Wednesday 31 August 2022



કૃતજ્ઞતા--જીવનને મઘમઘતું રાખતો ગુલદસ્તો.

      

        આપણા સુખ, પ્રસન્નતાના કારણ બનેલ વ્યક્તિઓ, ઘટનાઓ, સંજોગો માટે, તક માટે ઈશ્વરને ક્યારેય થેંક્યુ કહ્યું છે? દરરોજ સવારે ઉઠીએ અને સ્વસ્થ શરીરના આશીર્વાદ સાથે કોરા ચેક સમાન દિવસ આપવા બદલ ક્યારેય કૃતજ્ઞતા વ્યક્ત કરી છે? તકલીફોની ફરિયાદો કરવી એ સહજ અને રૂટીન થઈ ગયું છે. તકલીફોનો સામનો કરવા જે હિંમત ભીતર કેળવાઇ અને વધુ મજબૂત થઈને ,તપીને, વધુ સમૃદ્ધ બનીને બહાર આવ્યાં તે માટે શું તે તકલીફો નો ફાળો નાનો સુનો છે!! તકલીફોને પગથીયા બનાવી જીવનમાં પ્રગતિના મંદિરીયા ખૂદ્યા, તે માટે જે આંતરસૂઝ કેળવાઈ તે માટે કુદરતને થેન્ક્યુ કહેવું જરૂરી નથી લાગતું! "કૃતજ્ઞતા"એક એવો ભાવ છે જે આપણને ભીતરથી વિકસવામાં મદદ કરે છે. આપણાં વ્યક્તિત્વનો હકારાત્મક વિકાસ કરવામાં ખીલવવામાં મદદ કરે છે. સારાં ભાવનો સ્વિકાર અને કદર જીવનમાં વધુ સારાં અનુભવો મેળવવાં માટે આપણને કાબીલ બનાવે છે.

            નકારાત્મકતાની ખેતીથી તો નકારાત્મકતાનો જ પાક મળે. પછી ગમે તેટલાં એફોર્ટ્સ તેમાં નાખી દો. "How to live"શીખવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે.."How to react"શીખવું. આપણને ગુસ્સો તરત આવી જાય છે, બદલાની ભાવના તરત આવી જાય છે. હરએક ક્ષણમાં પ્રસન્નતાથી જીવવાનો ભાવ જાતે પ્રયત્ન કરીને કેળવવો પડે છે. હકારાત્મકતાને સ્વભાવમાં રોપવી પડે છે. તો દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાના એટીટ્યુડ ને લણી શકશો.

             આપણે જજમેન્ટલ બની જઈએ છે. કોઈપણ ઘટના, કોઈપણ બનાવ, પછી તરત તેનાં વિશે અભિપ્રાય બાંધી દઈએ છીએ. અને તેને અનુરૂપ નિર્ણય પણ ત્વરિત લઈ લઈએ છીએ. પોતાના મનને તેનું અર્થઘટન કરવાની તક જ નથી આપતાં. એટલે જ પસ્તાવાના ઝરણામાં નહાવું પડે છે. અને તેમાં કંઈક કેટલુય જીવનમાં ગુમાવી દેતા હોઈએ છે. કેટલાય સંબંધો કેટલીય તકો અને સૌથી કીમતી "મનની શાંતિ".

એક ઊર્મિને હૃદયમાં વાવીએ તો કેવું!!

 સંદર્ભ કોઈપણ હોય, તેને કૃતજ્ઞતાનું જળ પાઈએ તો કેવું!!

તું સાચો જ હોઈશ પણ,

        સામે વાળાનું સત્ય પણ પારખી શકીએ તો કેવું!!

પોતાને પ્રેમ કરવો સાવ સહજ છે,

          હરએક માં રહેલ સારપ જોઈ શકીએ તો કેવું!!

