માટે તમને નિમિત્ત બનાવવાં તમારામાં જે ઘડતરની જરૂર છે, તેનાં પાયારૂપ આ પરિસ્થિતિ છે. ફળદ્રુપ જમીન પર જ મબલક પાક લઈ શકાય. બાકી બિયારણ, દવાઓ કંઈ કેટલીય માવજત કરીએ તોય તે બંજર જ રહે. આવી જ રીતે જેનાં "માનસ"માં હજી સંવેદના જીવંત છે. તેવા ફળદ્રુપ વ્યક્તિત્વમાં જ "સંજીવની"ની લણણી કરવાનું અને મબલખ સારાં કાર્યો માટે નિમિત્ત બનવાનું અહોભાગ્ય પ્રજ્વલિત છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

     

 

Thursday 19 August 2021


Listen me on YouTube channel...
https://youtu.be/rX3nQbgrEmQ


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

તમે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અને એકાત્મ સાંધી શકો છો ખરાં..!!🏜️🏞️🌊🌕

      પંખીઓનાં અવાજ ને તમે સ્પંદી શકો છો ખરાં !! એ પહાડ પરથી આવતા ઠંડા પવનની લહેરખી તમને અડકીને જાય અને તમે તેને સામે સ્પર્શી શકો છો ખરાં !! આભલામાં વાદળા સુરજ જોડે સંતાકુકડી રમે ત્યારે સાવ ઉભળક રંગોની રંગાવલીની રંગત માણી શકો છો ખરાં!! સાંજની "સાજ" ને સાંભળીને સ્મરણના ભાથાને સ્મરી શકો છો ખરાં !! એકતારો વાગતો હોય ત્યારે હ્દના ભાવોને તેમાં આકારી ને ઢાળી શકો છો ખરાં !! કોક વાજિત્ર ભીતર પણ સંગીત રેલાવે છે તેની સુરાવલીને, રંગતને અનુભવી શકો છો ખરાં !!

આ કુદરતની કમાલ છે દોસ્તો..

     ઝાડવાને પવન સાથે સંવાદ કરવા ફોન નથી કરવો પડતો...!

આકાશને તારલાને મળવા રસ્તો નથી શોધવો પડતો...!

અસહ્ય ઉકળાટ વરસાદને વ્હાલ કરાવે...
મોરલા નું નૃત્ય સતરંગી દર્શન કરાવે...

       આ દ્રશ્યને એડિટિંગ નો મેકઅપ નથી કરવો પડતો...!

પવન કાનમાં કંઈક રહસ્યમય સભળાવી જાય તેનો પડઘો નથી શોધવો પડતો...!

દરિયાને  આભ સાથે ભળવા મેળાપ નથી કરવો પડતો...!

        કેટલીકવાર આપણા મનમાં ચાલતાં સતત વિચારોનો ઘોંઘાટ અને મહત્વકાંક્ષાઓના અવરોધો આપણને પ્રકૃતિમય થતાં રોકે છે આજુબાજુ કંઈ કેટલાંય પંખીઓનો મધુર કલરવ થતો હોય, ખળખળતાં ઝરણાં અને ઉમંગોના મોજા સાથે ઘુઘવાટા દરિયા હ્દને ભીંજવવા સંદર્ભ શોધતાં હોય, અને આપણે સતત આપણાં વિચારોના કાગારોળમાં જ અટવાયેલા રહીએ છીએ. આપણે માત્ર"મારાપણા" માંથી બહાર નીકળી શકીએ, આપણાં વિચારોનાં ગૂંચવાડાને સાઈડ પર મૂકી ખુલ્લાં મને પ્રકૃતિનાં દરેક લય સાથે લય મેળવી શકીએ, ત્યારે જ ખુશી અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ સમજાશે. સાચી પ્રસન્નતાની પરિભાષા સમજાશે જે લાખો રૂપિયા ખર્ચી રિસોર્ટ કે પર્યટન સ્થળે જવાથી ન પામી શકાય.

