GCERT, SSA Gujarat અને પાઠ્ય પુસ્તક મંડળ,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટેની સ્વ અધ્યયનપોથી વિદ્યાપ્રવેશ-બ્રીજકોર્સ (2022) વિજ્ઞાન વિષયમાં એક લેખક તરીકે કાર્ય કરી ગૌરવની લાગણી અનુભવું છું. બે વર્ષનાં લર્નિંગ લોસને ફુલફીલ કરી નવું શૈક્ષણિક વર્ષ ગુણવત્તાસભર બની રહે તે માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરેલ છે. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઉપયોગી થશે એવી આશા રાખું છુ.
Saturday, 18 June 2022
Wednesday, 25 May 2022
શબ્દોની સુગંધ...📖👌
વાંચતા-વાંચતા કંઈક સ્ફુરે, અંતર્મનને વાચા ફૂટે, કલમ બને ટેરવાં અને કાગળ બને સંવાદ ત્યારે જે આલેખાય ને... તે નિરાકાર સત્વલેખન...
તું "તારાં"માં ઉગે ને.. ત્યારે લખજે તું..
. વાંચતા ખુદને મળે ને ત્યારે લખજે તું....
બહુ જ્ઞાનસંપદા, બહુ વાચાળતા, બહુ સંવાદિતા ટાળજે તું....
"અતિ"ને ખાળી "સમતા" તરફ ઢળી શકે ને.... ત્યારે લખજે તું....
પુસ્તકનાં પાનાની વચ્ચેની સુગંધને પામવું એટલે શબ્દોના ભાવ ને સ્પર્શવુ... તમે પાને-પાને મહોરી શકો ને "સ્વ"માં તો તેમાં જ વાંચનની યથાર્થતા છે.
એક બાગકામ કરતાં માળીને તેનાં છોડ સાથે જે આત્મીયતા હોય છે.. જાણે અકથિત લગ્નગ્રંથિ!! આત્મીયતા પણ કેવી? ખુદને તેમાં રોજ થોડું થોડું વાવી શકે, ઉગાડી શકે, ઓગાળી શકે. તેની કાળજી રાખવી, તેને પંપાળવું ,તેની સાથે સંવાદ, "સ્વ" જોડે વ્યવહાર જેવું થઈ જાય ને ત્યારે માળી 'છોડમય' બની જાય છે.
"ઓળઘોળ" થઈને જીવી શકાય જ્યાં ત્યાં જ સાચું "એકત્વ" પામી શકાય. આવું જ કંઈક પામી શકાય છે, જ્યારે આપણે મેઘધનુષના રંગોને આકાશની જોડે જડાયેલ જોઈએ છે. એવી જ રીતે કેટલાક વ્યક્તિઓ આપણાં જીવનમાં જડાઈ જતા હોય છે. આપણાં વ્યક્તિત્વમાં વણાઈ જતાં હોય છે. આપણાં "સ્વત્વ" નો એક ઓગળેલ ભાગ બની જતા હોય છે.
"અક્ષરત્વ"ને પામવું હોય તો તેની પાછળના ભાવતત્વને નિહાળવાની દ્રષ્ટિ કેળવવી પડે. માણસે સામેનાં માણસમાં "મનસત્વ "જોઈને વર્તન કરવાની આદત કેળવવી જોઈએ. તેનાં ગુણ દુર્ગુણોનો લોપ કરી, માણસ તરીકે સ્વીકાર કરી, વ્યવહાર કરવામાં આવે તો માણસાયત પૃથ્વી પર કાયમ માટે ટકી રહેશે.
શબ્દોની પણ એક હુંફ હોય છે. શબ્દોનું પણ એક પોતીકાપણું હોય છે. માટે જ સંવાદ એ શબ્દોનો ધાબળો છે. જે માણસનો માણસ જોડે સંબંધનો તંતુ જાળવી રાખવામાં અનિવાર્ય અંગ છે.
શબ્દોની પાંખડીઓને ગુંથી..
બની શકે સંવાદની વેણી...
તું મારામાં વણી લેવાય...
અને હું તારામાં જ ઉગેલ સરવાણી...
તું આકારજે મને તારામાં...
નિરાકાર "તત્" સ્વરૂપે....
તું વાચાળતા મારી બને....
ને હું મૌનની આભા તારી....
મિત્તલ પટેલ
" પરિભાષા"
Wednesday, 11 May 2022
આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......🖊️📖
"પર્જન્યતા"થી ભરેલ જાત સાથે જીવવું એટલે.....🌷🦚
ઈશ્વર જ્યારે બાળકને જન્મ આપે છે ને, ત્યારે તે બાળક ભીતરમાં પુષ્કળ શક્યતાઓથી ભરેલો, ક્ષમતાઓથી ભરેલો, અને નિર્મળ હોય છે. જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ દંભ,મોટાઈ, સ્વાર્થનાં ભાર હેઠળ દબાતો જાય છે. એ બધું ભરાતા તે જે ઈશ્વર દ્વારા અપાયેલ કશું પણ પૂરેપૂરું બહાર નથી આવી શકતું . જ્યારે દંભ, સ્વાર્થ બધું ભરાઈ ગયું પછી ઉપર પ્રયત્નો કરીને ગમે તેટલી ક્ષમતા કેળવવાની પ્રયત્નો કરે છલકાવાનુ જ. તે ભીતર પચી જ નથી શકવાનું કારણકે જગ્યા જ નથી, ભરેલું છે. માટે આપણે જોઈએ છે ને કે અમુક માણસો નાની અમથી સફળતા મળતા છકી જાય છે કારણકે તે પચાવી નથી શકતાં."I m something" એવો અહમ તેમનામાં આવી જાય છે. પચાવવા ભીતર જગ્યા જ નથી હોતી. તેથી તે બધું જ છલકાઈ જાય છે જ્યારે જે માણસ નિર્દંભ, નિ:સ્વાર્થી અને કોઈ જ પ્રકારના મોટાઈના હેતુ વગર કાર્ય કરતો હોય છે ને તે ભીતરથી ખાલી હોય છે. હળવો રહીને જીવી શકે છે. જેટલી હળવાશ એટલી પ્રસન્નતા. માટે આવા લોકો પ્રસન્નચિત્ત હોય છે. ઘણી બધી સફળતા, છતાં તે વ્યક્તિ નિર્લેપ અને આનંદિત રહેશે. કારણકે તે તેનાં કામને માણી શકે છે. તકલીફોને ઊજવી શકે છે. આત્મસન્માનને જાળવીને સંદિગ્નપણે સંબંધોને પણ એક ઊંડાણનાં લેવલ સુધી જીવી શકે છે.
થોડા ઊંડે ઊતરો
અને દેખાય તળિયું.....!!
આ તો માત્ર 'નામ' ના નામ
બાકી હોય છે દંભનું ભોયતળિયું...!!
"વાંચન" એ માણસ પોતાની જાતને વધુ સારી રીતે સમજવા, પોતે પોતાની જાત જોડે વધુ સારી રીતે સંવાદ કરવાં, વધુ ગુણવત્તા સભર, સત્વથી ભરેલ, જિંદગી છલોછલ જીવવા ઈંધણ પૂરું પાડે છે. આવી જ રીતે જ્યારે માણસ ભગવદ ગીતા વાંચે છે. ત્યારે તેનામાં સતત રોજેરોજ કંઈકને કંઈક સત્વ ઉમેરાય છે. જે તેનાં વ્યક્તિત્વની છબી બની જાય છે. જાણે પ્રોટેક્ટિવ કવરિંગ..!! જેમ મોબાઇલ ફોન પર ટફન ગ્લાસ તેની સ્ક્રીનને તૂટતા અટકાવે છે. તેમ વ્યક્તિના વ્યક્તિત્વને, તેની આત્માને, તેની જાતને, ઈમોશનલ માનસિક રક્ષણ પૂરું પાડે છે. નકારાત્મકતા, નિરાશા, ફ્રસ્ટેશન સામે રક્ષણ પૂરું પાડે છે. માત્ર ભગવદ્ ગીતાના એક અધ્યાય નહીં, માત્ર એક પાનું દરરોજ વાંચવામાં આવે તો પણ તે વ્યક્તિ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્ટેપ બાય સ્ટેપ પોતાનાં જીવનમાં આવતાં બદલાવ, સત્વનો ઉમેરો અને જીવનની સાચી સમજ અને દ્રષ્ટિકોણ સાથે નિર્લેપ ભાવ આપોઆપ તેનામાં વણાતો જતો તે પોતે અનુભવી શકે છે.
ભાખોડિયા ભરતું આખું જીવતર જોને!!
ક્યાંક તારામાં રોજ કંઈક ઉગતું જોને....!!
તું તાગ મેળવજે કે, થઈ રહ્યું છે શું રોજેરોજ....
વહી જતું તે છે એક માત્ર ઝરણું જોને...!!
મિત્તલ પટેલ
" પરિભાષા"
mitalpatel56@gmail.com
Mitalparibhasha.blogspot.com
Saturday, 30 April 2022
ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં એપ્રિલ-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀
શિક્ષણ સંસ્થાઓ અને રાજનીતિ..💫🤔🎭
શિક્ષકો શાળાના બાળકોને પોતાનાં લેવલથી બેસ્ટ પ્રયત્ન કરી ભણાવતા હોય, "ભણાવવું" એ તેમનાં માટે વ્યવસાય તો ખરો જ, સાથે-સાથે શિક્ષકત્વના રંગમાં પોતાનાં વ્યક્તિત્વને રંગતો રોજેરોજ ઉજવાતો ઉત્સવ પણ ખરો. હા, કામચોરી ,છટકબારી વગેરે દૂષણો દરેક વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં રહેવાના જ. પણ શિક્ષકો પાસેથી સમાજને અને દેશને વધુ અપેક્ષા છે કારણકે તે દેશના શ્રેષ્ઠ નાગરિકો ઘડવા કડિયા ની ભૂમિકા ભજવે છે. શિક્ષક જ્યારે બાળકો માટે શાળામાં કામ કરતો હોય છે, ત્યારે તેને પણ આજુબાજુનાં લોકોનાં કાવાદાવા, નીચે પાડવાની વૃત્તિ, બીજા અમુક લોકોને કામ ન કરવું હોય એટલે પોતાનું કામ આગળ ન આવવા દેવાની વૃત્તિ વગેરે પ્રકારના નાના મોટા સંઘર્ષનો સામનો કરવો જ પડતો હોય છે. પણ સૌથી મોટો ફટકો, સૌથી વધુ નુકસાન શિક્ષણને ત્યારે જ થાય છે, જ્યારે શિક્ષણને વ્યવસાય બનાવી દેતાં ધંધાદારી બિઝનેસ મેન તેમાં ઝંપલાવે છે. શિક્ષણને વિદ્યાર્થીનું મંદિર અને શિક્ષકને પુજારી બનાવી વિદ્યાર્થીના ઘડતરનું ચણતર કરતાં વર્ગખંડ બનાવે ત્યાં સુધી સીમિત રહે તો બરાબર છે. પણ જ્યારે શિક્ષણમાં રાજનીતિ પગપેસારો કરે છે, ત્યારે શિક્ષકત્વની ગરિમા જોખમાય છે. શિક્ષણનું કાર્ય હૃદયથી કરવામાં આવતું અને બાળકો માટેની લાઈવ વર્કશોપ છે. તેમાં કાવાદાવા, માત્ર દેખાડો કરવાની વૃત્તિ, નામ બનાવવાની વૃત્તિ, બાળકેન્દ્રી અભિગમથી નહીં સ્વકેન્દ્રી અભિગમથી જ્યારે શિક્ષણ પ્રક્રિયા થાય છે, ત્યારે બાળકોનું શિક્ષણ અને ઘડતર બન્ને જોખમાય છે. શિક્ષકો જ્યારે આવી રાજનીતિમાં ઈનવોલ્વ થાય છે ત્યારે તેમનામાં રહેલ શિક્ષકત્વમા ચોક્કસ ફટકો પડે છે. શિક્ષણનો વ્યવસાય માત્ર ચાપલૂસી અને દેખાડાની મદરેસા ના બની જાય એ માટે શિક્ષક પોતાના "સ્વકર્મ"માં રાજનીતિને involve કરવાનું ટાળવું જ રહ્યું.
. કેટલીકવાર વધુ પૈસા કમાવવાની લ્હાયમાં શિક્ષક અન્ય શિક્ષણની સંસ્થાઓ જેમના હેતું તો શ્રેષ્ઠ હોય છે પણ સાધન અયોગ્ય હોઈ શકે છે,તેમનાં હાથા બની ને રહી જાય છે. શિક્ષકના વ્યવસાયની ગરિમાં ત્યારે જ જળવાઈ છે, જ્યાં બાળક સમગ્ર શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકો, અધિકારીઓ વગેરેના કેન્દ્રમાં હોય. તેમનાં હિતને ધ્યાનમાં રાખીને જ દરેક સ્ટેજના શિક્ષણને લગતા માણસો કર્મ કરે તો જ શિક્ષણ અને આપને શ્રેષ્ઠતમ લેવલ સુધી પહોંચાડી શકીશું.
મિત્તલ પટેલ
"પરિભાષા"
mitalpatel56@ gmail.com