               તોતિંગ ઝાડની છાયામાં વાહન પાર્ક કરીએ ત્યારે તે વૃક્ષ વાવવાનો વિચાર મનમાં સ્ફૂરે છે ખરો! તે વિચાર ત્યારે જ આવે જ્યારે તે વૃક્ષ માટે આપણને છાયડો આપવા બદલ આપણાં હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ એક ક્ષણવાર માટેય આવ્યો હોય. આવું જ કંઈક સંબંધોમાં થાય છે. સંબંધમાં સતત હૂંફ, લાગણી અનુભવતાં રહીએ છીએ, પણ ક્યારેય તે સંબંધાયેલ વ્યક્તિની તે લાગણી અને પોતાનાપણું આપવા માટે કદર કરી છે? તેમને અશાબ્દિક કે શાબ્દિક તમારાં જીવનમાં હોવાનું કેટલું મહત્વ છે, તેની અનુભૂતિ કરાવી છે? એ એટલું જ જરૂરી છે જેટલું એક છોડને પાંગરવા માટે ખાતર પાણી જરૂરી છે.

મિત્તલ પટેલ
અમદાવાદ

Tuesday 30 August 2022

એક નવી શરૂઆત...✍️☺️💫🌷

" ગાંધીનગર સમાચાર "  દૈનિક અખબારમાં મારો લેખ......
તા: 28 /  08 / 2022 રવિવાર

Thursday 25 August 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

માણસમાં જ્યારે "મમત" ઉમેરાય....✍️👥



          "મારું" , "મારું જ" અને "મારું પણ" એ ભાવ અને મમત માણસની સૌથી મોટી કમજોરી બની શકે છે. "મારું" માંથી જ્યારે "આપણું" સુધી પહોંચે ને ત્યારે સંબંધો સચવાય છે. અને "મારું" માથી "સૌનું" આવે છે, ને ત્યારે સમાજ સચવાય છે. "વ્યવસ્થાપન" શબ્દ સામુહિક છે. માણસને જીવવા માટે માણસની જરૂર પડે છે. કરોડો રૂપિયાનો ઢગલો કરીએ તોય માણસ આખી જિંદગી કોઈ વસ્તુ સાથે કે મહેલોની દીવાલો સાથે એકલો ન જીવી શકે. તેને તો જીવંતતાથી, સંવેદનાઓથી, લાગણીથી, તરબતર ધબકતો બીજો એક માણસ જોઈએ. જેની સાથે તે પોતાનાં જીવનની નાની નાની ક્ષણો શેર કરી શકે . નાની નાની ખુશીઓ, તકલીફો, આશ્ચર્યો વહેંચી શકે. તેને કોઈ સાંભળે, તેટલી જ અભિલાષા માણસને આખી જિંદગી જીવાડી શકે છે.


             આજે માણસ જેમ જેમ સ્વકેન્દ્રી બનતો જાય છે, તેમ તેમ અન્ય માણસોથી, કુટુંબથી, સમાજથી અને સૌથી વધુ તો પોતાની જાતથી જ વિખુટો પડતો જાય છે. અને આ પ્રક્રિયા, પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી ચારકોર પ્રસરી રહી છે. આજે માણસને પોતે જ કમાઈ લેવું છે ,પોતે જ ભોગવી લેવું છે, પોતે જ શ્રેષ્ઠતમ દેખાવું છે. કંઈ પણ અન્ય સાથે વહેંચવું નથી, અન્યની તકલીફોને, પીડાને સંવેદી શકે, સ્પર્શી શકે અને તેનાં દુઃખને વહેંચી શકે તેટલી ફુરસદ તેનામાં નથી રહી. કોઈપણ વ્યક્તિ જીવનની નાની મોટી ખુશીને તો જ ફીલ કરી શકે છે, જ્યારે તે કોઈની જોડે વહેંચે છે. જ્યારે આપણે સામેવાળા માણસનાં ક્યારેય દુઃખ દર્દને અનુભવવાની ને સાંભળવાની દરકાર ન લીધી હોય, મુશ્કેલીઓમાં મદદ ન કરી હોય, ક્યારેય જરૂરિયાતમંદને દાન ન કર્યું હોય, મનથી ભાગી પડેલાં ને ક્યારેય સાંત્વનાના શબ્દોથી ટાઢક ના આપી હોય, ક્યારેય જીવનમાં કોઈને સાચું પ્રોત્સાહન ન આપ્યું હોય તો ,આપણી ખુશીમાં સાચાં ભાવથી ભાગીદાર થવાવાળું વ્યક્તિ તમને ક્યાંથી મળશે? પછી તમને તમારા જેવાં જ સ્વાર્થી માણસો, ખાલી ખાલી ખોખલું, સારું સારું બોલવાવાળા માણસો જ મળશે.

