Wednesday, 2 February 2022




આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

ભુલાયેલી વિરાસત- "પત્ર-લેખન"...💫✍🏻📨📃


   અભિવ્યક્તિના કંઈ કેટલાય માધ્યમો આવ્યાં અને ગયાં. શબ્દો સાથે શબ્દભાવ મનોભાવનું તાદ્રશ્ય ચિત્રણ બનાવી લાગણી , હ્રદની છલોછલ સંવેદનાઓની પીંછીથી રંગપુરણી કરીને, સામેવાળી વ્યક્તિ સુધી શબ્દોનાં માધ્યમથી પહોચતું સંબંધનું મેઘ ધનુષ એટલે પત્ર. 

        પત્ર લખવાની સાથે  એક સાયકોલોજીકલ અને સાયન્ટિફિક વિભાવના જોડાયેલી હોય છે.તે એ છે કે કેટલીકવાર વ્યક્તિનાં મનની ભીતર ઊંડે ઊંડે સામેવાળી વ્યક્તિનાં માટે એક્ઝેટલી ક્યાં ક્યાં ભાવ છે, તેમાં કેટલું ઊંડાણ છે,  તેમની લાગણીઓનું પોત કેટલા અંશે તરબતર છે, તે ખુદને જ એટલી સ્પષ્ટ પણે ખબર હોતી નથી. જ્યારે કાગળ પર કલમનું માધ્યમ મળે છે, ત્યારે આપોઆપ હૃદય જાતે અભિવ્યક્ત થાય છે, દિમાગથી થોડું અળગું રાખીને. માટે આ સંબંધમાં તર્ક, સ્વાર્થ એ બધું ગળાઈને કાગળ પર નીતરે છે. અને વ્યક્તિ અન્ય વ્યક્તિ માટેનાં ભાવ લાગણી કાગળ પર ઉતારે છે ત્યારે તે ભાવ, લાગણી પ્રેમનું દ્ઢીકરણ થાય છે.. કેમ કે અર્ધજાગ્રત મન ઉપર તે ફરીથી તાદ્રશ્ય છપાય છે. તેનો મન પર રંગ વધુ ઘેરો બને છે. સંવેદનાઓ વધુ ઘૂંટાઈને વધુ મજબૂત બને છે અને માનસિક ઈમોશનલ બોન્ડીગ વધુ મજબૂત બને છે આ તો જ્યારે પત્ર લખાય છે ત્યાં સુધીમાં આટલું બધું અનુભવાઈ જતુ હોય છે. આટલું બધુ જીવાઈ જતું હોય છે. પણ જ્યારે પત્ર સામેવાળાના કરકમળમાં પહોચે છે અને વંચાય છે ત્યારે દ્રષ્ટિ, દ્રષ્ટિકોણ, વિચાર, લાગણીતંત્ર,  સંવેદનાતંત્ર બધું જ એકરુપ  થઈને જાણે તે શબ્દોમાં નૃત્ય કરતું હોય તેવું ભાસે છે. તે વ્યક્તિ જે તે વ્યક્તિને તાદ્રશ્ય ફીલ કરી શકે છે. દૂર રહેવા છતાં નૈક્ટ્ય અનુભવી શકે છે. પુત્ર જો પિતાને, ભાઈ બહેનને કે મિત્ર મિત્રને તેનાં જન્મદિવસ કે અન્ય પ્રસંગે પોતાની લાગણી પત્રના માધ્યમથી અભિવ્યકત કરે તો તે આનંદ બંને માટે ચિરંજીવી બની રહે છે. અને તેમની વચ્ચેનો ઈમોશનલ બોડીંગ જળવાઈ રહે છે.

શબ્દો આકારે જ્યારે...
         મનને હૃદને, ભાવને....
તું અનુભવે તે વ્યક્તિનાં
         સંવેદનના એક એક તારને..

