Wednesday, 20 October 2021


મારી રેગ્યુલર કોલમ
 "પરિભાષા"...નો લેખ

"વિશ્વાસ" એ કોઇપણ સંબંધનો અવિભાજ્ય અવયવ છે.....☕✍️📙





            જોડતી કડી કહો કે સંવેદાતી સાંકળ......

         બાંધે છે તે જ, જે બંધાયેલ હોય ભીતરથી....

તરંગ નથી કે વમળો રચીને, પાણીને છોડી જશે....
            અટકળ નથી કે તર્કના અર્ક સમ સંસર્ગમાં તાણી જશે...


હૃદયસ્થ કહો કે આત્માની શેર....
      જીવાય છે ત્યાં જ, જ્યાં તરાતું હોય અંતરથી....



          પાંચ આંગળા ભલે સરખા ન હોય પણ પાંચેય આંકડાનું કોઓર્ડીનેશન ત્યારે જ થાય છે, જ્યારે દરેક આંગળીને બીજી આંગળી પર વિશ્વાસ અકબંધ હોય. સમજણ, અન્ડરસ્ટેન્ડિંગ, આત્મીયતા, કનેક્ટેડ ફીલ થવું ,સમસંવેદન હોવું એ બધું ત્યારે જ શક્ય છે જ્યારે વિશ્વાસ એકબીજા પરનો અકબંધ હોય. જ્યાં વિશ્વાસ નથી, ત્યાં કોઈ પણ પ્રકારનાં સત્વ ની ઉપસ્થિતિ હોવી કદાચ શક્ય જ નથી. કોઈ પણ સંબંધ હોય, પુત્રીનો માતા પરનો વિશ્વાસ, ભાઈનો બહેન પરનો વિશ્વાસ કે મિત્રનો મિત્ર પરનો વિશ્વાસ.... જ્યારે માણસ જેવું વિચારે છે, એવું જ બોલે છે અને એવું જ વર્તે છે ત્યારે જ વિશ્વાસ દરેક સંબંધમાં જળવાય છે. આમાંથી એક પણ લીંક તુટી તો લાગણીનું વાતાવરણ ડહોળાય છે. જ્યારે અંતર મનમાં લાગણીઓનું વાવાઝોડું, માનસિક ડિસ્ટર્બન્સ ચાલતાં હોય ત્યારે, માણસ વર્તમાન ક્ષણમાં પ્રસ્તુત રહી શકતો નથી. કાં તો તે ભૂતકાળની ઘટનાનાં વિશ્લેષણમાં વ્યસ્ત બની જાય છે. કાં તો તે ભવિષ્યનાં અનિશ્ચિત વિચારોમાં ગરકાવ બની જાય છે. તે વર્તમાનમાં જીવી શકતો નથી. જ્યારે તેનાંથી ઊલટું જેટલું તમારાં વિચાર, વાણી અને વર્તનમાં ઐક્ય તમે જાળવી શકો, હા થોડું fluctuations થઈ શકે, પણ પ્રયત્ન કરીને મહત્તમ પણે જો એ લેવલમાં રહીને જીવી શકો તો, તમારું માનસિક મનોબળ પણ ખૂબ મજબૂત બનશે. કારણકે તમે તમારી જાત જોડે એકદમ ક્લિયર રહીને જીવતાં હોવ છો!! અને તમારી સાથે સંબંધમાં જોડાયેલ દરેક વ્યક્તિને તમે માનસિક, ઈમોશનલ, સ્પિરિચ્યુઅલ શાતા આપી શકો છો. તમે વર્તમાનમાં જીવી શકો, અને માણી શકો છો. જો તમારું વર્તમાન ભવ્ય હશે તો તે જ્યારે ભૂતકાળ બનશે તો ભૂતકાળ પણ ભવ્ય જ હશે.


           વિશ્વાસ એ શ્વાસ જેવો છે. લેવાય છે ને દેવાય છે. કાઢી શકાતો નથી, કે નકારી શકાતો નથી. અનિવાર્ય છે જીવવા માટે. આજે માણસાઈ જીવે છે પૃથ્વી પર, એ વિશ્વાસ જિવાડે છે. આજે જીવવાનાં "કારણ", "હેતુ" માણસની જીજીવિષાને જિવાડે છે. આ જીવવાનાં "કારણ" અને "હેતુ" જ્યારે જતાં રહે છે, ત્યારે માણસ એકલો પડી જાય છે. અને તે ક્યારે બને છે જ્યારે જે જીવવાનાં કારણ હતાં, તેમની સાથે વિશ્વાસનો સેતુ તૂટી ગયો. આવી માનસિક દુર્ઘટનાઓને ઈશ્વરીય સંવિધાનમાં અયોગ્ય ઠેરવવામાં આવે છે.