              આપણે મોટેભાગે ભૂતકાળનાં પૃથક્કરણમાં અને ભવિષ્યનાં પ્લાનિંગમાં જીવતાં હોઈએ છે. એટલે જ વર્તમાનની આવી અમૂલ્ય ક્ષણોનો સાક્ષાત્કાર કરી શકતાં નથી. સાધન અને સાધ્યમાં વીતી જતા આયખામાં પ્રકૃતિનાં પરિપેક્ષ્યમાં, કુદરતનાં નિયમ પ્રમાણે જીવતાં શીખી જઈએ,"જેવું વાવીએ એવું જ પામીએ"એ સૂત્ર નો હાર્દ પામી શકીએ, તમારાં અન્ય વ્યક્તિઓ માટેનાં ભાવ અને તમે કરેલ સાચાં ખોટાં કર્મોનાં હિસાબ કુદરત આપોઆપ કરતી હોય છે તેવું આત્મસાત કરીને જીવનને વાવતા શીખીએ તો લણણી સત્વની કરી શકીએ. તમારા વાણી-વર્તન અને વિચારમાં ઐક્ય રાખીને જીવી શકો તો જ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવી શકો.

         મનનાં ભાવોને માણસ ન પામી શકે, કુદરત જ પામી શકે અને જાણી શકે તદુપરાંત તેને મુલવી પણ શકે. જીવનમાં કેળવેલ મૂલ્યોના આધાર પણ કુદરત પાસેથી જ મળી શકે. વરસાદ ક્યારેય ભેદભાવ રાખીને નથી વરસતો. એક ઝાડવું બીજા વૃક્ષ સાથે કદી દ્વેષભાવ નથી રાખતું. પંખીને દાણા ન મળે તોય ,અસ્તિત્વના જોખમમાં પણ અન્ય પંખીઓ સાથે કપટ રહિત રહી, સુમેળપૂર્વક ઉલ્લાસ પૂર્વક જીવે છે. આકાશ કંઈ કેટલાંય તારલાઓને પોતાનામાં સમાવે છે. એ હ્દ ની વિશાળતા પ્રતિપાદિત કરે છે. અન્ય વ્યક્તિનાં સદગુણો , દુર્ગુણો, તેમની ભૂલો, જીવનને સમજવા માટેની તેમની મથામણો દરમિયાન રહી ગયેલ સ્વભાવગત ઉઝરડાઓ, સાથે તેમનો સ્વીકાર એ માનવતાને પૃથ્વી પર ટકાવી રાખવા માટે આજના જમાનામાં તાતી જરૂર છે.

તું તારામાં ઊગી  તો જો...
      ઉગ્યાં પછી સહજ પણે આથમી તો જો...
જીવન-મરણના આ વચેટિયા ઝોલા માં
     નિરાકાર સાથે પોતાને આકારી તો જો...

આંખો શ્રુત બને અને સાંભળે "અશ્રાવ્ય" ને...

      સ્થૂળ ઓળખને પ્રકૃતિમાં થોડી ભૂલાવી તો જો...

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

     

 

Tuesday 17 August 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં ઓગસ્ટ- 2021 અંકમાં મારો લેખ...


"કોઈનાં જીવનમાં આપણી જગ્યા હોવી અને સ્થાન હોવું બંને અલગ છે..."

  

       કેટલું અઘરું છે વ્યક્તિવિશેષ બનવું કોકના જીવનમાં..!!
               સબંધી બનવું સહેલું હોઈ શકે..


કેટલું અઘરું છે રસ્તે માર્ગદર્શક બનવું....!!
              સલાહકાર બનવું સહેલું હોઈ શકે...

કેટલું અઘરું છે સ્વીકાર માણસનો "માણસ" તરીકે કરવો...!!
              તેમનાં ગુનાઓના વકીલ બનવું સહેલું હોઈ શકે.....


