Friday, 16 July 2021

"કલાકુંજ" મેગેઝિનમાં મારું એક ગીત..... ....."ગરમાળો"....☘️

Thursday, 15 July 2021


મુંબઈથી  પબ્લિશ થતાં સર્જનહાર મેગેઝીનનાં જૂલાઈ- 2021 અંકમાં મારો લેખ...


"રાહ જોવી" અને "વાટ જોવી" તેમાં ફરક હોય છે...




મૃગજળ હોય તોય તે "પરબ" બની જાય છે..
         શાંત મહી તોફાન વસે છે જેનામાં, તે ચિક્કાર જીવી જાય છે ...

"રાહ" જોવી અને "વાટ" જોવી એમાં ફરક એટલો જ છે...
         રસ્તા બધા બંધ થાય પછી તે "રાહ" "માર્ગ" બની જાય છે...



         કેટલીકવાર જિંદગી અજાણ્યા રસ્તા પર ઘણું ભટકાવે છે... સાવ જંગલ જેવું લીલુંછમ લાગતી હરિયાળી એ  રણ નીકળે
અને મૃગજળમાં નદી કેરુ વહેણ ભાળી જવાય,તેવી પ્રકૃતિની અભેદ, અલૌકીક સૃષ્ટિ હોય છે. આમાં અંતરાત્માને સાંભળી શકો , તેને અનુસરી શકો અને તે રસ્તે ચાલવાની હિંમત કેળવી શકો તો પથરાળા રસ્તા પણ સુલભ અને જીવનની કાંટાળી કેડીઓ પણ આલ્હાદક બની જશે કારણ કે તાપણામાં તપીને હૂંફ મળે છે  જે રક્ષે છે. સળગાવતી નથી.

         શ્રેષ્ઠતા સુધી પહોંચતા વાર લાગે છે. ત્યાં ધીરજ જોઈએ, ઉતાવળથી પાવરધા થવાય , શ્રેષ્ઠ નહીં. "નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન નિશાન" તે મુજબ ધ્યેય ભલે ગમે તેટલું કઠીન, અઘરું અને દુર્લભ લાગે પણ શ્રેષ્ઠ જ હોવું જોઈએ. ઓછી મહેનતથી મળેલ રૂપાળી સફળતા તમારાં પોતાનાં "સ્વ" ને ક્યારેય વિકસાવી શકતી નથી. જ્યારે તમે બહારથી પ્રગતિ કરતાં હોવ પણ તમારાં વિચારોનો ,વિચારદ્રષ્ટિનો વિકાસ ના થતો હોય, તમારા "માનસ"નો વિકાસ ન થતો હોય તો તે પ્રગતિ તમે ફીલ નથી કરી શકતા. તે શ્રેષ્ઠ હોય તો તેનાં માટે રાહ જોવાની ધીરજ, હિંમત હાર્યા વગર સતત મહેનત પ્રયત્ન કરવાની તૈયારી હોવી જોઈએ અને આ જ નાની નાની વસ્તુ આપણામાં જીજીવિષા જીવતી રાખી છે. જો તમારે માત્ર પૈસા કમાવવા હોય, કંઈક મેળવવું, કંઈક સારું કાર્ય કરવાના ,ઓરતા કે જીવનને ચોક્કસ મુકામે પર પહોંચાડવાના ઉમંગ ના હોય તો જીવવાની જીજીવિષા ક્યાંથી જનમશે!! માત્ર ચણિયાચોળી પહેરવાથી નવરાત્રી નથી અનુભવતી. તે માટે ભીતરથી તરબતર ઉમંગ ,મનનો અનુરાગ જોઈએ. માત્ર બેન્ડ વાજા અને ઢોલક વગાડવાથી પ્રસંગ નથી ઉજવાતો .હૃદયને હર્ષોલ્લાસથી ભરી દેતો પોતીકાઓનો ભાવ જોઈએ. તેવી જ રીતે જીવનને જીવવા લાયક બનાવવા, તેને માણવાનું ગમે, જીવવાનું ગમે તેવું બનાવવા, પોતાને પોતાનાં કરતાં વધુ ઓળખતા મિત્રો જોઈએ. જીવનને જેવું છે તેનાં કરતાં વધુ ઊજવી જવા ખેલદિલીભર્યું હ્દય, કશુંક મેળવવા જીવ રેડીને તલ્લીન થઈને કામ કરવાની આતુરતા સતત રહે તેવું સરનામું જોઈએ તે માટે રાહ જોવાની ,તેમાં આવતી અડચણો, તેમના વિરોધાભાસી પરિબળો, વાવાઝોડા નો સામનો કરવાની ધીરજ જોઈએ,      
      કુદરતના વ્યવસ્થાપનમાં વ્યવસ્થા જ એવી છે કે દેખાતું નહી, અનુભવાતું સાચું હોય છે. દ્રશ્ય નહીં, દ્રષ્ટિ કારગત નીવડે છે. વ્યવહાર નહીં, તહેવાર મનને સ્પર્શે છે. મૃદુ દ્વેષભાવ નહી, કઠોર પણ સંવેદનશીલ હૃદય આકર્ષે છે.