 તમે સાચી પ્રશંસા કરી શકો તો જ તમને સાચી પણ પ્રસંશા મળે.ખરા દિલથી જરૂરિયાતમંદને મદદ કરી શકો તો જ તમને મદદ મળે. તમે કોઈની ખુશીમાં ખુશ થઈ શકો, ઈર્ષા કે દ્વેષભાવ વગર તેની ખુશીને, સફળતાને બિરદાવી શકો તો જ તમને તેમનાથી વધારે સાચી ખુશી અને સફળતા મળે. તમે અન્યોની સફળતામાં પોતે આનંદનો ભાવ અનુભવી શકો તો જ તમે પોતે પણ સફળ થઈ શકો.



  મમત છોડીને થોડીક ક્ષણો
           "સમત્વ"માં... આવ...તું...

  થઈ શકે તો ઈશ્વરને સાવ...
            આમ જ ન વગોવ ...તું...

તે કર્યું છે તે જ તને મળશે
શેષ જે વધશે તે જ તારાથી છૂટશે...

ખોખલાપણામાંથી એટલે જ...
          સરભર થઈ બતાવ તું.....

અતિ થી ઇતિ સુધી..
      સમભાવ જન્માવ તું....

"તૃપ્તિ"ની પરિભાષા...
         ભૂખ્યાને પૂછજે...

 મંદિરમાં નહીં માણસમાં...
        ઈશ્વર શોધી બતાવ તું....!!




મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ 

Thursday 18 August 2022




મૈત્રીભાવનું પવિત્ર ઝરણું.....🌻💫✨🌱✍️






              મિત્રતા એ "સ્વયં પ્રકાશિત" પોત જેવી છે. હંમેશા સાથે જીવતી અને હુંફના પ્રકાશમાં આપણને જીવાડતી એક જીવંત પ્રક્રિયા એટલે મિત્રતા. એક સાચો મિત્ર કોઈપણ વ્યક્તિ માટે "શ્રેષ્ઠ મોટીવેશનલ સ્પીકર" છે. તે માણસનાં થોડાંક શબ્દો વ્યક્તિને જીવવાનું જીવન બળ પૂરું પાડે છે. ભલે તે બહુ ફિલોસોફીકલ ભારેખમ ન હોય. હળવાં પણ સત્વ અને પોતાનાપણાના ભાવના બળથી વજનદાર એવાં શબ્દો માણસને જીવનની કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં હિંમત હારતાં અટકાવે છે. "હું છું ને તારી સાથે" એ સાચો મિત્ર શબ્દમાં ક્યારેય નથી કહેતો, પણ વર્તન, વ્યવહારમાં ભારોભાર છલકતું હોય છે.




પર્વત પાસે નદી ક્યારેય...
         પાસપોર્ટ નથી માંગતી...

તે તો, ભીતરથી ઉગતી હોય ....
       અને વહેતી હોય અસ્ખલિત ....

આમ જ,
 મિત્રતા એ એક એવી ગોડ -ગિફ્ટ છે...
              જે છેડેચોક નિભાવે છે,
  પણ સાથે"હોવાનાં" પુરાવા નથી માંગતી....




