Tuesday, 17 August 2021

મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં ઓગસ્ટ- 2021 અંકમાં મારો લેખ...


"કોઈનાં જીવનમાં આપણી જગ્યા હોવી અને સ્થાન હોવું બંને અલગ છે..."

  

       કેટલું અઘરું છે વ્યક્તિવિશેષ બનવું કોકના જીવનમાં..!!
               સબંધી બનવું સહેલું હોઈ શકે..


કેટલું અઘરું છે રસ્તે માર્ગદર્શક બનવું....!!
              સલાહકાર બનવું સહેલું હોઈ શકે...

કેટલું અઘરું છે સ્વીકાર માણસનો "માણસ" તરીકે કરવો...!!
              તેમનાં ગુનાઓના વકીલ બનવું સહેલું હોઈ શકે.....


      
            પ્રયત્ન કર્યા વગર સહજપણે જે વર્તન થતું હોય કે ભાવ અનુભવાતો હોય છે  તે  વ્યક્તિના માનસ પર ઊંડી છાપ છોડી જાય છે. નહીં કે સારી ભાષાઓમાં કરેલાં વ્યવહાર. લોહીનાં સંબંધો બાય ડિફોલ્ટ બંધાય છે. પણ તે સંબંધોમાં ભાવનો, લાગણીનો બંધ તો આપણે જ બાંધવો પડે છે અને યોગ્ય સમયે તેનું સમારકામ અને માવજત પણ કરવી પડે છે. તેમનાં જીવનમાં આપણી સંબંધરૂપી માત્ર "જગ્યા" હોય તો પૂરાઈ પણ જઈ શકે. તેનું રિપ્લેસમેન્ટ પણ થઈ શકે. પણ જો "સ્થાન" હશે તો માત્ર તમે જ હશો.તમારું સ્થાન બીજું કોઈ નહીં લઇ શકે. સંબંધનું આ લેવલ દરેક વ્યક્તિ કદાચ ન સમજી શકે. કારણ કે દરેક પોતે બાંધેલાં એક દૃષ્ટિકોણથી જ વ્યક્તિને નિહાળે છે. કેટલીકવાર આપણાં કોઈ શિક્ષકે કહેલ કે લખીને આપેલ થોડાંક શબ્દો આપણને જીવનભર યાદ રહે છે. અને આપણને જીવનની ઘણી પરિસ્થિતિમાં દિશા સૂચન પણ કરે છે .પ્રેરણા આપે છે. અને તે શિક્ષકનું આપણાં જીવનમાં એક ચોક્કસ સ્થાન બની જાય છે. તેવું જ કોઈક વ્યક્તિ એ આપણને સ્વાર્થ વગર, સંઘર્ષના સમયમાં કરેલ મદદ, માનસિક સપોર્ટ તે વ્યક્તિનું આપણાં જીવનમાં એક અનામી સ્થાન બની જાય છે એક "માણસાઈ"નું  સ્થાન. આજે સમાજમાં માણસાઈ મરી પરવારી છે મોટેભાગે. લાગણી પણ અહીં સંબંધ અને સ્વાર્થનાં ઓથ હેઠળ દાખવવામાં આવે છે. ત્યારે આપણાં જીવનમાં માનવતા દાખવતાં માણસોના પગલાં જીવનભર રહી જાય છે.


માનવતાની કોઈ પ્રયોગશાળા નથી હોતી...
        વેદના કોઈની, પોતે સમાન માત્રામાં અનુભવી, સંવેદી શકે તે જ સાચો "માણસ" છે.



         કેટલાંક માણસો પૃથ્વી પર ઈશ્વરની ટપાલ સ્વરૂપે આવતાં હોય છે. જેનાં લીધે આ દુનિયા ટકેલી છે. માનવતાનું ઊર્ધ્વીકરણ તેમનાં સત્કર્મોથી આપોઆપ થાય છે. ચારે બાજુ દૂષણો, સ્વાર્થની વચ્ચોવચ્ચ જીવતાં હોવાં છતાં, સંઘર્ષોથી સતત છોલાતા રહેતાં હોવાં છતાં, અગરબત્તીની સુવાસની જેમ અન્યનાં જીવનનાં ઉત્કર્ષ માટે સતત કાર્યાન્વિત રહે છે. અને તેઓ કેટલાંય લોકોનાં જીવનમાં અતુલ્ય સ્થાન ધરાવતાં હોય છે.