       માટે દરેક સંબંધમાં સમયાંતરે આ વિશ્વાસ અને લાગણીના જળનો છંટકાવ થતો રહે છે ને...!! તેનું ધ્યાન ચોક્કસ રાખી શકીએ.


મિત્તલ પટેલ 
"પરિભાષા"

Thursday, 14 October 2021

આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......

"ગરબે રમવું એ એક પ્રકારનું મેડીટેશન છે.."💫❤️🥰✨

             સાવ ગીચોગીચ વિચારોની ઝાડીઓમાંથી, સાવ વ્યસ્ત જીવનની ઘટમાળોમાથી, સાવ ભીતરથી હોરાતા હ્રદય સ્તરોની કોતરોમાંથી નીકળતાં સિસકારા જેવી જિંદગીની ભીતરથી ઉગતો એક સુવાસિત બગીચો એટલે ગરબો. 

          અંતરનાં ભીતરમાં ખોવાતા, અંજાતા, શરમાતા, રંગાતા, તન્મયતાથી, તલ્લીનતાથી ઐક્યને પામતાં એ રમઝટના તાલે રૂમઝૂમ રમાતો ગરબો એ "ધ્યાન"ની પ્રક્રિયા છે.

 ‌       તમે થોડી ક્ષણો દુનિયાથી અલિપ્ત થઇ શકો, તો ગરબો શ્રેષ્ઠ મેડીટેશન બની શકે .તાલની દોરીમાં હ્રદયના ધબકારારૂપી મોતીને પરોવી, ખુદને શણગારી શકો, તો ગરબો તમને ટ્રાન્સ સ્ટેજમાં લઈ જઈ શકે. તમે દંભ, દેખાડો, મોટાઈ ,અભિમાનને એ ક્ષણોમાં ઉખાડીને ફેંકી દઈ શકો, સ્વને ,અહમને ઓગાળી પ્રકૃતિ તત્વમાં ઐક્ય સાધી શકો તો ગરબો એ તમને તમારી સાથે જોડી આપતું મેડીટેશન બની શકે. તમે કેવાં દેખાવ છો કે લોકો તમારા માટે શું વિચારશે, તેવાં આવિર્ભાવથી મુક્ત થઈ, મુકતતાની ફિલ પોતાની જાતને કરાવી શકો, "સ્વ" માં મુકતતાથી વિહરી શકો ,તો ગરબો એ જીવતેજીવ મોક્ષની ઝલક બતાવી આપતી આધ્યાત્મિક  સ્પિરિચ્યુઅલ શ્રેષ્ઠ સંવેદન છે.

ભક્તિ અને શક્તિનો સંગમ એટલે ગરબો

       ભક્તિ એ હદયસ્થ થવાની પ્રક્રિયા છે કોઈની ભક્તિ કરવી એ સ્થૂળ વસ્તુ છે જ નહીં .તે તો અંતરની અભિવ્યક્તિ છે. સ્થળ સમય અને સંજોગથી પર છે. માતાજીનાં ગરબા એ સ્ત્રી શક્તિનું આલેખન છે. આ સ્ત્રી એટલે કોઈ પણ પુરુષમાં રહેલ સ્ત્રી તત્વ અને સ્ત્રી માં રહેલ પુરુષતત્વની પણ વાત છે. સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે કદાચ તેનું ઉદ્ગમ સ્થાન છે શું મા વગરની છોકરી એ પિતામાં "માં" નું તત્વ ન જોઈ શકે!! પુરુષ માં રહેલું સ્ત્રી તત્વ તેને સંવેદનશીલ બનાવે છે. કઠોરતાને ઓગાળતા શીખવાડે છે  અહમને ભૂસીને લાગણીને પોષતા શીખવાડે છે.

ગરબો એ માની આરાધના કહો કે સ્ત્રી શક્તિની ઉપાસના....

          સતને તત્ માં રોપતા શીખવાડે છે.

ગરબો એ આડંબરને આનંદથી ભૂસી...                    