              હૃદયમાંથી આવેલું ફિલ્ટર કર્યા વગર સીધે સીધું કહી શકાય. ખોટું લાગે કે સારું તેની પરવા કર્યા વગર બેપરવાહીથી વર્તી શકાય, જેનું અસ્તિત્વ માત્ર હુંફના તાપના જેવું લાગે, ભલે તે ગમે તેટલો દૂર હોય તે "છે" નું મહત્વ છે. "ક્યાં છે" તે ગૌણ હોય. આવાં મિત્રોનું જીવનમાં હોવું એટલે જ સાચું કંઈક કમાયા જેવી મિલકત છે.




                    આજનાં સ્વાર્થી જમાનામાં તમને 10 નહીં પણ એકાદ આવો મિત્ર મળે ને તો પણ તેને જીવથી વધુ જતન કરીને સાચવજો. કારણ કે જીવન આવાં લોકોને કારણે જ સહનીય બને છે. જીવનને તમે આવાં મિત્રોની સાથે જ સાચી રીતે ઉજવી શકો છો. તમારી ખુશી તમારાં જેટલી જ તીવ્રતાથી, કદાચ તેનાંથી વધારે તીવ્રતાથી તે અનુભવી શકે છે. તમારી સફળતામાં તમારાં કરતાં વધારે આનંદ તેને થતો હોય છે. તમને દુઃખ ન થાય તે માટે કંઈ કેટલીય વાતો તમારાથી જિંદગીભર માટે કહેતો નથી. તમે તમારી જાત જોડે વાત કરતાં હોય, તે રીતે તમે તેની સાથે વાત કરી શકો છો. ખખડાવી શકો છો. લડી શકો છો. ભૂલો બતાવી શકો છો. ભૂલો સ્વિકારી શકો છો. પોતાની નિષ્ફળતા સ્વીકારી શકો છો. સફળતા વહેંચી શકો છો. દુઃખને ખંખેરી શકો છો. પીડાને વહોરી શકો છો. તો આવાં મિત્રો એ જાતનાં સાચાં મિત જેવાં છે. તેમનાં તમારા જીવનમાં હોવાં  માટે ઈશ્વરને "કૃતજ્ઞતા" વ્યક્ત કરજો, થેન્ક્યુ કહેજો.




મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ 

mitalparibhasha.blogspot com







        

Monday 8 August 2022

તાલુકા કક્ષાના  કલા મહોત્સવમાં નિર્ણાયક તરીકે......📑✍️😊💫🌷

મેઘધનુષી ક્ષમતાઓથી તરબતર... બાળદેવોને પોખવાનો મોકો મળ્યો એનો આનંદ......🌸

Tuesday 2 August 2022

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ... "શિક્ષકજયોત " મેગેઝિનનાં ઓગષ્ટ -2022 અંકમાં મારો લેખ .....✍️💫

બાળેશ્વરોનું મંદિર એવી શાળાનું ભાવાવરણ...🌴🌷

             "વાતાવરણ" અને "ભાવાવરણ"માં ફરક એટલો જ છે કે એક આવરણ બાહ્ય છે. અને બીજું આંતરિક ભાવોથી એક ઓરા રચતુ અને તે ભૂમિ પર પગ મુકતાં દરેકને સ્પર્શતું, સ્પંદિત થતું, અને આનંદીત, પ્રફુલ્લિત કરી દેતું એક જીવંતાવરણ. શાળા માત્ર સરસ મજાનાં રંગોથી રંગાયેલી દીવાલો, ભૌતિક સુવિધાઓથી નથી બનતી. તે તો મકાન છે. બાળેશ્વરોને આવવું ગમે, ભણવું ગમે, વિહરવું ગમે, તેવાં મંદિરીયા જેવી શાળા ત્યારે જ બને જ્યારે શિક્ષકોને બાળકો માટે લાગણી ,ભાવ , હૂંફ, પોતાનાપણું, આત્મીયતાથી છલોછલ વ્હાલનું ઝરણું ક્યાંક સતત વહેતું હોય. બાળકેન્દ્રી અભિગમથી જ્યાં શિક્ષણ કાર્ય થતું હોય ને ત્યાંનું ભાવાવરણ કોઈને પણ અભિભૂત કરી જાય તેવું હોય છે,સ્પર્શી જાય તેવું હોય છે. અને તે શાળામાં બાળકો પણ હોંશે હોંશે ભણવા આવશે. તેમને બોલાવવા નહી જવું પડે કે કરગરવું નહીં પડે, શોધવાં નહી જવા પડે.