મિત્તલ પટેલ
" પરિભાષા"
ખેડા જિલ્લાની વઘાસ પ્રાથમિક શાળાનાં મેગેઝિન "પ્રગતિ"નાં ફેબ્રુઆરી-૨૦૨૨ નાં અંકમાં... મારો શૈક્ષણિક લેખ........💫😀
"બાળ વૈભવ"

        એક બાળકની નજીક જીવવું એટલે ચૈતન્યને રોજ સ્પર્શવું, સંવેદવુ અને અનુભવવું. તમારે ઈશ્વરનાં અંશને તાદ્રશ્ય પણે અનુભવવો હોય તો એક નાનકડાં બાળના નાનાં નાનાં હાથને પોતાની હથેળીમાં લઈ એ સ્પર્શને સાંભળવો.
       આ પ્રસન્નતાના ગરમાળા જેવા બાળકો ની વચ્ચોવચ રોજેરોજ જીવવાનો લાહ્વો મળે એ શિક્ષકનાં જીવનનો સૌથી સુખદ અને અહોભાગ્યથી મળેલ ક્ષણો કહેવાય.

         તમે બાળકોની વચ્ચે ક્યારેય નિરાશ લાંબા સમય સુધી ન રહી શકો. ડિપ્રેશન હોય, નકારાત્મકતા હાવી થવા આવી હોય, જીવનની તકલીફોને લીધે નિરાશા ખુદને હરાવવા પ્રયત્નશીલ હોય, ત્યારે બસ કોઈને કોઈ રીતે બાળકો વચ્ચે વર્ગમાં પહોંચી જઈ અડધો કલાક સંવાદ, વાતો કરી લેજો. તેમની કાલીઘેલી ભાષામાં બોલેલ શબ્દભાવના સ્પંદન અનુભવી જોજો. તેમની આંખોમાં હર્ષના ગુલાલને નિરખી જોજો. આપણી તરફનાં નિસ્વાર્થ સતત વરસતા તેમનાં વ્હાલને  વધાવી લેજો. તો દુનિયાના સૌથી સુખી માણસ એ ક્ષણે તો તમે પોતાને ચોક્કસથી માનતા થઈ જશો.

           આ દુનિયામાં સૌથી વધુ વાંચાળ કંઈક હોય તો તે સ્પર્શ છે. બાળકોના નિર્દોષ ચહેરાને સ્પર્શી જોજો વ્હાલની પરિભાષા આપોઆપ સમજાઈ જશે. દુનિયા તર્કથી નથી ચાલતી ,સંવેદનાથી ચાલે છે. જો તમે સામેવાળી વ્યક્તિના ન બોલાયેલા શબ્દો સાંભળી શકો, ડૂમો ભરાય જીવને સંવેદી શકો ,અનુભવી શકો, તરડાયેલી લાગણીઓને પારખી શકો તો તે વ્યક્તિ, તે બાળકનાં હૃદઆસન પર સદાય માટે પોતાનું સ્થાન બનાવી શકો.

      શિક્ષક એ બાળકની ઊર્જાનો વાહક છે. તેને તો આ કુદરતી ઊર્જા સ્રોત ને પુરી દુનિયા ના કણેકણ સુધી વહાવવાનો છે. વહેતો કરવાનો છે. તેની આત્મા સાથે ઐક્ય સાધીને શબ્દાતીત સંવાદ સાધવાનો છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Sunday, 23 January 2022


