Wednesday, 2 September 2026

મીણબત્તીની જ્યોતની જેમ ઝળહળતી, છતાં 'સળગતી' કહી શકાય અને ઓજસના અહેવાલ પોતાના 'સ્વ'બળે, 'સ્વ'ઈચ્છાથી અને 'સ્વ'સાહસથી લખવા આતુર એવી જનરેશન એટલે ઝેન-Z અને તેનું અપગ્રેડેડ વર્ઝન, જેઓ તમારા લગભગ કોઈ માળખામાં ફિટ નહીં જ બેસે, એવી જનરેશન ઝેન-અલ્ફા. Genz એટલે આશરે 1995થી 2014ની વચ્ચે જન્મેલ અને ઝેન-અલ્ફા એટલે આશરે 2013થી 2024 વચ્ચે જે વ્યક્તિત્વનો ઉદય થયો છે તે જનરેશન. ઈશ્વરે ખૂબ જ ફુરસદથી અને આપણી માન્યતાઓ અને રૂઢિચુસ્ત, થોડીક જડ બની ગયેલી વિચારધારાઓનો ધરાર અસ્વીકાર કરી, નવીન કેડી કંડારનાર જનરેશન. તમે તેમને સ્વીકારો કે ન સ્વીકારો, તમે તેમને નજરઅંદાજ નહીં જ કરી શકો. તમે તેમને નકારી નહીં શકો. તમે 'તમે' છો અને તેઓ 'તેઓ' છે. પરિવર્તન સંસારનો નિયમ છે. એ નિયમ અનુસાર ઈશ્વર કૉપી-પેસ્ટમાં નથી માનતો, તે તો ઈવોલ્વિંગમાં માને છે, તે ઉત્ક્રાંતિમાં માને છે. ઘણી હકારાત્મક અને નકારાત્મક પાસાઓ ધરાવતા તેઓ એવું ઘણું એ લોકો જીવવા ઈચ્છે છે, જે આપણે જીવવાનું ચૂકી ગયા છીએ અને તેઓ ઘણું ચૂકશે, જે આપણે જીવ્યા છીએ. પણ ફરક એ ચોક્કસ રહેશે કે આપણને ન જીવાયેલી ક્ષણોનો અફસોસ હોય છે. તેઓ થોડીક બેફિકર જનરેશન છે. "જે છે તે છે" એ સ્વીકારીને પોતાનામાં મસ્ત રહેનારી જનરેશન છે. તેને કંઈ અડતું નથી, તેનો મતલબ એ નથી કે તે અસંવેદનશીલ છે. તેને ફરક નથી પડતો, એનો મતલબ એ નથી કે તેનામાં મૂલ્યો નથી. તે સંવેદનશીલતાને પોતાની કમજોરી બનાવી વેવલ વેળા નહીં કરે. તેની બેફિકરાઈ, તેના પર સમાજ દ્વારા થતા દબાણ, પોતાની ઈચ્છા તેમના પર થોપવાની મહેચ્છાઓનો સ્પષ્ટ નકાર છે. તે સ્પ્રિંગ નથી કે ઉછળશે. તે ઈંટ છે, જે મક્કમ રહેશે. તે પ્રવાહી નથી કે ફેલાશે. તેનામાં નક્કર ઘનત્વ છે. જે બગાવત કરશે. તો શું આપણે માનસિક રીતે તૈયાર છીએ ખરાં આ વાવાઝોડાને ખમવા માટે? આપણા 'સ્વ'ભાવ અને માનસિકતાથી થોડા અલગ એંગલથી જીવતી જનરેશન સાથે તાલ મિલાવવા માટે? સૌથી પહેલા તો "અમારા સમયમાં તો આવું હતું" વાળા સંવાદ બને ત્યાં સુધી ઓછા કરશો તો ઘણો ખરો સંઘર્ષ ટાળી શકશો. તેઓ આજના સમયમાં જીવનારા છે. તેમના અપગ્રેડેડ વર્ઝનને સ્વીકારવા આપણે આપણી માનસિકતાને, દૃષ્ટિકોણને થોડા ઘણા અંશે અપગ્રેડ ચોક્કસથી કરવો પડશે. આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા, ત્યાં સહકાર મળતો, હુંફ મળતી, આપણી વાતો સાંભળવા ઘરમાં દાદા-દાદી, ભાઈ-બહેન, કાકા-કાકી બધા અવેલેબલ હતાં. એકંદરે ઘરમાં શાંતિ અને હળવાશભર્યું વાતાવરણ રહેતું. વહાલ, હુંફની આપણાં જીવનમાં, ખાસ કરીને આપણા બાળપણમાં, ક્યારેય કમી હતી જ નહીં. માણસ ગરીબ હોય કે તવંગર, તેના જીવનમાં પોતિકાઓનો સથવારો અવશ્ય રહેતો. તે પણ સાચા અર્થમાં. કોઈ તકલીફ હોય, બાળક કાલી-ઘેલી ભાષામાં પણ ખુલીને વ્યક્ત થઈ શકતો. તે માટે સરવા કાને સાંભળનાર હુંફાળા જન હતા. કુટુંબીજનો પાસે બાળક માટે સમય હતો. તેમની સાથે રમવાનો, જીવવાનો, તેમને કેળવવાનો ઉમંગ હતો. દાદાની આંગળી પકડી મંદિરે જવાનો લહાવો આપણને મળ્યો છે. મોટેરાઓના મોઢે વાર્તાઓ સાંભળીને કોળિયાઓ મોઢામાં મુકવામાં આવતા. આજે કોળિયાની જગ્યાએ ચમચીઓ, બાળકો માટેના ક્વૉલિટી ટાઈમની જગ્યાએ વધુ પડતી મહત્ત્વાકાંક્ષા અને મોબાઇલ એ લઈ લીધી છે. દરેકને પોતાની પ્રાઈવસી જોઈએ છે. બા-દાદા પણ મોટેભાગે કોઈ વધારાની જવાબદારી લેવાથી દૂર ભાગે છે. પોતાની પર્સનલ સ્પેસ માટે બાળકનું માત્ર ધ્યાન રાખે છે. સમય, હુંફ જે નથી આપી શકતા, તેનો કોઈ પર્યાય બાળકને નથી મળતો. તેમને બંને વસ્તુ, જે જીવનની બેઝિક નીડ છે, એક "પ્રેમ, વહાલ, લાગણી, હુંફ" અને "સમય" તે ભાગ્યે જ મળ્યો હોય છે એટલે તેમની સાયકોલોજીકલ નીડ પણ તે જ છે. જે કદાચ થોડી વાંકી-ચૂકી રીતે કે સ્વભાવગત ભિન્નતા દ્વારા કે પોતાના વિરોધી વાણી, વર્તન, વ્યવહાર દ્વારા બહાર આવી શકે છે. તેમને સાંભળો શાંતિથી, તેમને જજ કર્યા વગર, કોઈ જ પૂર્વધારણા બાંધ્યા વગર, કોઈ જજમેન્ટ આપ્યા વગર, કોઈ સલાહ-સૂચના આપ્યા વગર, બસ તેમને સાંભળો. તેમના મનમાં થતી ઉથલપાથલને નકારો નહીં, તેમને રહેવા દો, તેમને વ્યક્ત થવા દો. સારા શ્રોતા બનીને તેમને સાંભળો. ઈશ્વરના આ વરદાનસમ વ્યક્તિત્વને સ્વીકારવું પડશે. તે સ્વીકારવામાં વહાલ, પ્રેમ અને હુંફનો છાંયડો લઈને તેમની જે લાગણીની સાયકોલોજીકલ નીડ છે, તે પૂરી પાડવી પડશે. તે પણ તમે ઉપકાર કર્યો છે એવું જતાવીને