         અહમથી પર થતા શીખવાડે છે.

ગરબો એ તન્મયતા અને તલ્લીનતાથી,    

           આત્માને પરમાત્મા સાથે એકાકાર થતાં શીખવાડે છે...

મિત્તલ પટેલ
 "પરિભાષા "
અમદાવાદ

Friday, 1 October 2021

NCSC - 2021-22. [ National Children's Science Congress]
Competition....💫

National Council for Science & Technology Communication (NCSTC) and

GUJCOST (The Gujarat Council on Science and Technology  )..... inducing Program.....

💫The great Snake and ladder.....game ....of vitamins and Their deficiency disease...

   💫Children gave their presentation  ...and enjoyed a lot science activities....and scientific "દીપપ્રાગટ્ય" ...with the use of potassium permanganate and spirit....

     💫 Children also visited ..physics lab, chemistry lab, biology lab, botony , zoology lab.....

Prantvel varg primary school
Bayad, Arvalli...

Monday, 27 September 2021

નિબંધ સ્પર્ધા...અને ઈનામ વિતરણ....

પ્રાંતવેલ વર્ગ પ્રાથમિક શાળા
બાયડ, અરવલ્લી....

Wednesday, 22 September 2021


આણંદથી પબ્લિશ થતાં દૈનિક ન્યૂઝ પેપર.. ગુર્જર ગર્જના માં....મારી કોલમ....."પરિભાષા".....નો લેખ......


પ્રાકૃતિક ઘટનાઓનું ક્યારેય "પ્લાનિંગ" કરી શકાતું નથી તે "સહજપણે" નિર્મિત થતી હોય છે... ⛈️🌊🏞️🌪️🌫️🌄



      આકાશમાં વીજળીની લંબાઈ, પહોળાઈ ,ઉંચાઈ, ક્ષેત્રફળ માપી શકાય ખરું? જન્મ અને મૃત્યુની ક્ષણોને નિર્ધારિત કરી શકાય ખરું? સાચા મિત્રનો સંગાથ સાપડશે તેની આગાહી થઈ શકે ખરી? જીવનની યાદગાર ક્ષણો હંમેશા સહજ રીતે નિર્મિત થતી હોય છે.

          કેટલીકવાર માર્ગ પોતે શ્વાસ લેતો હોય છે અને આપણે માત્ર જીવતાં હોઈએ છીએ. એટલે આપણે વટેમાર્ગુ જ છીએ.....જે સહમાર્ગી બનીને જ કદાચ જીવંત થઈ શકે...

         ઓળખાણ ક્યારેક સાચી પરખ બની જતી હોય છે. અને પારખીને વચનબદ્ધ થયેલ ક્યારેક આપણી સાચી ઓળખ કરી શકતાં નથી, એવું પણ થાય. ઉપરછલ્લી જીવવાની જિંદગીનું પ્લાનિંગ શક્ય છે. હૃદયથી અનુભવાતી, આત્માને ખુબ નજીક રાખીને જીવાતા સંવાદો, સંવેદનાની અનુભૂતિ તો સહજ રીતે જ થાય છે .તેને કોઈ ચોકઠામાં ન બાંધી શકાય. કોઈ સરનામું ન આપી શકાય. કે તેનું પંચનામું  કરીને માલિક પણ ન બની શકાય. તેને બાંધી શકાય પણ નહીં અને છોડી શકાય પણ નહીં.


     જે ઘટના સ્વયંનિર્મિત છે, તે પોતાની ઇચ્છાથી જ આપણાં જીવનમાં ઘટે છે. અને પોતાની ઇચ્છાથી જ આપણને "આપણાં"માં ભેળવી જાય છે.


               અમુક સંવેદનાને તમે કોઈપણ વ્યાખ્યામાં ન બાંધી શકો. તે અવ્યાખ્યાયિત જ રહી જાય છે. તેને તમે કોઈ નિયમોમાં, કોઈ સૂચનોમાં ,કોઈ સાચાં જુઠાનાં તર્કમાં ન બાંધી શકો. તે તો માત્ર સંવેદી જાણે છે. અનુભવી જાણે છે. આપણે હજી જીવતાં છીએ, જીવંત છીએ, તેવી અનુભૂતિ આપણને કરાવી જાય છે. માટે જ પૈસા કમાવવા, દુનિયાદારીની વસ્તુઓમાં મગજ વાપરી શકાય પણ સંબંધોને તો હ્રદયથી જ જીવી શકાય . તેમાં જો મગજ કે એમ કરવાં ગયા તો માત્ર અને માત્ર ગૂંચવાળા અને માનસિક વેદના જ મળશે કારણ કે ત્યાં મન અને મગજ નો સંઘર્ષ થશે . એનું કારણ એ છે કે હૃદય તર્ક નથી સમજતું અને મગજ તર્કથી 'પર' કંઈ જ નથી સમજતું. પણ આ દુનિયામાં તર્કથી પર પણ એક વિશાળ દુનિયા છે જે અજ્ઞેય છે. તેને જીવી શકાય છે  પણ તેનું રિસર્ચ ન થઈ શકે. તેને સ્પર્શી શકાય, અડકી ન શકાય. તે અનામી હોય છે. નામકરણ કરતાં તે ગાયબ થઈ જાય.



  કુછ લોગ અક્ષર ખુદ સે બાતે કરતે રહતે હૈ, 
           વો ખુદ કો ખુદ સે, બહેતર બનાના જાનતે હૈ....

 વજહ કુછ ભી હો, વો અક્સર એક અક્સ ઢૂંઢા કરતે હૈ,
            જિસ મેં ખુદ કો ખુદ સે જ્યાદા દેખા કરતે હૈ......


મિત્તલ પટેલ
" પરિભાષા"
અમદાવાદ

Friday, 10 September 2021

"હું એવી ધુમ્મસ છું જે વરસાદમાં અપરિવર્તિત રહી છે."

"મોટાભાગના લોકો, અહીં હું મને પણ જોડું છું, ધુમાડા અને રાખનાં શોખીન હોય છે; પણ તેઓ અગ્નિથી ડરે છે કારણ કે તે આંખોને આંજી નાખે છે અને આંગળાને દઝાડે છે. મોટાભાગનાં લોકો એકબીજા સાથે સપાટી પરનાં વ્યવહારમાં એકમેકમાં વ્યસ્ત રહે છે: તેઓ સત્ય તરફ દુર્લક્ષ સેવે છે કારણ કે તે તેમની પ્રત્યક્ષીકરણની ક્ષમતા પારનું છે. કોઈ વ્યક્તિ માટે "સ્વયંનું હૃદય" ફાડીને અન્યને દેખાડવું કે આમાં શું સંતાયેલું છે અને મેડમ આ એકલતા છે અને આ વિષાદ છે, તે સહેલું નથી."

"મૈત્રીમાં તમે વસ્તુ આપો છો ત્યારે કંઈ નથી આપતા પણ જ્યારે તમે " સ્વ"આપો છો ત્યારે તમે "સર્વસ્વ" આપો છો."

"પોતાના લોકોમાં અજાણ્યા થઇને ફરવા કરતાં અજાણ્યા લોકોમાં અજાણ્યા થઈને ફરવું સહેલું છે."

"જે આપણી સૌથી નજીક હોય છે, તેની આપણાં જીવનમાં મૂંઝવણ સર્જવાની અને ખલેલ પાડવાની ક્ષમતા સૌથી વધારે હોય છે."

"તારાં આત્માની ભાષા જાણનારા આ જગતમાં કેટલા?  કેટલી વખત તું એવાં માણસના સંપર્કમાં આવી છો જેણે તને તારાં મૌનમાં સાંભળી છે. જે તને તારી નિ:સ્તબ્ધતામાં પણ સમજે છે  અથવા જેણે જીવનની પવિત્રતર ક્ષણોમાંની પવિત્ર તમ્ ક્ષણો દરમિયાન અન્ય ઘરોની હરોળમાં આવેલાં તારાં ઘરની સામે બેસીને તને સાથ આપ્યો છે?"

"ઝંઝાવાતમાં એવું શું છે જે મને હચમચાવી નાખે છે? દરેક ઝંઝાવાત બાદ હું વધું શક્તિશાળી અને સુંદર બનું છું. જીવનને વધું પામું છું. પ્રકૃતિમાં મને ઝંઝાવાત સૌથી વધુ ગમે છે."

"This prophet had already written me before I attempted to 'write' him, had created me before I created him."

"I have compulsive force with me to create"

"Be mad, madness is the first step towards unselfishness"

"We are infinitely more than we think"

--ખલિલ જિબ્રાન

" મિત્તલ પટેલ"