Wednesday 16 December 2020

મુંબઈથી પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝિનનાં ડિસેમ્બર 2020 ના અંકમાં મારો લેખ......"સમસ્યાની આરપાર".....✍️🌪️💫✨☄️

"સમસ્યાની આરપાર"...

           તમે સમસ્યા વિનાની જિંદગીની કલ્પના કરી છે ખરી?? સમસ્યા જીવનમાં હોવી એ પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે સમસ્યાને તમે સાથે લઇને જીવો છો, સમસ્યામાં તમે ગરકાવ થાવ છો,સમસ્યાને તમે પોતાનાં પર હાવી થવા દો છો. પાણીમાં રહેલી અશુદ્ધિઓ કમળને સ્પર્શે છે ખરી?? બગલો કાદવમાં ,માટીમાં રહેતો હોવા છતાં કદી તેનાં સફેદ પોત પર ડાઘા પડેલાં જોયા છે??

               જિંદગી આપણી કલ્પનાના કેનવાસ પર ચીતરેલી નથી હોતી. તેનું પોતાનું પોત છે. પોતાના રંગો છે. પોતાનું આખેઆખું એક મેઘ ધનુષ છે. બધા જ રંગો આપણને અનુકૂળ ,આપણને ગમે તેવા જ હોય એ જરૂરી નથી. અને તે ખરબચડાપણા,અતરંગીપણા માં જ તેની સુંદરતા છે ,મર્મ છે. અટપટાપણુ અને ગુઢતા એ જીવન નો સ્વભાવ છે. તેમાં ખુપ્યા વગર તેને પામી, માણી કે જાણી શકાય જ નહીં. આ માર્ગમાં એક બેટરી હંમેશા પોતાની સાથે રાખજો. હકારાત્મકતા ની. અને તેને અંતરાત્માના અવાજ રૂપી ઉર્જાથી હંમેશા ચાર્જ રાખજો. તો ક્યારેય તમે જીવનમાં કોઈ સમસ્યા નહીં થાય.

         જીવનમાં મુશ્કેલી ,તકલીફ હોવી અને તેની સમસ્યા આપણને થવી બંને અલગ વસ્તુ છે. કેટલાક લોકોને જીવનમાં કેટલીય આર્થિક ,સામાજિક, માનસિક શારીરિક મુશ્કેલીઓ હોય છે. પણ તે તો સતત સારા કાર્યોમાં વ્યસ્ત રહી, પ્રસન્નચિત્ત જ રહેતાં હોય છે. તેમના સંપર્કમાં આવતી કોઈપણ વ્યક્તિ ક્યારેય કળી ન શકે કે આ વ્યક્તિનાં જીવનમાં આટલી બધી તકલીફો હશે. તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓને જો તમારા જીવન પ્રવાહમાં, તમારી પ્રસન્નતામાં તમે દખલરુપ થવા દો, સ્પર્શવા થવા દો તો જ તે તમારા માટે સમસ્યારૂપ બનશે. બાકી તો સમય પર છોડી દેશો તો તે તો આવશે ને જશે. આપણે તો સતત પોઝીટીવ, સતત પોતાના કર્મમાં વ્યસ્ત અને "જીવવામાં"મશગુલ, તનમય રહીએ તો તકલીફોને પણ આપના આનંદથી ઈર્ષા આવશે.

      
           ધ્રુવ ભટ્ટની અહીં થોડી પંક્તિઓ યાદ આવે છે...

મુઠ્ઠી ભરીને વ્હાલ વહેંચતા રહો, ને ભલે આપણી હથેળી હોય ખાલી...
દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી..
પંખી તો કોઈનેય કહેતું નથી કે એને પીછા માં સાચવ્યું છે શું....
મારામાં આરપાર સાત સાત દરિયા અને દરિયામાં આરપાર તું....

             નદી જેમ તળીએ માટી, રેતી, પથ્થર કંઈ કેટલાય કચરા ધરબીને  ખળખળ વહેતી , આ બધાથી સાવ નિર્લેપ રહી આગળ વધતી જાય છે. બસ આમ જ બધી તકલીફો મુશ્કેલીઓને ધરબી દઈ આપણે મસ્ત મોલા ની જેમ જ પ્રસન્નતા વહેંચતા આત્મીયતા થી જીવી જવાનું છે.

                ગુસ્સો આવવો, દુઃખ થવું, સારું ફીલ થવું, ખુશી થવી તકલીફ થવી, એ માનવ સહજ સંવેદના ઓ છે. ને સહજ છે. તમને ક્યારેય દુઃખ નહીં જ થાય. એવું તો શક્ય જ નથી પણ તમારાં મનની શાંતિ ને ડહોળે એ ન જ થવું જોઈએ. જે ભાવ જે પરિસ્થિતિ તમારા મનની શાંતિને, ભીતરના સ્વ ને ડહોળી નાખે તે હદે પોતાના પર હાવી ન થવા દેવી. તો ક્યારેય તે તમારા માટે સમસ્યારૂપ નહીં બને. સારા પુસ્તકોનું વાંચન એ જીવનના ગૂઢ રહસ્યોને સમજવા, જીવનને સાચા અર્થમાં માણવા, એક ટોનિક પૂરું પાડે છે. કારણકે તમે ઘણા બધા જીવન એક સાથે જીવો છો. ઘણા બધા અનુભવો ને એક સાથે જીવો છો જેથી પોતાના જીવનમાં આવતી મોટાભાગની મુશ્કેલી ,તકલીફ અને કહેવાતી સમસ્યાઓ ના અર્થપૂર્ણ અને સાચા નિરાકરણ તેમાંથી આપણને મળી રહે છે. so keep reading keep living lively......

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ..
એકલો ઊભું ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ,
આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી..
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી ,પરવા સમંદરને હોતી..
સૂરજ તો ઊગે ને આથમી એ જાય ,મારી ઉપર આકાશ એમનેમ છે..
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે.

----ધ્રુવ ભટ્ટ

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com

No comments:

Post a Comment