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

💫"અવકાશ વગરનું આકાશ"✨


      વાક્ય લખતી વખતે શબ્દો વચ્ચે અવકાશ ન હોય તો? આકાશમાં તારાઓ સાવ લગોલગ ગોઠવાયેલાં હોય તો શોભે ખરાં!! બે દિવસ વચ્ચે રાતનો અને બે રાત વચ્ચે દિવસનો અવકાશ ન હોય તો?? સતત મળતું સુખ હોય તો પણ તે "સાતત્ય' તેનો સાચો આનંદ ગુમાવી દે છે. જ્યારે ચોક્કસ અવકાશ સાથે આંખોમાં શોભતી કીકીઓને આપણે સ્વીકારી શકીએ છીએ, બે મત્લા અને મિસરા સાથે શોભતી કવિતા સમયનાં ચોક્કસ અટકાવ સાથે આપણે માણી શકીએ છીએ, એકબીજાને પૂરતો અવકાશ આપી સારાં શ્રોતા અને વક્તા બની એક મજાનો સંવાદ આપણે સાધી શકીએ છીએ . તો સંબંધને એક ચોક્કસ અવકાશ સાથે આપણે શા માટે સ્વિકારી નથી શકતાં? આપણે સંબંધમાં એક બ્રિજ એટલે કે "બંધ" નહીં બારણું બાંધીને તેને લોક કરી બંધ કરી રાખી મૂકવા ઈચ્છીએ છીએ. એક વ્યક્તિને તેનાં વ્યક્તિત્વને તે નિખારી શકે , તેનાં પોતાનાં "સ્વ"ને ઘડી શકે, તે માટે થોડી સ્પેસ આપીને તેની સાથે નથી જીવી શકતાં. કોઈ પુસ્તક પણ આંખની સાવ નજીક રાખીને નથી વાંચી શકાતું.થોડુંક અંતર, થોડોક અવકાશ સાથે જ પુસ્તકને આપણે વાંચી શકીએ છીએ. વ્યક્તિનું પણ એમ જ હોય છે.

        વિચારો! પંખાની પાંખો બાંધી દઈને તમે તેને ફરવાનું કહો તો ફરી શકે ખરાં!! મુળત્વ જોડાયેલું રાખી, આભાને ખીલવાનો પુરતો અવકાશ આપશો તો સંબંધ તરતો રહે છે. સ્થગિત નથી થઈ જતો. જ્યારે "મમત્વ"નું પ્રમાણ કોઈપણ વસ્તુ કે વ્યક્તિ માટે વધી જાય છે, ત્યારે ગુંગળામણ અનુભવાય છે. અને તે ગુંગળામણ સંબંધમાં શ્વસતી જીવંતતાને કોરી ખાય છે. પછી રહી જાય છે એક અપ્રગટ ,સ્થગિત થઈ ગયેલું સગપણ.

       પવનને તમે કહો કે તમારે આ જ દિશામાં વહેવાનું છે, અસ્તવ્યસ્ત નહીં ,તમે નદીના વહેનને રોકવાનું ,સ્થગિત કરવાનો પ્રયત્ન કરો તો તે તેનું મૂળ તત્વ ગુમાવી દે છે. અને કોઈપણ વસ્તુ કે સંબંધમાં સાચું તત્વ તેનું મૂળભૂત સ્વરૂપ છે. તે જેવું છે તેવું તમે સ્વીકારી શકો, તેને બદલ્યા વગર તેની સાથે જીવી શકો. તેને બાંધ્યા વગર સબંધાઈ શકો તો જ તમે તેના મૂળ તત્વ સુધી પહોંચી શકો, તેમાં રહેલી સત્વને પામી શકો.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Saturday, 22 January 2022



મુંબઈથી પબ્લિસ થતાં સર્જનહાર મેગેઝીનનાં જાન્યુઆરી- 2022  અંકમાં મારો લેખ...

"સંનિષ્ઠ પ્રયાસો થકી પાગરતી જીજીવિષા..."💫✨



            કંઈ કેટલીય મુશ્કેલીઓ જ્યારે નિરાશાની ગર્તામાં ડૂબાડવા માણસને તલપાપડ હોય, ઉગતાને ડામવા કંઇ કેટલાએ શાબ્દિક હથિયારો લઈને પહેરો ભરતા હોય, ત્યારે પોતાની જાતને કહી દેવું...

