Wednesday, 5 July 2023

પાટનગર ગાંધીનગરનાં ન્યુઝપેપર "ગાંધીનગર સમાચાર"માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો આજનો લેખ.....

એક રાસ્તા હૈ જિંદગી.... જો થમ ગયે તો કુછ નહી....✍️✍️🚦🧭🛣️🪔


               જીવનની દરેક ઘટના, દરેક પાસા, દરેક સંબંધો તમને ઝટ સમજાઈ જશે, તરત તેની આંટીઘૂંટીઓ ઉકેલાઈ જશે કે કમ સે કમ તેની સત્યતા તરત પરખાઈ જશે એ અપેક્ષા ક્યારેય કારગત નીવડતી નથી. જીવન એક મેળા જેવું છે. કંઈ કેટલાય હાટડીઓ બાંધીને જીવાતા સંબંધો હોય છે અને રસ્તામાં મળતી ઘટનાઓના તોરણ અને અનુભવોની ખરીદી, લે-વેચ થતી હોય છે. આ હાટડીઓમાં ખુશીઓ, પીડાઓ, આશ્ચર્યો, આઘાતો, અનુભૂતિઓ, કંઈ કેટલુય  ભાત ભાતનું, જાતજાતનું મળતું હોય છે. જે હાટડી પર ઉભા રહી જઈએ, તે વસ્તુ આપણે સહજ રીતે ખરીદી લેતાં હોઈએ છીએ. કોઈ પીડાની હાટડી પાસે પહોંચી ત્યાં થોભી જઈએ, તો તે આપણી સંગાથે આપણાં ભાથામાં વધતી રહે છે. જીવનરૂપી આ મેળામાં ચાલતાં,  વહેતાં રહીએ. હાટડીઓમાં આપણને જે જે મળે, તેને સાક્ષીભાવે જોઈ, નિરખી, અનુભવી ત્યાંથી આગળ વધી જવું એ જ યોગ્ય છે. તો કંઈ જ તમને સ્પર્શી નહીં શકે. જો અટકી ગયા તો તે તમારાં પર હાવી થઈ જશે. જો ખુશીની હાટડી પર થોભી ગયાં, તો પણ તે હાટડીમાંથી ખુશી ક્યારેક ને ક્યારેક તો ખાલી થવાની જ છે. તો જ્યારે તે ખાલી થશે ત્યારે આપને "ખાલી" થઈ ગયાં હોઈશું ભીતરથી. માટે ખુશીની હાટડી પાસેથી પસાર થઈએ ત્યારે માત્ર તેની અનુભૂતિ લઈ, આતમમાં ભરી આગળ વધી જવાનું છે. એટલે જ કહ્યું છે ને કે,

સુખમાં નવું છકી જવું ,
        દુઃખમાં ન હિંમત હારવી .

સુખ દુઃખ સદા ટકતા નથી,
          એ નીતિ ઉર ઉતારવી.


              આ જીવનમેળામાં દરેકે દરેક વસ્તુની એક કિંમત ચૂકવવી પડતી હોય છે.  તમે લાગણી આપીને જ લાગણી લઈ શકો છો. આત્મીયતા આપીને જ આત્મીયતા લઈ શકો છો. દુઃખ "આપીને" જ દુઃખ લઇ શકો છો. અને સહાનુભૂતિ આપો તો જ સહાનુભૂતિ મળે છે. નિસ્વાર્થ પ્રેમ આપશો તો "પ્રદીપ્ત થતી ઉર્જા" મળશે. માટે તમે શું કિંમત ચૂકવો છો, તેનાં પર આધાર રાખે છે કે આ જીવનમેળામાંથી શું મળી શકશે. ઈશ્વરે બધું જ આપણાં પર છોડ્યું છે. જો આપણે યોગ્ય વસ્તુ આપવાનું શીખી ગયા તો યોગ્ય વસ્તુ, સંબંધ, ભાવ પામવાને યોગ્ય બની શકશો.

યોગ: કર્મસુ કૌશલમ

              આખી ગીતાનો સાર એ જ છે કે "કર્મ કર ફળની આશા ન રાખ". એનો અર્થ એ થાય કે માત્ર કર્મ કરવાનું, ફળ ની "આશા" નહીં રાખવાની. પણ મર્મ એ થાય છે કે કર્મ કરો, ફળ આપો આપ જ યોગ્ય સમયે મળી જ જશે. "ફળની ઈચ્છા થવી" ખોટું નથી પણ  માત્ર ફળમાં જ આસક્તિ રાખીને કર્મ ન જ થવું જોઈએ. "અર્થ"થી "મર્મ" , "ભાવ"થી "ભાવાર્થ"સુધી તેમજ "અનુવાદ" થી "ભાવનુવાદ" સુધી પહોંચી શકીએ, ત્યારે જ જીવનની સાર્થકતાને સમજી શકતાં થવાય છે.


મિત્તલ પટેલ
" પરિભાષા"

Sunday, 2 July 2023

ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં જૂન-2023નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀🎊✍️

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?.....

             કવિ દલપતરામની આ બે પંક્તિ જીવંત શિક્ષકતત્વને ટકાવી રાખવા અને હજારો વલોપાત વચ્ચે પણ સાચાં શિક્ષકનું મનોબળ ટકાવી રાખવા ખૂબ જ માર્મિક અને વ્યવહારું ચાવીસમ છે.

પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

           બાળકો ખુશ થઈને શાળાએ આવે, હસતાં- રમતાં ઉત્સાહથી ભણે, કુતુહલતાથી પ્રશ્ન પૂછે, આત્મવિશ્વાસથી છલોછલો વ્યક્તિત્વવાળા અને શિક્ષકને ગર્વ થાય તેવી ઉગતી ક્ષમતાઓથી છલોછલ બાળહૈયાઓથી ભરેલ વર્ગ હોય એ કોઈપણ સાચાં શિક્ષકનું સ્થૂળ અને સૂક્ષ્મ સપનું હોઈ શકે...!!

              શાળામાં બધા જ સંજોગો અનુકૂળ હોય, આદર્શ ભાવાવરણ હોય, ઉત્તમ કક્ષાના આઈ- ક્યુ વાળા બાળકો હોય, જોઈએ એટલો સહકાર, સમભાવ અને ઈર્ષા દ્વેષભાવથી મુક્ત વાતાવરણ, પ્રોત્સાહિત કરતી વિભૂતિઓ મળી રહે તો જ શ્રેષ્ઠ કામ થઈ શકે, બાકી ન જ થઈ શકે એવી એવો વિચાર થોડો ઉણો ઉતરે છે. શું આપણાં બધાનાં જીવનમાં આદર્શ પરિસ્થિતિ ક્યારેય આવે છે ખરી? અથવા આવે તો તે કાયમી હોય છે ખરી? જો વાસ્તવિક જિંદગીમાં ન હોય તો કર્મ સ્થળે ક્યાંથી આવે? નાની મોટી તકલીફો, અડચણો  અસુવિધાઓ, વિરોધાભાસ, સંઘર્ષ, નાનાં મોટાં ઘર્ષણ, ખેંચતાણી, નકારાત્મકતા જોડે પનારો પડવાની ભીતિ, શિક્ષણમાં રાજકારણની છાયાનો અનુભવ, સડીપાત થતો હોવાનાં અણસાર બધું જ હોવાનું. એ સ્વીકારીને જ રોજ શાળાને મંદિર સમજીને પ્રવેશવાનું છે. બાળેશ્વરોને ઈશ્વરની સમકક્ષ માની જ્ઞાનયજ્ઞ પૂરી શ્રદ્ધાથી અને પોતાનાં સો ટકા આપીને કરવાનું છે.

              એક નાનકડો દીપક અંધારા ઓરડાને ઝગમગાવી શકવાની, સત્વરૂપી ઓજસ ફેલાવવાની તાકાત જો રાખતું હોય તો, શિક્ષકત્વથી મોટી જ્યોત તો કોઈ હોય જ ન શકે!! બસ આદર્શવાદની અપેક્ષામાંથી બહાર આવી, કર્મને આધીન રહી બાળકોને જ માત્ર માનસિક, ઈમોશનલ અને દ્રષ્ટિકોણના કેન્દ્રમાં રાખી,11 થી 5 શાળા સમયમાં બાળકો માટે કાર્ય કરવામાં આવે તો, શિક્ષક ચોક્કસથી શ્રેષ્ઠ નાગરિકોનાં નિર્માણની આધારશીલા બની શકે છે. દયાનંદ સરસ્વતી એ "સત્યાર્થ પ્રકાશ" જ્યારે લખવાનું શરૂ કર્યું, ત્યારે ધર્મના અનેકોવિધ કુરિવાજો ચાલતાં હતા. છતાંય શ્રેષ્ઠ ગ્રંથનું સર્જન અને પ્રાપ્તિ આપણને થઈ જ શકી... તો શિક્ષણમાં પણ આપણી આજુબાજુ જેટલાં કુરિવાજો અને દુષણો છે, તેમની વચ્ચે આપણે બાળકો માટે જ્ઞાનનો પ્રકાશપૂંજ રેલાવી શકીએ તેમાં જ આપણાં શિક્ષકત્વની ગરિમા છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
Mitalparibhasha.blogspot.com

9428903743

Thursday, 29 June 2023

ગાંધીનગર સમાચાર ન્યુઝપેપરમાં મારી રેગ્યુલર કોલમ "પમરાટ" નો 28/6/23 બુધવાર નો આર્ટીકલ.....🪻✨✍️🦚🦩

વાંચન માણસને માનસિક રીતે જગાડવાનું કામ કરે છે......✍️📗📘📙📖

           માણસને કોઈ ઘટના કે પ્રસંગમાં ઘણાં બધા રૂપિયા ખર્ચાઈ જાય તો કેટલું બધું ખૂંચે છે. પણ જિંદગીના દિવસોના દિવસો, કલાકોના કલાકો, વર્ષોના વર્ષો ખર્ચાઈ જાય પણ તેનાં તરફ લક્ષ સુધ્ધાં જતું નથી... સ્થિર ઉભા રહીને થોડી ક્ષણો થોભીને વીતી ગયેલ અને હમણાં જીવાતી ક્ષણોની સાર્થકતા વિશે વિચાર કરવાનો વિચાર પણ ભાગ્યે જ અથવા તો બહું ઓછાંને આવે છે. જો આવી શકે તો થઈ ગયેલ ખોટાં નિર્ણયો ભૂલો બહુ ઝડપથી સુધારી શકાય. આ ઉપરાંત બાકીનાં જીવનમાં સાચાં નિર્ણયો લેવામાં અને સાચું જીવન જીવવામાં તેમજ જીવનને સાર્થક બનાવવામાં ઘણી મદદ મળી રહે છે. વાંચન એ તો જાત સાથેની, બીજા શબ્દોમાં કહીએ તો જાત ભણીની યાત્રા છે. જે "તમે" છો તેની ઓળખાણ કરી આપતો "ભોમિયો" એટલે પુસ્તક. ટીવી જોવું ગમે પણ ટીવીના ચલચિત્ર કે મોબાઈલમાંથી નીકળતા શબ્દો તમને વિઝયુલાઈઝેશનની તાકાત આપી શકતા નથી. જ્યારે વાંચનથી તમારાં અંતરપટ પર જે તે દ્રશ્ય ઉપસી આવે છે. બીજી રીતે કહીએ તો તમે તમે જે વાંચતા હોવ છો, તેને જોતા પણ હોવ છો. પક્ષીઓના અવાજ કે વૃક્ષના વૈભવ વિશે વંચાતું હોય ત્યારે એ દરેકે દરેક ધ્વનિ, એ દરેકે દરેક વૃક્ષત્વની વિભાવનાઓ તમને અનુભવાય છે, તમને સંભળાય છે.

            કેટલીકવાર ગામડામાં રહેતાં હોઈએ અથવા પ્રકૃતિની વચ્ચે મોટાભાગનો સમય કાઢતાં હોઈએ, તો પણ કોયલનો ટહુકો કે વરસાદનાં છાંટા કે મોરની કળાનો જાજરમાન નજારો ભીતર સ્પર્શતો નથી. હૃદયમાં અનુકંપા જન્માવતો નથી. તે કાનનાં પડદામાં અથડાઈને પરાવર્તન પામી પાછો જતો રહે છે. આ એક પ્રકારનું સૂક્ષ્મ"જડત્વ" છે. જે આપણાં બધામાં વત્તા ઓછાં પ્રમાણમાં પ્રવેશી ગયું છે. "કુત્રિમતા" તેને નામ આપી શકાય. એટલે જ આપણને અન્ય વ્યક્તિનું દુઃખ, પીડા કે ખુશી બહુ જલ્દી સ્પર્શતી નથી. "હું" અને "મારું" એટલું વધી ગયું છે કે "આપણે" શબ્દ ઘરમાં, મિત્રતામાં, સમાજમાં, કુટુંબમાં કે કર્મ સ્થળે બહુ ઓછો વપરાતો થઈ ગયો છે. "આપણે", "આપણું", "આપણો" એ ભાવ, કોઈપણ સંબંધમાં, ઘરમાં, કુટુંબમાં, સમાજમાં અને કર્મ સ્થળોએ આવશે ત્યારે જ સંબંધો અને કામની ઉચ્ચ ગુણવત્તા અને એક ઉચ્ચ લેવલ જળવાશે. એ ત્યારે જ થઈ શકે જ્યારે તમે અન્ય વસ્તુ, ઘટના, વ્યક્તિ સાથે તાદામ્ય સાધી શકો. તેનાં સ્થાને પોતાને મૂકીને તેની ખુશી, પીડા અનુભવી શકો. પ્રકૃતિને પામવી હોય તો તેનામાં ઓગળવું પડે, તેનામાં ભળવું પડે, એકાકાર થવું પડે. આ બધું જ એઝ અ ગિફ્ટ વાંચન આપે છે. આ બધું જ સાવ સહજ રીતે આપણામાં વાવવાનું કામ વાંચન કરે છે.

                 કલમ પકડીને કંઈક સત્વ ચિતરવું ક્યારે શક્ય બને...?? અંતરમન સાંદિપનીરૂપી કલમ બની જાય,લેખકનું સ્થૂળ અસ્તિત્વ માનસિક રીતે મટી જાય અને અજાણ્યો પ્રવાહ તેનો હાથ પકડી કંઈક અલૌકિક શબ્દભાવ‌ ચિતરાવી જાય, ત્યારે કંઈક "સત્વ" અને "તત્વ" થી સભર લખાય છે. માત્ર પ્રાસ બેસાડીને તો કવિતા ય ન‌ લખાય. લેખનમાં કૃત્રિમતા પ્રવેશે ત્યારે લખાયેલું ક્યારેય વાંચકને સ્પર્શતું નથી. અને જે ભીતરથી ન સ્પર્શે તેને વાંચવું ય ન જોઈએ. શું વાંચવું? કેવી રીતે વાંચવું? વાંચેલું પચાવવું કંઈ રીતે? તે પણ એક વૈચારિક પ્રક્રિયા છે. અને તે નક્કી કરીને અમલમાં મૂકવું ખૂબ જ મહત્વનું છે. બાકી નીંદણરૂપી વિચારો આપણાં જીવનમાં ઊગી નીકળે, તો ઉધઈની જેમ સારાં વિચારોને કોરી જઈ ખોટી દિશામાં દોરે છે.

             એક સારો વાંચક લેખકના લખાણને સાર્થકતા બક્ષે છે. અને એક સારો લેખક વાંચનની પ્રક્રિયામાં પ્રાણપ્રતિષ્ઠા કરી સારાં અને સાચાં વાચકોનો ઉમેરો કરે છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Wednesday, 7 June 2023

પાટનગરનું પોતાનું અખબાર "ગાંધીનગર સમાચાર" માં રવિવારનાં વાંચન વિશેષ પાના પર આવતી મારી કોલમ "પમરાટ" હવેથી બુધવારના ન્યુઝ પેપરમાં આવશે...... છેલ્લાં એક વર્ષથી અવિરત ચાલી રહેલ મારી આ કોલમને આપ સૌનો ખુબ સુંદર સહકાર ,પ્રેમ, આવકાર અને પ્રતિભાવ સાંપડ્યો છે તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર... ઈમેલ, મેસેજ અને ફોન દ્વારા મળતા પ્રતિભાવ, અપ્રિશિયેસન અને સૂચનો એ હંમેશા મને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરી છે વધુ સારું લખવા અને શબ્દોનું ઉત્તમ ઘડતર અને ચણતર કરવાં.......... આભાર......🙏😊😊😊✍️✍️✍️🎉🌷 "ગાંધીનગર સમાચાર "🗞️ માં મારી રેગ્યુલર કોલમ "પમરાટ"નો આજનો લેખ......07/06/23... બુધવાર...