કોક હૈયામાં ભારોભાર છલકાતું હેત હશે...
        તે શિક્ષક થકી જ શાળાની ભોમ પર રોનક હશે...

બાળ હૈયા સુધીની લિફ્ટ બની હશે
        તે લાગણીની છોળો......!!

તેથી જ તે શાળામાં સતત ઉજવાતો
      શિક્ષણ નો ઉત્સવ હશે.....!!

                કોરાટે મૂકેલ લાગણી અને સ્મિત વિહોણો ચહેરો લઈને શાળાએ પહોંચતાં શિક્ષકો બાળકોની સહજ નિર્દોષ ઉર્જા પણ નીચોવી લે છે. પ્રાર્થનામાં બેઠેલ બાળકોના મોઢા સ્ટ્રેસવાળા ઉતરેલા અને ઉર્જાવિહિન ભાસે તો સમજવું કે તે શિક્ષકનાં મનોભાવનું પ્રતિબિંબ છે. એક સુંદર અને સહજ સ્મિત સાથે શાળામાં અને વર્ગમાં પ્રવેશતો શિક્ષક ઉત્સાહ અને ઊર્જાનો ધોધ બાળકોમાં ટ્રાન્સફર કરે છે. અને તે ચોક્કસથી પડઘાય છે બાળકની હોશમાં, ઉત્સાહમાં, પ્રસન્નતામાં.

              બાળક એ ઈશ્વરની એવી કૃતિ છે કે સાચાં શિક્ષકમાં બાળકની નિર્દોષતા, સહજતા, પ્રસન્નતા, ઉત્સાહનું પ્રત્યારોપણ થાય છે. શરત માત્ર એટલી જ કે શિક્ષકને બાળકના ભવિષ્ય માટે ચિંતા હોવી જોઈએ. તેને ભણાવવાની, બાળકોના જીવન બનાવવાની નિયત હોવી જોઈએ. માત્ર વધુ નહીં તો શાળા સમયમાં બાળ હિતમાં કાર્ય કરવાની, તેમને ભણાવવાની હોશ હોવી જોઈએ.

             એક "શાશ્વત વસ્તુ" જે જીવન પર્યંત ,કદાચ જીવન પછી પણ જીવ સાથે બંધાતા ઋણાનુબંધ સ્વરૂપે મેળવવાં ઈશ્વર શિક્ષક તરીકે જન્મ આપે છે. જે પૈસાથી નથી ખરીદી શકાતી, નથી પ્રયત્નો કરીને મેળવી શકાતી. માત્ર બાળકોની સાથે જીવીને તેને પામી શકાય છે. પણ તે માટે આપણે એવોર્ડો, દંભ, દેખાડો "હું " પણું થી પર જઈ, બાળહિતમાં વિચારી શકવા પોતાની જાતને કેળવવી પડે. એવોર્ડ મેળવવાનો હેતું માત્ર શિક્ષકના કાર્યને પ્રોત્સાહન આપવાનો હોવો જોઈએ.ને શિક્ષકે પણ તે જ દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. નહીં કે"હું"બહુ મોટો માણસ છું, બહુ હોશિયાર માણસ છું,"મે" બાળકો માટે આટલું બધું કાર્ય કર્યું, એ અહમ્ આવી જાય એટલાં હદ સુધી આસક્તિ રાખી એવોર્ડાધિન શિક્ષણ કાર્ય કરવું. એ તો અહમ્ ને પોષવાનો શિરસ્તો છે. કામ કર્યું છે તો બૂમો પાડીને કહેવાની જરૂર નથી. એ તો દેખાય જ જશે. અને તે શિક્ષક ની ફરજ પણ છે."માત્ર બાળકોને કેન્દ્રમાં રાખીને જ અને બાળકો પ્રત્યર્થે જ કાર્ય કરવું"એ શિક્ષણ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ ની નૈતિક જવાબદારી છે.