અદકેરી આ કુદરતની ચાલ તો જુઓ..
       ચિત્ર તે જ બતાવે છે જે ચિત્રકારને જોવું હોય...

મૂર્તિની દ્રષ્ટિ ફરતી નથી ક્યારેય..
       પણ ફરતી લાગે છે જ્યાં આપણે જવું હોય...

સરળ લાગતાં રસ્તા પહોંચાડતા નથી ક્યાંય...
        વાંકોચૂકો રસ્તો જ શીખવે પહોંચતા,જ્યાં હ્રદને કંઈક કડારવું હોય...

"રાહ" જોવી એ સરળ નથી... આમ કંઈ..!
        "આવશે"  એ કહેણની હરક્ષણ તેમાં હયાતી હોય...
મિત્તલ પટેલ
"પરિભાષા"

Wednesday, 14 July 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


લહેરો સે ડરકર નૌકા પાર નહિ હોતી....🌊🛶





       જ્યારે તમે ઘેટાઓના ટોળાથી કંઈક અલગ કેડી કંડારો છો, કોઈ સારાં હેતુ માટે કોઈ સારાં કાર્ય માટે ,મનમાં ગાંઠ વાળીને પરિશ્રમ કરતાં હોવ છો ત્યારે નૈતિકતાના અભાવ ધરાવતા લોકો સફાળા જાણે જાગી જાય છે અને કોઈપણ રીતે સતત તમારો વિરોધ કરવાં, નીચા બતાવવા, શાબ્દીક અશાબ્દિક જાણે ચળ ઉપડી હોય તેમ ધુઆપુઆ થઈને કાગારોળ કરી મૂકે છે. શા માટે? માત્ર ને માત્ર એટલે કે અહીં તેઓ બીજાને ભલે જવાબ આપી શકતાં હોય પણ પોતાની જાતને જવાબ નથી આપી શકતાં જ્યારે તેમનો અંતરાત્મા તેમને ડંખે છે. તે ગિલ્ટ, તે શરમ ,પોતાની જ નજરોમાં કંઈક ખોટું કરી રહ્યા હોય તેની બેચેની તેમને આકુળ-વ્યાકુળ કરી મૂકે છે. અને કપટી, દ્વેષભાવવાળા લોકો હંમેશાં ટોળામાં જ જોવા મળે છે કારણ કે પોતાનાં વિચારો પર અડીખમ ઊભા રહેવાની , સાચું કામ કરવાં જે નૈતિક હિંમત અને તાકાત જોઈએ તે તેમનામાં નથી હોતી. પણ આવાં બધા લોકોને જ્યારે તમારી આજુબાજુમાં તમે અનુભવતા હોવ ત્યારે સમજજો કે તમે સાચા રસ્તે છો. તમે કોઈ ઉમદા, શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છો. જે કરવાની તાકાત, એ નીતિ વગરના લોકોમાં નથી.
         હાં, તેમનાં માટે કોઈ જ દ્વેષભાવ રાખવાની જરૂર નથી. કારણ કે નેગેટિવ વિચારો કપટ, દ્વેષભાવ એ બધું એક ઊધઈ સમાન છે. તે તમને ભીતરથી કોરી ખાય છે. તમને માનસિક રીતે નીચોવી નાખે છે . ક્યારેય તમે જીવનમાં આગળ નથી વધી શકતાં. માટે આ બધાથી પોતાનાં મનને ડહોળાવવા દેવું નહીં. આત્મવિશ્વાસ અને હકારાત્મકતાના બે મજબૂત હથિયાર હંમેશા સાથે રાખી પોતાનું નૈમિત્તિક કર્મ સતત ડગ્યા વગર અવિરત કર્યા કરજો. હાં તે વ્યક્તિઓ ખરાબ નથી હોતી. પણ તેમનાં પર નકારાત્મક ગુણો હાવી થઈ ગયા હોય છે. જે તેમનાં સારાં પાસાં ઢાંકી દે છે. તેઓ પણ ખૂબ જ સારું કાર્ય કરવા સક્ષમ હોય છે પણ કાર્ય કરવાની નીતિમત્તાનો અભાવ હોય છે. અને આ "અભાવ"નો ભાવ તેઓ કળી ગયા હોય છે.

તોતીંગ વૃક્ષને ન હલાવી શકે કોઈ પવન
        તે તો કર્મભૂમિના પાયામાં ઊંડે ઊતરેલ નીતિના મુળિયા છે....