નહીં. મારીને કે ધમકાવીને તમે તેમને દબાવી નહીં શકો. તેઓ દરેક બાબતમાં તર્ક માંગશે. તમારે મૂલ્યો, સારા ગુણો, સારી આદતો પણ તેમનામાં રોપવી હશે ને તો આ બે જ રસ્તે જ તમે રોપી શકશો. તેની સાથે સ્વસ્થ હકારાત્મક નિયમિત સંવાદનો સેતુ રચીને અને તેને લાગણીભર્યા, હુંફભર્યા વર્તન-વ્યવહારથી તેમનો પોતાના પરનો વિશ્વાસ પેદા કરીને. તમે શિક્ષક તરીકે, મા-બાપ તરીકે કે અન્ય સગા-સંબંધીઓ તરીકે, તેની આસપાસ મોબાઇલમાં ડૂબેલા રહેતા હશો, જૂઠું બોલતા હશો, કાવા-દાવા કરતા હશો તો તે જ કરશે અને તમે તેને ના નહીં પાડી શકો કે નહીં વાળી શકો. પછી તમે મોટા થયા પછી એમ કહેશો કે તું આવું ન કર, આવું ન બોલ, તું ઊંચા અવાજે ન બોલ, પણ તમે જ તમારા વડીલો જોડે એ રીતે વર્તન કર્યું હશે તો તે તમને મોઢે કહી દેશે અને તમારું દર્પણ તમને ત્યાં ને ત્યાં જ બતાવી દેશે. દુર્ગુણો તો આપણી જનરેશનમાં પણ હતા. તેમ તેમનામાં પણ હશે જ. પણ તેમને પોઝિટિવ રસ્તે વાળવી હશે તો તેમના મનોવિજ્ઞાનને સમજ્યા વગર બધું જ વ્યર્થ જશે. કૃષ્ણ કહી ગયા છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે. આ પરિવર્તનનું વાવાઝોડું છે. જે તૈયાર થઈ ગયું છે. આ વાવાઝોડાની સામું ન થવાય, તેને સમજીને પોતાના કરીને સાથે જવાય. બદલાવ જરૂરી છે, આપણી માનસિકતામાં, સમાજની માનસિકતામાં. જો થોભવાની ભાવના હશે ત્યાં ઊલટી ગંગા જ વહેવાની. જ્યાં સ્વીકાર હશે ત્યાં જ સમૃદ્ધિ હશે. તમે આ જનરેશનને પહેલા જેવા છે તેવો સ્વીકાર કરવો પડશે. તો જ કનેક્ટ થઈ શકશો તેમની સાથે. જ્યાં સુધી તેઓને તમારામાં પોતિકાપણું નહીં મળે, ત્યાં સુધી સંવાદનો, માનવતાનો, આત્મીયતાનો સેતુ બનવો થોડો અઘરો પડશે. હકીકતમાં આ વર્ષો સુધી દબાવીને જીવતી લાગણીની, વિચારશક્તિની, તત્ત્વજ્ઞાનની ઉત્ક્રાંતિ છે. આ કોઈ સ્થૂળ વ્યક્તિઓની નહીં, એક ઝડપથી બદલાતા જતા જમાનામાં સાચા અર્થમાં જીવી જવા ઈચ્છતી અને ખુદને પૂરવાર કરવા મથતી જનરેશનની ભાવનાઓની ઉત્ક્રાંતિ છે. તેમની ભાવનાઓને સમજવા તમારે ભાવસભર વાણી, વર્તન, વ્યવહાર રાખવા પડશે. તમે બોસ કે વડીલ બનીને તેમને નહીં જીતી શકો. હા, મિત્ર બનીને ચોક્કસ તેમનાં થઈ શકશો!ડૉ. મિત્તલ પટેલ'પરિભાષા'