                 શિક્ષક તો પ્રોત્સાહનનો મુખ્ય સ્ત્રોત છે. બાળકમાં ઉમંગની છોળોનું વાવેતર કરતો ખેડૂત છે. સવારે પ્રાર્થના સભાથી જ "તમને આટલું પણ નથી આવડતું".."બધા બગડી ગયાં છો".."ડફોળ છે તું".."આવડતું તો છે નહીં કશું" જેવાં કે આનાથી પણ વધુ બાળ હૃદયને ઠેસ પહોંચાડતાં વાક્યો જાહેરમાં બોલવામાં આવે ત્યારે બાળ હૈયું હતાશાની અનુભૂતિ કરે છે. તેમનો ભણવાનો ઉત્સાહ સવારથી જ ઓસરી જાય છે. પ્રાર્થના સભા તો બાળકોને ભણવા માટે માનસિક રીતે તૈયાર કરવાનો, બાળકમાં 'આઈ કેન ડુ' વાળો અભિગમ વિકસે, તે માટે ઉમંગના, હકારાત્મકતાના દોરાથી બાળમનડાનું પોત‌ ગુથવાનો અવસર છે. પ્રાર્થના સભામાં નકારાત્મક વાક્યોનો મારો ચલાવતાં શિક્ષકો જાણે અજાણે બાળકોને ભણવાથી વિમુખ કરી દે છે. ભણવું એક જડ અને ફરજિયાત કરવાની પ્રક્રિયા છે. એવું ઠસાવી દે છે. શું આવાં ભાવાવરણમાં બાળક ખીલી શકે ખરો? ખુલી શકે ખરો? વિકસી શકે ખરો? તમારા અંતરમનને પૂછી જોજો.. આવી નકારાત્મકતાની ખેતી કરવી, શાળા અને બાળકો માટે કેટલાં અંશે વ્યાજબી છે? નાનું અમથું પણ સારું કાર્ય કરનાર બાળકને જો જાહેરમાં શાબાશીના બે શબ્દોથી નવાજવામાં આવે ને તો માત્ર તે જ નહીં, અન્ય બધાં બાળકો વધુને વધુ સારું કાર્ય કરવા પ્રેરાશે. બાળકને આપણે હકારાત્મક શિક્ષણ તરફ વાળવો છે કે તેનાથી વિમુખ તે શિક્ષકે નક્કી કરવાનું છે. અને તે દિશામાં સતત પ્રોત્સાહન આપી તેઓને આગળ લઈ જવાના છે.

              શિક્ષકનાં શબ્દો અને વર્તન બાળકોમાં આજીવન પડઘાય છે. માટે શબ્દો અને વર્તનમાં હકારાત્મકતા, હૂફની ભીનાશ અને બાળ હિતમાં કાર્ય કરવાની તલાવેલી સ્પંદાવી જોઈએ. શિક્ષક જીવંતતાથી છલોછલ અત્તર જેવો હોવો જોઈએ. જે બાળકોના સંપર્કમાં આવતાં બાળકો વધુને વધુ જીવંત બની જાય અને આવાં લાઈવ ભાવાવરણમાં જ બાળકોનો સર્વાંગી વિકાસ શક્ય બને છે.