ઈર્ષા બોલે, કપટ પાડે બુમો ભલે..
         અહીં તો મૌનનાં અનુરાગ સાથે આરંભેલ "સ્વકર્મ" યજ્ઞનાં ઓછાયા છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા"
 અમદાવાદ



Monday, 28 June 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

વાઈપર સમ પાંપણ... અદકેરી...
      નુંછે અશ્રુ.. કે .. ઝાકળબિંદુ....પીડાના...🌨️🧏
 

 

       ગાડીમાં જેમ વાઇપર પાણી કેરા આવરણને દૂર કરી દ્રશ્ય સ્પષ્ટ દેખવામાં આપણને મદદ કરે છે તેવી જ રીતે આંખો, જેમાં આપણી દ્રષ્ટિ છે, તેનું દૃષ્ટિબિંદુ, તેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ બને, વધુ ધારદાર બને, વધુ કેળવાય તે માટે અશ્રુ નામનું પ્રવાહી ઉત્તમ સેનેટાઈઝર સાબિત થાય છે. ને પાંપણ તેને વાઇપરની માફક ખંખેરી... વધું નિર્મળ, વધુ સ્વચ્છ ,વધુ વાત્સલ્યની નીતરતી, વધુ જીવંતતાથી છલોછલ બનાવે છે.

 

 

        પ્રિય હોય તેને પ્રિયવત બનાવી રાખવા તે દ્રષ્ટિકોણ કેળવવો પડે છે. કૃષ્ણમાં "કૃષ્ણપણુ" જોવું એ દ્રષ્ટિ કેળવવા આપણામાં રહેલ "માનસ" ને મઠારવું પડે. તેવી જ રીતે પીડાને "પીડાપર્યત" પર થઈને તેનામાં છુપાયેલ 'અવસર'ને નિહાળવું, તેનામાં રહેલ સંઘર્ષથી 'પર' આત્મસંતોષ રૂપી સંજીવનીને જોવું, તે દ્રષ્ટિ કેળવવી પડે છે.

 

 

તમારું હૃદ વલોવાય છે...

       તો તમે જીવંત છો...

તમે સ્વથી વધુ બીજાની વેદનાં..

      સંવેદી શકો છો ..

            તો તમે જીવંત છો

તમે જીવનને "જીવથી વધુ" વહાલ કરી                

        જીજીવિષા ટકાવી રાખી..ખુલીને તેને માણી શકો છો

             તો તમે જીવંત છો...

 

   

        સંવેદના તો જીવંત વ્યક્તિને જ થતી હોય છે. બાકી ફક્ત શ્વાસ ચાલતાં હોય અને જીવતાં હોય તેવાં પથ્થર જેવાં માણસો માટે તો જીવન એટલે એક ફિક્સ સિડ્યુલ માં પૂરું કરવા ઈશ્વરે આપેલ કોઈ ટાસ્ક. જેમાં નથી કોઈ રંગ હતો, નથી કોઈ જીવવાનાં હોશરૂપી જીજીવિષા.

 

 ભરપૂર જીવવું ઈશ્વરના મંદિર માં બેસી ને યજ્ઞમાં આપેલ કૃતજ્ઞતાની આહૂતિ છે...

 

       બાળક કેટલું નિર્દોષતાથી હસી, રડી શકે છે,જીદ કરી શકે છે, ગુસ્સો કરી શકે છે, અગ્રેસીવલી કોઈ વસ્તુને મેળવવાં ઉધામા કરી શકે છે કારણકે હજી તેનાં પર ખોટા દંભના આચળા નથી ચડ્યાં હોતા. તે નિર્દોષતા જીવનને જીવવાલાયક બનાવે છે. બસ આવી નિર્દોષતા, પારદર્શકતા, મન કર્મ વચનમાં એકરૂપતા, તમે કેળવી શકો તો સાચા અર્થમાં જીવન જીવવા જીવન દૃષ્ટિ કેળવી લીધી છે એવું માનજો.

 

       એક તાંતણે જીવને બાંધી રાખતો ભાવ એ સંવેદનાની પારાશીશી છે. ક્યારેક વ્યવહારમાં, ક્યારેક સંજોગોમાં ,ક્યારેક જીવન રાહ માં નવાં નવાં વળાંકો આવે તે અનુસાર પોતાને, પોતાની આવડત અનુસાર ગોઠવવામાં  આપણે સૌ તેમાં સફળ જ થઈ એ જરૂરી નથી અને તે અસફળતા સામેવાળાની પણ હોઈ શકે છે તે કદાચ એ સંજોગો પ્રમાણે પોતાની જાતને ઢાળી શકવા સક્ષમ પુરવાર ન પણ થઈ શકે. તેની અક્ષમતાને મહત્વ આપવા કરતાં, તેનાં તે સંજોગોનો સામનો કરવાનાં પ્રયત્નોને મહત્વ આપી , તે વ્યક્તિમાં રહેલાં 'સ્વ'ના અંશને મહત્વ આપી, કંઈક પોતીકું ત્યાં જોડાયેલું છે તે તત્વને મહત્વ આપી શકીએ તો માનવતા ક્યાંય મરી પરવારી નથી એ પુરવાર થઇ જશે...

 

મિત્તલ પટેલ

"પરિભાષા "

અમદાવાદ

Thursday, 24 June 2021

ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં મેગેઝીન "બાલસૃષ્ટિ"ના જૂન -2021 નાં અંકમાં મારી બાળવાર્તા...--"આંબાને કાંઈ વાગે જ નહીં...!!"