      
            પ્રયત્ન કર્યા વગર સહજપણે જે વર્તન થતું હોય કે ભાવ અનુભવાતો હોય છે  તે  વ્યક્તિના માનસ પર ઊંડી છાપ છોડી જાય છે. નહીં કે સારી ભાષાઓમાં કરેલાં વ્યવહાર. લોહીનાં સંબંધો બાય ડિફોલ્ટ બંધાય છે. પણ તે સંબંધોમાં ભાવનો, લાગણીનો બંધ તો આપણે જ બાંધવો પડે છે અને યોગ્ય સમયે તેનું સમારકામ અને માવજત પણ કરવી પડે છે. તેમનાં જીવનમાં આપણી સંબંધરૂપી માત્ર "જગ્યા" હોય તો પૂરાઈ પણ જઈ શકે. તેનું રિપ્લેસમેન્ટ પણ થઈ શકે. પણ જો "સ્થાન" હશે તો માત્ર તમે જ હશો.તમારું સ્થાન બીજું કોઈ નહીં લઇ શકે. સંબંધનું આ લેવલ દરેક વ્યક્તિ કદાચ ન સમજી શકે. કારણ કે દરેક પોતે બાંધેલાં એક દૃષ્ટિકોણથી જ વ્યક્તિને નિહાળે છે. કેટલીકવાર આપણાં કોઈ શિક્ષકે કહેલ કે લખીને આપેલ થોડાંક શબ્દો આપણને જીવનભર યાદ રહે છે. અને આપણને જીવનની ઘણી પરિસ્થિતિમાં દિશા સૂચન પણ કરે છે .પ્રેરણા આપે છે. અને તે શિક્ષકનું આપણાં જીવનમાં એક ચોક્કસ સ્થાન બની જાય છે. તેવું જ કોઈક વ્યક્તિ એ આપણને સ્વાર્થ વગર, સંઘર્ષના સમયમાં કરેલ મદદ, માનસિક સપોર્ટ તે વ્યક્તિનું આપણાં જીવનમાં એક અનામી સ્થાન બની જાય છે એક "માણસાઈ"નું  સ્થાન. આજે સમાજમાં માણસાઈ મરી પરવારી છે મોટેભાગે. લાગણી પણ અહીં સંબંધ અને સ્વાર્થનાં ઓથ હેઠળ દાખવવામાં આવે છે. ત્યારે આપણાં જીવનમાં માનવતા દાખવતાં માણસોના પગલાં જીવનભર રહી જાય છે.


માનવતાની કોઈ પ્રયોગશાળા નથી હોતી...
        વેદના કોઈની, પોતે સમાન માત્રામાં અનુભવી, સંવેદી શકે તે જ સાચો "માણસ" છે.



         કેટલાંક માણસો પૃથ્વી પર ઈશ્વરની ટપાલ સ્વરૂપે આવતાં હોય છે. જેનાં લીધે આ દુનિયા ટકેલી છે. માનવતાનું ઊર્ધ્વીકરણ તેમનાં સત્કર્મોથી આપોઆપ થાય છે. ચારે બાજુ દૂષણો, સ્વાર્થની વચ્ચોવચ્ચ જીવતાં હોવાં છતાં, સંઘર્ષોથી સતત છોલાતા રહેતાં હોવાં છતાં, અગરબત્તીની સુવાસની જેમ અન્યનાં જીવનનાં ઉત્કર્ષ માટે સતત કાર્યાન્વિત રહે છે. અને તેઓ કેટલાંય લોકોનાં જીવનમાં અતુલ્ય સ્થાન ધરાવતાં હોય છે.


ઝાકળબિંદુનું સ્થાન જેમ પાંદડા પર... 

                  ને પતંગિયું બેસે  ફૂલ પર..

રસવાઈ દીર્ઘઈ બેસે જેમ શબ્દ પર..
               ને ભાવ બેસે અર્થ પર .....

સ્થાન તો સહજ બને છે, જેમ સંવાદ થાય સહજ અપવાદ પર....