શિક્ષક ક્યારેય પ્રસિદ્ધિનો પૂજારી ન હોવો જોઈએ.

           તે તો બાળહૈયાનો પુજારી છે. તેનો ભગવાન છે. તેનાથી ઊંચું પદ કયું હોઈ શકે..!!

મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ, ગાંધીનગર
 ૯૪૨૮૯૦૩૭૪૩
ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જુલાઈ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀




ભણેલા અભણ ...એટલે!!



          વાંછટ ઘરમાં આવતી હોય તો વાંછટિયુ લગાવાય, વરસાદ બંધ કરવાં જવાનાં વિચારો કરવા ન મંડી પડાય. એ જ રીતે સમસ્યા હોય તો તે સમસ્યાના ઉકેલની દિશામાં વિચારોનું હોકાયંત્ર સેટ કરવું જોઈએ. માત્ર સમસ્યાનાં રોદણાં રડ્યા કરવાથી, તેને બહાનાઓના સ્વરૂપે એક ઢાલ બનાવીને કન્ફર્ટ ઝોનમાં બેસીને જીવ્યા કરવાથી વિચારો, મગજ, જીવનદ્રષ્ટિ ઘરડી થઈ જાય છે. અને ઉત્તરોત્તર મૃત્યુ પામેલ વિચાર શક્તિ સાથે જીવતાં એજ્યુકેટેડ સર્કિટો સિવાય કંઈ જ બચતું નથી.

               તમારામાં તર્ક બુદ્ધિનો વિકાસ ન થયો હોય, કોઈપણ ઘટના કે બનાવને એઝ ઈટ ઇસ જૂની ઘરેડમાં સ્વીકારી લેવાને બદલે તર્ક શક્તિથી એકવાર ચકાસી પછી અપનાવવાની ટેવ ન પડી હોય ,તમારામાં જિજ્ઞાસાવૃત્તિની રતિભર હાજરી ન હોય, મેઘ ધનુષ કે આગિયો જોઈને મન અને આંખોમાં કુતુહલતાની રંગોળી ન રચાતી હોય, "વિસ્મય" નાં ભાવનો લોપ થઈ ગયો હોય, તો સૂકું સૂકું ભણેલું, પૈસા કમાવા માત્ર ભણેલું, માત્ર નામ કમાવવા ભણેલું, કોઈ કામનું નથી. તે માત્ર જીવાડે છે. સાચાં અર્થમાં જીવતાં જીહવળતા, જીવનનો અર્થ મર્મ પામવાં મન મગજને તૈયાર કરતાં નથી શીખવતાં. આનંદ પૈસાથી મળે, પ્રસન્નતા પામવા શું કરી શકાય? તે શીખવે તે સાચું શિક્ષણ. ચોપડીનું ગોખીને માર્ક્સ લવાય, નવું વિચારવાની વૃત્તિ, મનમાં પ્રશ્નો ઉદ્ભવે અને તેનાં જવાબ શોધવા મથામણ કરવાની વૃત્તિ, સારું કમાતાં કમાતાં જીવન સાથે ઓળઘોળ થઈને જીવાય કઈ રીતે? તે "આર્ટ ઓફ લિવિંગ" શીખવાની વૃત્તિ કેળવાય એ જ સાચું શિક્ષણ છે. માણસ માત્ર ગોખણીઓ રોબોટ કે જ્ઞાનનો કૂવો, જેનામાં માનવતા,તત્પરતા, જિજ્ઞાસાના છાંટારુપી ભેજ પણ ન હોય, મૂલ્યોની ગેરહાજરી સાથે ડિગ્રીઓની ભરમાર હોય, તો ચોક્કસ તેની અધોગતિ થવાની....


શિક્ષણ તો દિપકની જ્યોતની માફક ઉર્ધ્વગામી હોવું જોઈએ...


મિત્તલ પટેલ
સાંપા પ્રાથમિક શાળા
 દહેગામ
ગાંધીનગર
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com