ઝાકળબિંદુનું સ્થાન જેમ પાંદડા પર... 

                  ને પતંગિયું બેસે  ફૂલ પર..

રસવાઈ દીર્ઘઈ બેસે જેમ શબ્દ પર..
               ને ભાવ બેસે અર્થ પર .....

સ્થાન તો સહજ બને છે, જેમ સંવાદ થાય સહજ અપવાદ પર....


મિત્તલ પટેલ
"પરિભાષા"

Thursday, 5 August 2021



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"પલળવું સહજ બને છે, ભીંજાવું એ સંવેદનાનો ભીતરથી ઉજવાતો ઉત્સવ છે"....

   

       અક્ષ  દેખાય તો જ "પોતાની" અનુભૂતિ થવી શકય બને છે. દર્પણ વગર પોતે પોતાને જોવું શક્ય છે ખરું? તેવી જ રીતે તોતિંગ સપનાઓ ભલે ભીતર ખળભળે, પણ જીવાય તો તારે જ છે જ્યારે વરસાદ સમું ધોધમાર વરસી શકાય તેવું ભોમ સંગાથે હોય.સવેદનાનો પડઘો માણસને જિવાડે છે. નૈમિત્તિક કર્મો કરવાં આધારશીલા બને છે.

        પલળવા અને ભીંજાવાની પરિભાષામાં ફરક એટલો જ છે કે પલળવું ઉપરછલ્લું બને છે જ્યારે ભીંજાવા તો ભીતરથી છલોછલ થવું પડે. પોતાને પોતીકી માયા લાગે, વ્હાલપનું  રજવાડું આંગળી પકડે, ત્યારે વાદળીનો ઝણકાર મનનાં તારને રણઝણાવી શકે. વરસાદનાં ટીપાંના નૃત્યને, તેનાં રણકારને તહેદિલથી અનુભવી અને માણી શકીએ.

ક્યાં કોઈ શૃંગારનો મહોતાજ હોય છે..!!
                વરસાદી ઝાંઝરનો ઝણકાર અને મેઘધનુષી કટિબંધ તેની કાતિલ પરિભાષા છે.

          પ્રકૃતિને માણવા તો પ્રકૃતિમય થવું પડે. પ્રકૃતિનાં સ્વભાવમાં આગળવુ પડે. તરલતા વિચારોમાં અને દ્રષ્ટિકોણમાં કેળવવી પડે. અઘરાપણામાંથી બહાર આવી બધી ગૂંચોને  ખંખેરીને સહજ થવું પડે.

અઘરું બનવું સરળ છે..
       સરળ બનવું અઘરું છે.

        મન અને મગજ વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ દરેક વ્યક્તિ પોતાનાં જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક તો અનુભવતાં જ હોય છે. મગજ જે તર્ક સમજે છે, તેનું અર્થઘટન કરે છે અને નિર્ણય લે છે, તે મન નથી સ્વીકારાતું અને મન જે દિશાસૂચન કરે છે તેનું મગજ સ્વિકાર નથી કરતું. આ પરિસ્થિતિમાં વ્યક્તિ નિર્ણય લેવામાં ગુંચવાઈ જાય છે. કદાચ માનસિક રીતે નિચોવાઈ જાય છે એમ કહી શકાય.

          ઘણાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતાં, ઉત્તમ ચારિત્ર્ય ધરાવતાં વ્યક્તિઓને વાંચીએ તો સમજાય છે કે તેઓ આ પરિસ્થિતિમાં ભીતરથી ઉઠતા નાદને, અંતરનાદ ને અનુસરે છે. લોકોનું મહાટોળુ તેમની  વિરુદ્ધમાં ભલે હોય ,કે ભલે તેમને સામા પ્રવાહે તરવાનું આવે, કે ઘણાં સંઘર્ષોનો સામનો કરવો પડે, પણ આ રીતે લીધેલા નિર્ણયથી જિંદગીમાં તેં અપ્રિતમ સફળતાને પામે છે. અને ક્યારેય પસ્તાવાનો વારો નથી આવતો.સમાજને માટે કંઈક સારું કરવા માટે પ્રકૃતિએ તેમને નિમિત્ત બનાવ્યાં હોય છે. કોઈ પરમ સત્યને પામવા તેમનામાં સાહસ કરવાની હિંમત છે એવું કુદરત તેમનામાં પારખી ગઈ હોય છે તેથી જ આવાં કાર્યો માટે તેમને નિમિત્ત બનાવે છે. આવાં ભીતરથી છલોછલ અને નિસ્વાર્થી, કપટ વિહીન, નિર્લેપ મન ધરાવતાં લોકો પોતાની આજુબાજુ એક ઓરાં રચે છે. જેનાં સંપર્કમાં આવનાર દરેકને તે શાતા આપે છે, પોઝિટિવિટી આપે છે, સારાં કાર્ય કરવાની ઉર્જા અને દિશા આપે છે કોઈ પ્રબળ પરિબળો આ વ્યક્તિઓને પ્રકૃતિ સાથે જોડે છે. જેમ કે તેઓ જેવાં છે, તેવાં જ દેખાય છે અને તેવાં જ વર્તે છે. તેમના મન, કર્મ અને વચનમાં ઐક્ય હોય છે. " નિર્લેપતા"એ આવાં વ્યક્તિઓનો સૌથી મોટો ગુણ છે. કોઈ પણ સ્વાર્થ ,કપટ ,દેખાડો, મોટાઈ જેવાં પડના લેપ તેમનાં મનોઆવરણ પર ચઢેલા હોતા નથી. તેથી જ તેઓ પ્રકૃતિમય બની શકે છે.

          બાળકોના નિર્દોષ સ્મિત પણ તેમને ભીંજવી જાય છે. સમાજ માટે, જરૂરિયાત મંદ લોકો માટે કરેલ કોઈ સારું કાર્ય કે મદદથી શાતા મેળવનાર વ્યક્તિના મન અને આંખોમાંથી નીકળેલ અશાબ્દિક આશિષ પણ તેમને ભીંજવી જાય છે. તેમનાં સંઘર્ષના સમયમાં કોઈએ સંગાથ માટે ઝાલેલો હાથ  પણ આંખ સાથે તેમનાં હૃદયને ભીંજવી જાય છે.ભીંજાવા તેઓ વરસાદનાં મહોતાજ હોતા નથી.

         સારાં પુસ્તકોનું વાંચન તમને "તરલ" બનતાં શીખવે છે. તમારામાં રહેલ જડત્વને દૂર કરે છે. વિચારોની તરલતા, સ્વભાવની નિર્દોષતા તમને પાછી આપે છે, જે બાળપણ પછી ક્યાં ખોવાઈ ગયેલ  હતી. તમને પોતાને સમજવાં, પોતાને ઓળખવા, સંપર્કમાં આવતી દરેક વ્યક્તિને ખામી ખૂબી સહિતના "એક માણસ" તરીકે જોતાં અને સ્વીકારતાં શીખવે છે. ટેવ આપોઆપ પડે છે, આદત કેળવી શકાય છે. ધીરજ, રસ અને થોડી મહેનતથી વાંચનની આદત પણ કેળવી શકાય છે. જે તમને પ્રકૃતિમય બનાવે તમે એક સારાં માણસ બનાવે છે. જીવન પૂરું થાય તે પહેલાં, જીવનને સાચી રીતે જીવતાં શીખવાડે તેવી આ આદત અવશ્ય કેળવવા જેવી છે.

મિત્તલ પટેલ
" પરિભાષા"

Tuesday, 3 August 2021



ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મેગેઝીન શિક્ષકજ્યોતના ઓગસ્ટ- 2021 અંકમાં મારો લેખ....

"મથામણ કરવી" અને "ઝઝૂમવું" એ જીવનમાં ટકી રહેવા માટે કેળવવા જેવાં ગુણો છે...☕💫



             કેટલીકવાર  ધ્યેય સુધી પહોંચવા કરતાં ત્યાં સુધી પહોંચવાની યાત્રા, મથામણ, પોતાનાં કાર્યમાં સંપૂર્ણ તલ્લીન થઈને સહજપણે જીવેલ ધ્યાનસ્થ ક્ષણો માંથી મળેલ પ્રસન્નતા વધું કિમતી, વધુ યાદગાર અને વધુ જીવંત હોય છે. ને આપણે હંમેશા તે જીવેલ ક્ષણોને, મળેલ ફળ કરતાં વધુ વાગોળતાં હોઈએ છીએ. આ જે યાત્રા છે તે ક્યારેય સરળ નથી હોતી. જ્યારે મનમાં પ્રશ્નો ઉદભવે, મુશ્કેલીઓ ,તકલીફો સતત માર્ગમાં દસ્તક દેતી હશે, અતિશય કપરું લાગતું કાર્ય લગભગ અશક્ય લાગવાનાં આરા પર હોય, અને કુદરત તમને ભયંકર અસમંજસની સ્થિતિમાં લાવીને મૂકી દે ત્યારે જો ઝઝૂમવાની વૃત્તિ તમારામાં હશે તો તમે હિંમત હાર્યા વગર સતત પ્રયત્ન કરી, મૃગજળ સમાન લાગતાં ધ્યેયને સ્થૂળ સ્વરૂપે સફળતાપૂર્વક પ્રાપ્ત ચોક્કસથી કરી શકશો. કોઈપણ કાર્ય ગમે તેટલું કપરું લાગે પણ જો તેનો ઉદ્દેશ શ્રેષ્ઠ હોય,શ્રેયકર હોય, અને ઘણાં બધાનાં હિતનું વાહક હોય તો તેને મેળવવાં "સતત મથવું" પડે તો તે મથામણ તમને "સ્વ"ને તપાવી વ્યક્તિત્વને ઉજળું કરનાર ભગીરથી બની શકે છે.

"કોઈપણ કાર્ય તલ્લીનતાથી કરવું એ યોગ છે"


          આજે ચારેકોર, દરેક ક્ષેત્રમાં જે નૈતિકતાનો અભાવ જોવાં મળી રહ્યો છે તેના મૂળમાં જે તે ક્ષેત્રમાં તેમનાં કાર્યમાં આવતી નાની-મોટી મુશ્કેલીઓ, પ્રશ્નો, મૂંઝવણો, વિરોધ, લોભ-લાલચ , વગેરે નો સામનો કરવાની, તેની સામે ઝઝૂમવાની, અને મક્કમપણે પોતાના કર્મો ને વળગી રહેવાની હિંમત અને મનોબળનો અભાવ કારણભૂત હોય છે."સ્વ"ની મર્યાદાને કારણે સાચાના પક્ષે ઉભા રહેવાની નીતિની સ્વભાવગત ગેરહાજરી ,અને જીવનમાં ઉભા થયેલા પ્રશ્નોનો ઉપાય શોધવાં "મથામણ કરવાની" , "ઝઝૂમવાની"  વૃત્તિનો અભાવ હોય છે. દરેક પ્રશ્નો, દરેક તકલીફ ,સમસ્યાનો ઉપાય તરત નથી મળતો તે માટે સતત પ્રયત્ન કરવો પડે છે. એક ઉપાય કારગત ન નીવડે તો બીજો, બીજો કારગત નીવડે તો ત્રીજો તેમ સતત પ્રયત્નશીલ રહેવા મનને કેળવવું પડે છે. અધવચ્ચેથી કાર્ય પડતું મૂકી દેવું તે તો પોતાના કમ્ફર્ટ ઝોનમાં ફરતાં ભમરડા જેવું વ્યક્તિત્વ કહેવાય. સાહસવૃત્તિ તે વારસામાં નથી મળતી તેને કેળવવી પડે છે. કોઈ સારા હેતુ માટે આરભેલ કાર્યને તેના ધ્યેય સુધી પહોંચાડવા "મરજીવા" બનવું પડે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે.


       "કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી"એનો મતલબ એ નથી કે એક જ કોશિષ કરવાથી સફળ થઈ જવાશે. આ કોશિષ વારેવારે જ્યાં સુધી પોતાનાં કાર્યમાં સફળ ન થવાય ત્યાં સુધી "સતત" કરવી પડે છે. સફળતા એ એક અવિરત યાત્રા છે.
 એક ગીત છે જે હંમેશા પ્રેરણા આપતું રહ્યું છે.
"એક રાસ્તા હૈ જિંદગી, જો થમ ગયે તો કુછ નહી...
       અગર કીસી મુકામ પે,જો જમ ગયે તો કુછ નહી....


       હવે આ ગુણો આપણે બાળકોમાં બાળપણથી કેળવવા ખૂબ જરૂરી છે. જે તેમને તેમનાં જીવનમાં આવતી મુશ્કેલીઓ ચઢાવ-ઉતારમાં ટકી રહેવા, જીવનમાં સફળ થવા, ખુશ રહેવામાં મદદ કરશે. EQ લેવલ મજબૂત બનાવવામાં મદદ કરશે.  આ કોરોના સમયમાં તે ઘરમાં પોતાનો મોટાભાગનો સમય વ્યતીત કરી રહ્યો છે ત્યારે તેનાં આ એકાંતને મોબાઈલ હાથમાં પકડાવી દઈ એકલતામાં પરિવર્તન ન કરો. તેનાં હાથમાંથી મોબાઇલ લઇ લો અને તેને આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બનાવો. તેનું ધ્યાન મોબાઈલમાંથી બહાર નીકળશે તો તે વાસ્તવિકતામાં જીવતા શીખશે. તેને રસ્તાઓ બતાવો. તેમાંથી કયો રસ્તો પસંદ કરવો તેને નક્કી કરવા દો. તેને વાંચન માટે પુસ્તકો લાવી આપો, પ્લાન્ટેશન માટે છોડ લાવી આપો, તેને મથામણ કરતો કરાવવા project materials, બધુ લાવી આપો. હવે તમે આ કર કે તે કર તેવું કહેશો નહીં. ટીવી કે મોબાઈલ ગેજેટ થી દૂર રહેશે તો આપોઆપ કંઈક નવું વિચારવા, નવું કરવાં પ્રવૃત્તિમય બનશે કદાચ એવું કંઈક વિચારીને કરે જે આપણે ન વિચાર્યું હોય બાળકનું મન અગાધ છે. તેને માત્ર વર્ચ્યુઅલ વર્લ્ડ થી દૂર કરી વાસ્તવિકતાનો અનુભવ આપવાની જરૂર હોય છે. કુદરત તેને આપોઆપ આંતરિક પ્રેરણા આપી મથામણ કરતા શીખવશે. નવા નવા મિત્રો બનાવવા પ્રેરશે, અને મિત્રો સાથે કોઈ ઝઘડો થાય પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે તેનું સોલ્યુશન કરી આપવા ઉતાવળા ન બની જાય. બાળક પર લાગણીનો કળશ ઢોળી તેનું ઉપરાણું લઇ ઝઘડવા ન બેસી જાવ. તેને તેના તેના પ્રશ્નો નું સોલ્યુશન જાતે લાવવા દો. તેને સાંભળો જરૂર,તેની જિંદગીમાં શું ચાલી રહ્યું છે તેનું તટસ્થ રહીને નિરિક્ષણ ચોક્કસ કરતા રહો પણ તેને જાતે નિર્ણય લેવા દો. જાતે રસ્તાઓ શોધવા દો. તેને પોતાનાં જીવનનાં સમીકરણનો ઉકેલ જાતે શોધવાં દો. તમે એવું પણ બને કે પોતાના વિચાર કરતાં વધુ ઉત્તમ ઉપાય તે શોધી કાઢે. પોતે પણ બાળક પાસેથી ઇન્સપાયર થાવ એવું પણ બને. નાનપણથી જ બધુ બેઠું બાળકને આપી દેવાને બદલે તેને પોતાની બે વોટર બેગ, કંપાસ બોક્સ, લંચ બોક્સ, જાતે તૈયાર કરવાની વૃત્તિ, બુટ મોજા જાતે પહેરવાની ટેવ, જમ્યા બાદ પોતાની થાળી જાતે મૂકવાની ટેવ બાળકને સ્વાશ્રયી બનાવવાની પ્રક્રિયાનું પહેલું પગલું બનશે.


મિત્તલ પટેલ
પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી

Thursday, 22 July 2021



આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

નદીનાં વહેણની જેમ "વહેતા રહેવું" તેનું નામ જીવન...🌊🛶💫



       સ્થગિતતા એ સર્વ તકલીફનું મૂળ છે. એ શારીરિક હોય કે માનસિક. ખડક સાથે અથડાય પછી દરિયાનું પાણી ફીણ ફીણ થઈ જાય. સાવ તૂટીને વિખરાઈ જશે એમ જ લાગે. હવે સ્થિર થઈ તે પોતાની તાસીર બદલી નાખશે એમ જ લાગે. પણ તે ફરી જાણે ઉત્સાહથી તરબતર ભીતર મોજાની સરવાની રેલાવી પોતાનો વહેવાનો સ્વભાવ અકબંધ રાખે છે.

          પરિસ્થિતિ તમારામાંથી "તમારાપણુ"  ન છીનવી લે તે ખાસ જોજો. સારી પરિસ્થિતિ હોય, બધાં સંજોગો અનુકૂળ હોય, ત્યારે પણ પોતાનું "સ્વત્વ" સાથે રાખી મનથી સજાગ રહી, સતત પ્રવૃત્તિમય રહેવું. હવે બધું મળી ગયું, હવે કંઈ કરવાની જરૂર નથી. તેમ સમજી સ્થગિત ન થઈ જવું. સંબંધોને એઝ ગ્રાન્ટેડ લઇ તેની માવજત રૂપી ખાતર પાણી આપવાનું બંધ ન કરી દેવું. બધાં પાસામાં આપણે સતત કનેક્ટ રહીને જીવંતતાથી દરેક ક્ષણ જીવતાં રહેવાનું છે.


         કેટલીક વાર કેટલીક કડવી વાસ્તવિકતા આપણે સ્વીકારી નથી શકતાં. અથવા તેનો સ્વીકાર ખૂબ જ કપરો અને તકલીફદાયી હોય છે. એટલે આપણે સહેલો રસ્તો અપનાવીએ છીએ." તકલીફ વગરનું કલ્પન" મનમાં બનાવી અને વાસ્તવિકતાને તે રીતે જોઈ ને ત્યાં માનસિક રીતે સ્થિર થઈ જઈએ છે. આપણાં લાગણીતંત્રની દોર જાણતા-અજાણતા ત્યાં કોઈ ખીંટીએ બંધાઈ જાય છે. કેમકે જે કલ્પન છે તે વાસ્તવિકતા નથી. ને વાસ્તવિકતા છે તેનો સ્વીકાર આપણે કરતા નથી. જ્યારે તમે જે પરિસ્થિતિ છે તેને એઝ ઈટ ઈઝ સ્વીકારો છો, તો થોડો સમય અઘરું લાગે તેને પચાવવું. પણ પછી જીવવું ખૂબ જ સહજ, હળવાશભર્યું અને સાચું બની જાય છે.  આપણે જેવું વિચારીએ છે તેવી દુનિયા અને તેવા જ લોકો હંમેશા હોતા નથી. પણ જેવાં લોકો અને જેવી દુનિયા છે તેવો તેનો સ્વીકાર આપણને સ્વયંને સહજ બનતાં શીખવે છે. વહેતાં શીખવે છે. અને આ વહેણમાં જ પ્રસન્નતા છલોછલ ભરેલી છે.

સાદડી બની બેઠી વાદળી..
           વરસાદ શાને આવે...!!
એ તો દોડતી દોડતી જાય...તો જ..
           પાણી સમાવી જાણે...!!
હૈયામાં ઉમંગનો ઉમળકો સીદ ખોવો..!!
     ખડકાળ જમીન પર પથરા તો..
            મૂર્તિકાર બનીને આવે...!!


          રોજની દિનચર્યા ની પણ એક સ્થગિતતા હોય છે. તેમાંથી કંટાળો અને જડતા આવે છે. તમે તમારાં જીવન સાથે ડીસકનેક્ટિવિટી અનુભવો છો. તમે સાચાં માં જીવો છો કે માત્ર "જીવતા જ છો" અને રૂટીન કામગીરી ચાલ્યા કરે છે. આ પરિસ્થિતિ દરેકનાં જીવનમાં ક્યારે કબજો જમાવી લેશે તેનો ખ્યાલ ભાગ્યે જ આવે છે અને જીવતર પૂરું થઈ જાય છે. એક જ ઘરેડમાં જીવી નખાતું આયખું એ દરેકની આજે પરિસ્થિતિ છે. પણ હાં, જીવવું એ જીવંત ક્યારે બને?

        જ્યારે તમે કુત્રિમ બની જાઓ છો ત્યારે "સ્વ" માં આરૂઢ થઇ શકતાં નથી. સહજ પણે રડવું આવે તો ખુલ્લા મને રડી લો. હસવું આવે તો ખુલ્લા મને હસી લો. દિવસમાં થોડો સમય ગમતું કાર્ય કરી લો. મનમાં ભરેલા સામંજસ્ય, અસમંજસ, પ્રશ્નો આઘાતો, પીડા વગેરે કાગળ પર ગમે ત્યારે લખીને ભાર હળવો કરી લો. હળવાશ આવશે તો ભીતરથી પ્રસન્નતા આપોઆપ અનુભવાશે. કાગળ પર લખીને પછી ભલે તેને તમે ફાડીને ફેંકી દો પણ કાગળ પર મનાવરણ પરનો ભાર ઉતારી દેવો ખૂબ જરૂરી છે. તે માટે કોઈ લેખક હોવું જરૂરી નથી. પોતાની જાતને સ્પષ્ટપણે અનુભવી શકશો. પોતાની જાત જોડે ખુલ્લા મને જીવવા આ પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી છે. સંવાદ ખૂબ જરૂરી છે. તે જાત જોડે હોય કે અન્ય વ્યક્તિ જોડે. વાતો કરવી અને સંવાદ કરવો બંને અલગ છે. સંવાદ ભીતરનો હોય. મૌનમાં પણ એક સંવાદ હોય છે. જો અનુભવી શકીએ તો. જ્યારે વાતો એ બાહ્ય વાર્તાલાપ છે જે ભીતરને ખુલીને ચીતરી ન શકે. ચિત્રકાર ચિત્ર દોરે તે પણ જાત સાથેનો સંવાદ જ છે. તે પોતાનાં ભીતર ઉઠતા સંવેદનોને ચિત્ર સ્વરૂપે ચીતરે છે. ગીતકાર ગીત ગાય છે ત્યારે તે ભીતરનાં ભાવોને રાગ સ્વરૂપે મુક્ત કરી સંવાદ કરે છે. કવિ કવિતા સ્વરૂપે અભિવ્યક્તિ રૂપી સંવાદ કરે છે. પ્રવાસી પ્રકૃતિ સાથે તાદાત્મ્યરુપી સંવાદ કરે છે. આ સંવાદની પ્રક્રિયા એ વહેવાની પ્રક્રિયા છે. તમે તમારાં ભાવો, લાગણીઓ, તકલીફ, ખુશી ,પીડા ,મુંઝવણો કુતુહલતા વગેરેને સંવાદ સ્વરૂપે વહેતાં કરી દો છો, ત્યારે ખળખળતી જીવંતતા તમારામાં જીવતી રહે છે.

મિત્તલ પટેલ 
"પરિભાષા"
 અમદાવાદ

Tuesday, 20 July 2021