"હું છું ને તારી સાથે
       તું પ્રયાસનું હલેસું મારતો જા...
હું જીવું છું તારી સાથે
‌.        તું નૈમિત્તિક કર્મમાં વહેતો જા..
મારો વિશ્વાસ છે તારી સાથે
       તું વધુ સમૃદ્ધ બની ઉગતો જા..
નદી બની રહી શકીશ
      તો જીવી શકીશ તું નિર્મળતાથી
હું સંગાથે છું ને તારી સાથે
       તું નિરાશા ખંખેરી આનંદ વહેંચતો થા..


          વિખુટી પડેલ જાતને જ્યારે આપણે ખુદ જોડે પાછી જોડતાં, કનેક્ટ કરતાં શીખી જઈએ છે ને ત્યારે તણખા ભીતરથી અંતઃસ્ફુરણા સ્વરૂપે આપોઆપ ઝરે  છે. અને જે જીહવળવામાં, ટકી રહેવામાં, સતત પ્રયત્ન કરવા માટે આપણને ઈંધણ પૂરું પાડે છે.
       "સેલ્ફીમાં રાચતો માણસ સેલ્ફ માં પણ સ્થિત હોવો જોઇએ..."

           જાતને ઝંઝોળીને મૂકી દે તેવી ઘટનાઓ જિંદગીમાં બનવી અનિવાર્ય છે.તો જ તે ખુદને પોતાનાં સાચાં મિત્ર, સાચાં સંગાથી, સાચાં રાહબર તરીકે જાત જોડે જોડવા સક્ષમ બને છે. જ્યારે ભીતરથી વાગે અને સંવેદનાનું લોહી નીકળે ને ત્યારે જ તમે કંઈક શાશ્વતને પામી શકો છો!!


સરળ રસ્તે નથી પહોંચાતુ
            શાશ્વત સુધી...
ક્ષણભંગુરતા વ્યાપેલી છે સર્વત્ર સર્વત્ર

તું ટકી રહેજે , તારાં પ્રયાસો થકી.. સતત..
 તારામાં ઊગી નીકળીશ તું
         ભરપૂર અત્ર-તત્ર-સર્વત્ર...


          કેટલીકવાર આખું જીવન સંબંધો, સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિ, દરેક સંજોગ જેવાં ભાસે, જેવું દેખાય છે તેનાથી વિપરીત નીકળે અને જે નહોતું દેખાતું તે પ્રગટે. શ્રેષ્ઠ લાગતું હોય તે સાવ વામન નીકળે. અને ઝાંખપ ને કઠોરતા જેનાં વ્યવહારમાં હોય તે શ્રેષ્ઠ નીકળે. આવી બધી ભ્રમણા, અનુભૂતિ સતત જીવનમાં થતી રહે છે. આપણે જજમેન્ટલ બનીને જીવવા જઈએ કે આ ઘટના આ વ્યક્તિ આવી છે, તો તેનું વ્યક્તિત્વ તેનો હાર્દ સ્વરૂપ આવું જ હશે તો ચોક્કસથી આપણે ખોટા પડીએ છીએ. દરેક ઘટના, દરેક વ્યક્તિમાં મેઘ ધનુષ કરતાં પણ અતરંગી અનેક રંગો, સ્વરૂપ ,વ્યક્તિત્વ હોય છે. જે અલગ-અલગ સ્વરૂપે ધીમે ધીમે આપણી સામે આવે છે. એક સમયે તદ્દન વિપરીત લાગતું વ્યક્તિ થોડાં સમય બાદ અન્ય પ્રસંગે સારપવાળું લાગે છે. માટે જો તમારે કોઇપણ સંબંધમાં જીવનનાં કોઈ પણ પ્રસંગે, ઘટનાક્રમે કે જીવનના કોઈ પણ તબક્કે નિરાશ ન થવું હોય, માનસિક આઘાતોને ઓછા વેઠવા હોય, "માણસ બદલાઈ ગયો" "જીવન રોળાઈ ગયું" જેવી ફિલિંગ ન અનુભવવી હોય તો ક્યારેય કોઈ વ્યક્તિ કે ઘટનાને જજ કરવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે. આવું થયું એટલે તે વ્યક્તિ આવી જ હશે. આવી ઘટના બની એટલે મારી સાથે ખોટું થયું, સારું જ થયું તેવું જજમેન્ટલ બનવામાંથી બહાર આવવા સતત પ્રયાસો કરવા પડશે જીવનભર... તમે ધીમે ધીમે આ ઘટનાઓ, વ્યક્તિઓ અને સંબંધોના સાચાં સ્વરૂપ સુધી પહોંચી શકશો. જીવનને તેના એઝ ઈટ ઇઝ સ્વરૂપ, આપણા અસ્તિત્વના હેતુ, કારક સ્વરૂપ અને સાધ્ય સુધી પહોંચી શકીશું. સારું લાગે તેને સ્વીકારવું અને ના સારું લાગે તેને અવગણવું, અમુક સંબંધને પકડી રાખવા અને અમુક સંબંધ  કે વ્યક્તિ માટે ગ્રંથિ રાખી દુઃખી થતા રહેવું, તેનાં કરતાં તટસ્થ રહી જીવનને એક સાક્ષી ભાવ સાથે જોવાની દ્રષ્ટિ વિકસાવવી અને "ધારી લેવું" ની વૃત્તિમાં થી બહાર આવી દરેક ક્ષણને જીવંત બનીને lively જીવવાનાં સતત પ્રયાસો કરવા તેનું નામ જીવન. ભલેને તકલીફ હોય તે ખુશી, પીડા હોય કે પ્રસન્નતા... સ્થિતપ્રજ્ઞ રહી જીવવું તેનું નામ જીવન.