મિત્તલ પટેલ
"પરિભાષા"

Thursday 5 August 2021



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"પલળવું સહજ બને છે, ભીંજાવું એ સંવેદનાનો ભીતરથી ઉજવાતો ઉત્સવ છે"....

   

       અક્ષ  દેખાય તો જ "પોતાની" અનુભૂતિ થવી શકય બને છે. દર્પણ વગર પોતે પોતાને જોવું શક્ય છે ખરું? તેવી જ રીતે તોતિંગ સપનાઓ ભલે ભીતર ખળભળે, પણ જીવાય તો તારે જ છે જ્યારે વરસાદ સમું ધોધમાર વરસી શકાય તેવું ભોમ સંગાથે હોય.સવેદનાનો પડઘો માણસને જિવાડે છે. નૈમિત્તિક કર્મો કરવાં આધારશીલા બને છે.

        પલળવા અને ભીંજાવાની પરિભાષામાં ફરક એટલો જ છે કે પલળવું ઉપરછલ્લું બને છે જ્યારે ભીંજાવા તો ભીતરથી છલોછલ થવું પડે. પોતાને પોતીકી માયા લાગે, વ્હાલપનું  રજવાડું આંગળી પકડે, ત્યારે વાદળીનો ઝણકાર મનનાં તારને રણઝણાવી શકે. વરસાદનાં ટીપાંના નૃત્યને, તેનાં રણકારને તહેદિલથી અનુભવી અને માણી શકીએ.

ક્યાં કોઈ શૃંગારનો મહોતાજ હોય છે..!!
                વરસાદી ઝાંઝરનો ઝણકાર અને મેઘધનુષી કટિબંધ તેની કાતિલ પરિભાષા છે.

          પ્રકૃતિને માણવા તો પ્રકૃતિમય થવું પડે. પ્રકૃતિનાં સ્વભાવમાં આગળવુ પડે. તરલતા વિચારોમાં અને દ્રષ્ટિકોણમાં કેળવવી પડે. અઘરાપણામાંથી બહાર આવી બધી ગૂંચોને  ખંખેરીને સહજ થવું પડે.

અઘરું બનવું સરળ છે..
       સરળ બનવું અઘરું છે.

        મન અને મગજ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ દરેક વ્યક્તિ પોતાનાં જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક તો અનુભવતાં જ હોય છે. મગજ જે તર્ક સમજે છે, તેનું અર્થઘટન કરે છે અને નિર્ણય લે છે, તે મન નથી સ્વીકારાતું અને મન જે દિશાસૂચન કરે છે તેનું મગજ સ્વિકાર નથી કરતું. આ પરિસ્થિતિમાં વ્યક્તિ નિર્ણય લેવામાં ગુંચવાઈ જાય છે. કદાચ માનસિક રીતે નિચોવાઈ જાય છે એમ કહી શકાય.

          ઘણાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતાં, ઉત્તમ ચારિત્ર્ય ધરાવતાં વ્યક્તિઓને વાંચીએ તો સમજાય છે કે તેઓ આ પરિસ્થિતિમાં ભીતરથી ઉઠતા નાદને, અંતરનાદ ને અનુસરે છે. લોકોનું મહાટોળુ તેમની  વિરુદ્ધમાં ભલે હોય ,કે ભલે તેમને સામા પ્રવાહે તરવાનું આવે, કે ઘણાં સંઘર્ષોનો સામનો કરવો પડે, પણ આ રીતે લીધેલા નિર્ણયથી જિંદગીમાં તેં અપ્રિતમ સફળતાને પામે છે. અને ક્યારેય પસ્તાવાનો વારો નથી આવતો.સમાજને માટે કંઈક સારું કરવા માટે પ્રકૃતિએ તેમને નિમિત્ત બનાવ્યાં હોય છે. કોઈ પરમ સત્યને પામવા તેમનામાં સાહસ કરવાની હિંમત છે એવું કુદરત તેમનામાં પારખી ગઈ હોય છે તેથી જ આવાં કાર્યો માટે તેમને નિમિત્ત બનાવે છે. આવાં ભીતરથી છલોછલ અને નિસ્વાર્થી, કપટ વિહીન, નિર્લેપ મન ધરાવતાં લોકો પોતાની આજુબાજુ એક ઓરાં રચે છે. જેનાં સંપર્કમાં આવનાર દરેકને તે શાતા આપે છે, પોઝિટિવિટી આપે છે, સારાં કાર્ય કરવાની ઉર્જા અને દિશા આપે છે કોઈ પ્રબળ પરિબળો આ વ્યક્તિઓને પ્રકૃતિ સાથે જોડે છે. જેમ કે તેઓ જેવાં છે, તેવાં જ દેખાય છે અને તેવાં જ વર્તે છે. તેમના મન, કર્મ અને વચનમાં ઐક્ય હોય છે. " નિર્લેપતા"એ આવાં વ્યક્તિઓનો સૌથી મોટો ગુણ છે. કોઈ પણ સ્વાર્થ ,કપટ ,દેખાડો, મોટાઈ જેવાં પડના લેપ તેમનાં મનોઆવરણ પર ચઢેલા હોતા નથી. તેથી જ તેઓ પ્રકૃતિમય બની શકે છે.

          બાળકોના નિર્દોષ સ્મિત પણ તેમને ભીંજવી જાય છે. સમાજ માટે, જરૂરિયાત મંદ લોકો માટે કરેલ કોઈ સારું કાર્ય કે મદદથી શાતા મેળવનાર વ્યક્તિના મન અને આંખોમાંથી નીકળેલ અશાબ્દિક આશિષ પણ તેમને ભીંજવી જાય છે. તેમનાં સંઘર્ષના સમયમાં કોઈએ સંગાથ માટે ઝાલેલો હાથ  પણ આંખ સાથે તેમનાં હૃદયને ભીંજવી જાય છે.ભીંજાવા તેઓ વરસાદનાં મહોતાજ હોતા નથી.

         સારાં પુસ્તકોનું વાંચન તમને "તરલ" બનતાં શીખવે છે. તમારામાં રહેલ જડત્વને દૂર કરે છે. વિચારોની તરલતા, સ્વભાવની નિર્દોષતા તમને પાછી આપે છે, જે બાળપણ પછી ક્યાં ખોવાઈ ગયેલ  હતી. તમને પોતાને સમજવાં, પોતાને ઓળખવા, સંપર્કમાં આવતી દરેક વ્યક્તિને ખામી ખૂબી સહિતના "એક માણસ" તરીકે જોતાં અને સ્વીકારતાં શીખવે છે. ટેવ આપોઆપ પડે છે, આદત કેળવી શકાય છે. ધીરજ, રસ અને થોડી મહેનતથી વાંચનની આદત પણ કેળવી શકાય છે. જે તમને પ્રકૃતિમય બનાવે તમે એક સારાં માણસ બનાવે છે. જીવન પૂરું થાય તે પહેલાં, જીવનને સાચી રીતે જીવતાં શીખવાડે તેવી આ આદત અવશ્ય કેળવવા જેવી છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Tuesday 3 August 2021



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝીન શિક્ષકજ્યોતના ઓગસ્ટ- 2021 અંકમાં મારો લેખ....

"મથામણ કરવી" અને "ઝઝૂમવું" એ જીવનમાં ટકી રહેવા માટે કેળવવા જેવાં ગુણો છે...☕💫



             કેટલીકવાર  ધ્યેય સુધી પહોંચવા કરતાં ત્યાં સુધી પહોંચવાની યાત્રા, મથામણ, પોતાનાં કાર્યમાં સંપૂર્ણ તલ્લીન થઈને સહજપણે જીવેલ ધ્યાનસ્થ ક્ષણો માંથી મળેલ પ્રસન્નતા વધું કિમતી, વધુ યાદગાર અને વધુ જીવંત હોય છે. ને આપણે હંમેશા તે જીવેલ ક્ષણોને, મળેલ ફળ કરતાં વધુ વાગોળતાં હોઈએ છીએ. આ જે યાત્રા છે તે ક્યારેય સરળ નથી હોતી. જ્યારે મનમાં પ્રશ્નો ઉદભવે, મુશ્કેલીઓ ,તકલીફો સતત માર્ગમાં દસ્તક દેતી હશે, અતિશય કપરું લાગતું કાર્ય લગભગ અશક્ય લાગવાનાં આરા પર હોય, અને કુદરત તમને ભયંકર અસમંજસની સ્થિતિમાં લાવીને મૂકી દે ત્યારે જો ઝઝૂમવાની વૃત્તિ તમારામાં હશે તો તમે હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન કરી, મૃગજળ સમાન લાગતાં ધ્યેયને સ્થૂળ સ્વરૂપે સફળતાપૂર્વક પ્રાપ્ત ચોક્કસથી કરી શકશો. કોઈપણ કાર્ય ગમે તેટલું કપરું લાગે પણ જો તેનો ઉદ્દેશ શ્રેષ્ઠ હોય,શ્રેયકર હોય, અને ઘણાં બધાનાં હિતનું વાહક હોય તો તેને મેળવવાં "સતત મથવું" પડે તો તે મથામણ તમને "સ્વ"ને તપાવી વ્યક્તિત્વને ઉજળું કરનાર ભગીરથી બની શકે છે.

"કોઈપણ કાર્ય તલ્લીનતાથી કરવું એ યોગ છે"


          આજે ચારેકોર, દરેક ક્ષેત્રમાં જે નૈતિકતાનો અભાવ જોવાં મળી રહ્યો છે તેના મૂળમાં જે તે ક્ષેત્રમાં તેમનાં કાર્યમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓ, પ્રશ્નો, મૂંઝવણો, વિરોધ, લોભ-લાલચ , વગેરે નો સામનો કરવાની, તેની સામે ઝઝૂમવાની, અને મક્કમપણે પોતાના કર્મો ને વળગી રહેવાની હિંમત અને મનોબળનો અભાવ કારણભૂત હોય છે."સ્વ"ની મર્યાદાને કારણે સાચાના પક્ષે ઉભા રહેવાની નીતિની સ્વભાવગત ગેરહાજરી ,અને જીવનમાં ઉભા થયેલા પ્રશ્નોનો ઉપાય શોધવાં "મથામણ કરવાની" , "ઝઝૂમવાની"  વૃત્તિનો અભાવ હોય છે. દરેક પ્રશ્નો, દરેક તકલીફ ,સમસ્યાનો ઉપાય તરત નથી મળતો તે માટે સતત પ્રયત્ન કરવો પડે છે. એક ઉપાય કારગત ન નીવડે તો બીજો, બીજો કારગત નીવડે તો ત્રીજો તેમ સતત પ્રયત્નશીલ રહેવા મનને કેળવવું પડે છે. અધવચ્ચેથી કાર્ય પડતું મૂકી દેવું તે તો પોતાના કમ્ફર્ટ ઝોનમાં ફરતાં ભમરડા જેવું વ્યક્તિત્વ કહેવાય. સાહસવૃત્તિ તે વારસામાં નથી મળતી તેને કેળવવી પડે છે. કોઈ સારા હેતુ માટે આરભેલ કાર્યને તેના ધ્યેય સુધી પહોંચાડવા "મરજીવા" બનવું પડે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે.


       "કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી"એનો મતલબ એ નથી કે એક જ કોશિષ કરવાથી સફળ થઈ જવાશે. આ કોશિષ વારેવારે જ્યાં સુધી પોતાનાં કાર્યમાં સફળ ન થવાય ત્યાં સુધી "સતત" કરવી પડે છે. સફળતા એ એક અવિરત યાત્રા છે.
 એક ગીત છે જે હંમેશા પ્રેરણા આપતું રહ્યું છે.
"એક રાસ્તા હૈ જિંદગી, જો થમ ગયે તો કુછ નહી...
       અગર કીસી મુકામ પે,જો જમ ગયે તો કુછ નહી....


       હવે આ ગુણો આપણે બાળકોમાં બાળપણથી કેળવવા ખૂબ જરૂરી છે. જે તેમને તેમનાં જીવનમાં આવતી મુશ્કેલીઓ ચઢાવ-ઉતારમાં ટકી રહેવા, જીવનમાં સફળ થવા, ખુશ રહેવામાં મદદ કરશે. EQ લેવલ મજબૂત બનાવવામાં મદદ કરશે.  આ કોરોના સમયમાં તે ઘરમાં પોતાનો મોટાભાગનો સમય વ્યતીત કરી રહ્યો છે ત્યારે તેનાં આ એકાંતને મોબાઈલ હાથમાં પકડાવી દઈ એકલતામાં પરિવર્તન ન કરો. તેનાં હાથમાંથી મોબાઇલ લઇ લો અને તેને આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બનાવો. તેનું ધ્યાન મોબાઈલમાંથી બહાર નીકળશે તો તે વાસ્તવિકતામાં જીવતા શીખશે. તેને રસ્તાઓ બતાવો. તેમાંથી કયો રસ્તો પસંદ કરવો તેને નક્કી કરવા દો. તેને વાંચન માટે પુસ્તકો લાવી આપો, પ્લાન્ટેશન માટે છોડ લાવી આપો, તેને મથામણ કરતો કરાવવા project materials, બધુ લાવી આપો. હવે તમે આ કર કે તે કર તેવું કહેશો નહીં. ટીવી કે મોબાઈલ ગેજેટ થી દૂર રહેશે તો આપોઆપ કંઈક નવું વિચારવા, નવું કરવાં પ્રવૃત્તિમય બનશે કદાચ એવું કંઈક વિચારીને કરે જે આપણે ન વિચાર્યું હોય બાળકનું મન અગાધ છે. તેને માત્ર વર્ચ્યુઅલ વર્લ્ડ થી દૂર કરી વાસ્તવિકતાનો અનુભવ આપવાની જરૂર હોય છે. કુદરત તેને આપોઆપ આંતરિક પ્રેરણા આપી મથામણ કરતા શીખવશે. નવા નવા મિત્રો બનાવવા પ્રેરશે, અને મિત્રો સાથે કોઈ ઝઘડો થાય પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે તેનું સોલ્યુશન કરી આપવા ઉતાવળા ન બની જાય. બાળક પર લાગણીનો કળશ ઢોળી તેનું ઉપરાણું લઇ ઝઘડવા ન બેસી જાવ. તેને તેના તેના પ્રશ્નો નું સોલ્યુશન જાતે લાવવા દો. તેને સાંભળો જરૂર,તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેનું તટસ્થ રહીને નિરિક્ષણ ચોક્કસ કરતા રહો પણ તેને જાતે નિર્ણય લેવા દો. જાતે રસ્તાઓ શોધવા દો. તેને પોતાનાં જીવનનાં સમીકરણનો ઉકેલ જાતે શોધવાં દો. તમે એવું પણ બને કે પોતાના વિચાર કરતાં વધુ ઉત્તમ ઉપાય તે શોધી કાઢે. પોતે પણ બાળક પાસેથી ઇન્સપાયર થાવ એવું પણ બને. નાનપણથી જ બધુ બેઠું બાળકને આપી દેવાને બદલે તેને પોતાની બે વોટર બેગ, કંપાસ બોક્સ, લંચ બોક્સ, જાતે તૈયાર કરવાની વૃત્તિ, બુટ મોજા જાતે પહેરવાની ટેવ, જમ્યા બાદ પોતાની થાળી જાતે મૂકવાની ટેવ બાળકને સ્વાશ્રયી બનાવવાની પ્રક્રિયાનું પહેલું પગલું બનશે.


મિત્તલ પટેલ
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી