Thursday 21 September 2023


પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 20/09/23 બુધવારનો લેખ....💫🖊️📕😊🤔🎤☕☕🗞️.


"ચાપલુસી"...... એટલે "પોતે સક્ષમ નથી" તેનું પ્રમાણપત્ર આપતી વૃત્તિ.....


કેટલાક માણસો બહુ વિદ્વાન હોય છે "લોકોની નજરમાં".... અને "સ્થૂળ રીતે". પણ વૈચારિક અને નૈતિક વિદ્વતામાં ઝીરો હોય છે. અને જેમ ખુદનો અધૂરો ઘડો છલકાતો તે પોતે જોઈ શકતા હોય છે, એટલે તેને ભરેલો બતાવવા પગચંપી ચાપલૂસી હદ બહાર સુધી કરતા રહેતાં હોય છે. પોતાનું પદ, પ્રતિષ્ઠા છીનવાતી લાગે અથવા કોઈ તેમનાથી વધુ ચડયાતું છે એવી અનુભૂતિ થઈ જાય તો તેને નીચે પાડવા ધમાચકડી મચાવી દેધા હોય છે.

એક દીપક અજવાળું કરે અને તેનાં પર વાડકી ધરવાવાળાને કાળાશ પણ બક્ષે. પણ આવી વાડકીઓ કાળાશ પચાવી પણ જાણે છે. ઢગલો કાળાશ પી પણ જાણે છે. છતાં પાછી ચમકતી દેખાડે છે પોતાની જાતને. સાહેબ દીવા નું અજવાળું ઉજાસ ફેલાવે છે. કેમકે તે ઉજાસ પોતીકો હોય છે. ઇલેક્ટ્રિસિટી પાસેથી ચાપલૂસીની સ્વીચ દબાવી ઉછીનો લીધેલ એલઈડી પ્રકાશ નથી હોતો.

ઈશ્વર તારી કરામતની 
દાદ દેવી પડે એમ છે.....
તારાં જ બનાવેલા "તારાઓ"
આજે "તારામંડળ" સળગાવે છે....

ઝભ્ભો, લેંઘો પહેરી લેવાથી કોઈ વિદ્વાન નથી બનતું. માત્ર પુસ્તકીય વિદ્યાના ઢગલાથી જ્ઞાનીનું લેબલ નથી બનતું.વૃતિ અને નિયત તમારાં વ્યક્તિત્વનું, ક્ષમતાનું પરિમાણ છે. વૃતિ અને નિયત જો અભણ વ્યક્તિની પણ સારી હોય તો તે જ્ઞાનનો અનુગામી ચોક્કસ કહેવાય છે.

સારપને હરીહંચા કરવા એ દુર્જનનો કાયમથી સ્વભાવ જ રહ્યો છે. એમનેય ખબર હોય છે કે આ કૃત્ય તેમની લઘુતાગ્રંથિ, અંદરની ડરપોક વૃત્તિને પોષતું વાહિયાત કર્મ છે. અને બીજાની લીટી કાપીને પોતાનાં નાનકડા કાપાને, મોટી લીટી બતાવવાની બિલકુલ વ્યર્થ પ્રયાસ માત્ર છે. છતાંય કરવામાં આવે છે તેમને ભીતર હરખ હોય છે કે ' મેં ધાડ મારી દીધી.' 'મારી મોનોપોલી સર્વસ્વ છે'. 'મેં ઈચ્છું તે થાય જ'. સાહેબ આપણી ઈચ્છાથી તો આપણી પોતાની ઉત્સર્જનક્રિયા પણ થતી નથી. તે પણ ઈશ્વરની ઈચ્છાધિન છે તો... What is the role of you in this deed? just stupidity, not at all... વાળ વાંકો કરવા પણ રોલર જોઈએ અને સીધો કરવા પણ સ્ટ્રેટનર જોઈએ. આ સ્ટ્રેટનર એટલે ઈશ્વરની અદ્રશ્ય લાકડી. જે વાગે ને તો " ઉહ્" ય ન થાય અને "આહ્" ય ન થાય. ચ્યુંગમ જેવી સ્માઈલ ચિપકાવી દુનિયા સામે પૂતળાવૃતિ બતાવવી પડે.

આપણે કોઈપણ કાર્ય કરીએ તો, તે માટેની વૃત્તિ, નિયત ,હેતુ, ભાવ કેવો છે, તે હંમેશા ચકાસી લેવું જોઈએ. તે આપણો અરીસો હોય છે. જે હંમેશા સામે "રિફ્લેક્ટ" થઈને પાછું મળતું હોય છે. માટે તત્વજ્ઞાની બનવા કરતાં પોતાનું "માનસ" સુધારી સારાં માણસ બનીએ તોય ઘણું...

મિત્તલ પટેલ 
" પરિભાષા"

No comments:

Post a Comment