ભોમ આખું ભમી લેશો તો ય...
     ભમવું પતે નહીં તારું તારાં સુધી..
તું જીવી લેજે જીવે ત્યાં સુધી...
       પ્રયાસો થકી, ઉત્કંઠતાઓ થકી...


મિત્તલ પટેલ
" પરિભાષા "
અમદાવાદ

Friday, 7 January 2022

         

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......
✨💫"Joy of giving..."✍🏻✨😀😀😀🎈


        આપણે સૌ "મને શું મળ્યું?", "મારી કોઈને કદર નથી", "મને આને સહકાર ન આપ્યો", "બધા સ્વાર્થી છે "...જેવી ફરિયાદો માં રાચીએ છીએ. પણ "તમે શું આપ્યું?" ,"તમે નિસ્વાર્થતાથી કેટલાં લોકોને મદદ કરી?", "તમે કોણે સહકાર આપ્યો?", "તમે કોણે કોણે શાબ્દિક કે અશાબ્દિક પ્રોત્સાહન, ટેકો, માનસિક સંગાથ આપ્યો?" તે વિશે ભાગ્યે જ વિચારતાં હોઈએ છીએ. સાચું સુખ અને સંતોષ તો વહેંચવામાં છે, આપવામાં છે. પૈસા હોય તો જ આજે તમે કંઇક બીજાને આપી શકો તેવું નથી. તમે એક સાચાં હૃદયનું સ્મિત પણ સહજપણે આપી શકો છો. તો સર્વત્ર  ખૂશી વ્યાપશે. તમે પ્રોત્સાહનના બે વાક્યો કોકના સારા કાર્યને બિરદાવવા આપી શકો છો. જે માનસિક મનોબળ તેમનું વધારશે અને જુસ્સો પણ. તમે કોક તકલીફમાં રહેલ વ્યક્તિને "બધું સારું થઈ જશે" અને "હું છું તારી સાથે" એ સાંત્વના રૂપી થોડા ભાવ આપી શકો છો. તે તેની જીજીવિષા ટકાવી રાખશે. જ્યારે તમે સાચાં હૃદયથી કંઈક આપો છો, ત્યારે જ શાશ્વત કંઈક પામી શકો છો. જે સાચી પ્રસન્નતા બક્ષે છે. તમે તમારાં જૂનાં કપડાં કોઈ જરૂરિયાતમંદોને વહેચી શકો. થરથરતી ઠંડીમાં થોડાં સ્વેટર કે ધાબડા વહેંચીને માનવતાની મહેક ફેલાવી શકો. આર્થિક રીતે સધ્ધર ન હોય તેવાં બાળકોને ભણવા માટેની ફી ભરી જ્ઞાન યજ્ઞમાં આહુતિ આપી શકો. તમારી કે તમારા બાળકનો જન્મ દિવસ ગરીબોને ભોજન કે નાસ્તો કરાવીને ઉજવી શકો. આવી તો ઘણા બધા કાર્યો કરીને માનવતાને જીવંત રાખી શકો છો. અને બદલામાં જે  આનંદની અનુભૂતિ મળે છે તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.
     સૌથી મહત્વની વસ્તુ એ છે કે મદદ એવી રીતે કરવી કે ડાબા હાથે કરો તો જમણાં હાથનેય ખબર ન પડે. એટલે કે કોઈને જાહેરાત કરવાની કે "મેં કર્યુ" તેવો ભાવ રાખીને કરવાની જરૂર નથી. જો તમે એવું કરો તો તેનું જે આનંદ અને સંતોષ છે કાયમ માટે ગુમાવી દો છો. અને મદદ સ્વિકારનાર વ્યક્તિને પણ નાનપની, ક્ષોભ ની લાગણી અનુભવાય છે. અને અંતે બધુ શૂન્ય બની જાય છે. આજે તો નાનું પણ કંઈક દાન કર્યું હોય તો પણ તેની જાહેરાત કરવામાં આવે છે. આખી દુનિયા પડી છે પોતાને સારાં સાબિત કરવા. પણ ખરેખર તમે કંઈ પણ મદદ કોઈને આપો છો ત્યારે તેને જીવન યજ્ઞ માં એક આહુતિ આપી છે, તેમ સમજીને ભૂલી જાવ અને કોઈને કહેવાની જરૂર પણ નથી કે "મેં કર્યું" એવો ભાવ રાખવાની તો સહેજ પણ જરૂર નથી. જો તે અહમ્ તમારામાં આવી ગયો તો પછી તમે કોઇપણ સારું કામ પછીથી નહીં કરી શકો. "હું માત્ર નિમિત્ત છું" ઈશ્વરે મને ક્ષમતા આપી છે તેથી હું  મદદ કરી શક્યો. હું ન હતો બીજો કોઈ હોત. આપણે રાખ સાથે જોડાયેલાં રહીને પરમાર્થ કરીએ છે, ત્યારે જ સાચાં અર્થમાં કંઈક સારું કાર્ય આપણાં દ્વારા થતું હોય છે. બાકી બધું દેખાડાનાં ભાગરૂપે આપણામાં દંભ પરોવે છે.

મિત્તલ પટેલ
"પરિભાષા"
અમદાવાદ

Thursday, 6 January 2022

"ગિજુભાઈ બધેકા"💫
🎈🥳બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો🥳

💫✨Activities 💫✨

🎈ચલો બેંક શીખીએ.
🎈કમ્પોસ્ટ ખાતર બનાવતા શીખીએ.
🎈ગ્રીટીંગ કાર્ડ બનાવતા શીખીએ.
🎈માસ્ક મેકિંગ એક્ટિવિટી..
🎈ચલો Freehand drawing બનાવતાં શીખીએ...
🎈ભાતભાતના સ્ટોલ સાથે "આનંદ મેળો" ઉજવીએ.
🎈પતંગ બનાવતા શીખીએ.
🎈રમતોત્સવ...
🎈મહેંદી...
🎈રંગોળી...

પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી